વધતી વય સાથે વાસના જોખમી તબક્કે પહોંચ્યાનું નોંધી જૈફ વયને ધ્યાનમાં લેવાનો ઈનાકાર કરી ત્રણ જુદા જુદા ગુનામાં મૃત્યુદંડની સજા
Pune,તા.30
પુણે જિલ્લાના નસરાપુર ગામમાં ત્રણ વર્ષીય બાળકીનું અપહરણ કરી, બળાત્કાર કરી અને હત્યા કરવાના ગુનામાં આરોપીને પુણેની એક વિશેષ અદાલતે મૃત્યુદંડની સજા ફરમાવી છે. પહેલી મેએ ગુનો થયો હતો અને કોર્ટે ૨૫મી જૂને આરોપીને દોષી ઠરાવ્યો હતો. આમ ગુનો કર્યાના ૬૦ દિવસની અંદર ચુકાદો અપાયો હતો. આરોપી સામેના ત્રણ ગુનામાં મૃત્યુદંડની સજાની જોગવાઈ છે. અપહરણ, છેડતી, બળાત્કાર અને હત્યા અને પોક્સો કાયદા હેઠળના ગુનાઓ ફરિયાદી પક્ષે પુરવાર કર્યા હતા.
આરોપીની વય (૬૫ વર્ષ)ના આધારે સજા હળવી કરવાના બચાવપક્ષના એડવોકેટની વિનંતીને એડિશનલ જજ એસ. આર. સાંલુખેએે ફગાવી દીધી હતી અને કેસને ‘રે રેસ્ટ ઓફ રેર’ (અતિ દુર્લભ કેસ) ગણાવ્યો હતો.
આરોપી ભીમરાવ કાંબળેનો હિંસાનો ઇતિહાસ હતો અને તેના અત્યાચારથી ન્યાયતંત્ર અને સમાજના આત્માને આઘાત લાગ્યો હતો તેવું જજે કહ્યું હતું.
આરોપી બાળકીને નાસ્તો આપવાની અને ગાયનું નવજાત વછેરુ બતાવવાની લાલચ આપી તેને ઢોરના કોઠાર પાસે એક શેડમાં લઈ ગયો હતો અને તેના પર જાતીય અત્યાચાર કરીને પછી તેની હત્યા કરી હતી.
ફરિયાદ પક્ષે મૃત્યુદંડની માગણી કરી હતી. કાંબલે સામે ભૂતકાળમાં પણ ગુનાઓ નોંધાયા હતા. જેમાં ૬૨ વર્ષીય મહિલા, ૧૭ વર્ષીય કિશોરી અને એક પ્રાણી પર અત્યાચારના ગુનાઓનો સમાવેશ થાય છે. આરોપીમાં સુધારો થઈ શકે તેમ નથી તેવું ફરિયાદપક્ષે કહ્યું હતું.
જજ સાંલુખેએ અવલોકન કર્યું હતું કે ‘પીડિતાને ટોર્ચર કરાઈ હતી અને અમાનવીય વર્તણુક કરાઈ હતી અને ગુનો આક્રમકતાપૂર્વક કરાયો હતો.’
‘પીડિત એક નિર્દોષ, નિ:સહાય બાળકી હતી. હત્યા વાસના સંતોષવા આચરવામાં આવી હતી અને સંપૂર્ણ દુરાચરણ થયું હતું. ઉશ્કેરણી વગર ઠંડા કલેજેથી હત્યા કરાઈ હતી. ગુનો એટલી ક્રૂરતાપૂર્વક કરાયો હતો કે ન કેવળ ન્યાયિક અંતરાત્માને આઘાત લાગ્યો હતો, પણ સમાજના અંતરાત્માને પણ આઘાત લાગ્યો હતો.’
આરોપીની વૃદ્ધ વય અને ગુના કર્યાના ઇન્કારને ધ્યાનમાં રાખીને સજા ઘટાડવા બચાવપક્ષે માગણી કરી હતી જેને કોર્ટે ફગાવી હતી. કોર્ટે કહ્યું હતું કે ‘આ વયે પણ વાસના ઘટી નથી અને તે જોખમી તબક્કે પહોંચી ગઈ છે. ફક્ત ત્રણ વર્ષની બાળકી સાથે આરોપીનો અમાનવીય વ્યવહાર પીડિતના શરીર પરની ઇજાઓ પરથી જોઈ શકાય છે.’
આરોપીને જાણ હતી કે કેસ થયા પછી પણ કોર્ટમાં કંઈ થશે નહીં તેવો તેનો ભૂતકાળનો અનુભવ હતો આથી તેણે પરિણામોની ચિંતા કર્યા વગર આટલું ઘાતક કૃત્ય કર્યું હતું. નિર્ભયા કેસ પછી વિશેષ કોર્ટની રચના અને કડક સજાની જોગવાઈનો કાયદો પસાર કરાયો હતો તે પછી પણ આવા બનાવો બનતા રહે છે અને સમાજનો અંતરાત્મા આઘાત સહન કરતો રહે છે, તેવું જજ સાંલુખેએ કહ્યું હતું.
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ભારપૂર્વક કહ્યું હતું કે આવા ગુનેગારોને સમાજમાં રહેવાનો હક્ક નથી. રેકોર્ડ સમયમાં કેસની તપાસ કરવા ફડણવીસે પોલીસ અને ફરિયાદ પક્ષની પ્રશંસા કરી હતી અને ચુકાદો ન્યાય પ્રતિ પ્રતિબદ્ધતા દર્શાવે છે તેવું કહ્યું હતું. જજે મૃત્યુદંડની સજા સંભળાવે તે પછી કે બાળકીનું પરિવાર ભાંગી પડયો હતો.

