Surat,તા.13
ભાજપના નેતાઓને હાલમાં સત્તાનો નશો ચઢ્યો હોવાના અનેક બનાવો બહાર આવી રહ્યાં છે તેમાં હાલમાં સુરત પાલિકાના શાસક પક્ષ નેતા સુરત બહાર અંગત કારણોથી કાર લઈ ગયાં હતા તેને અકસ્માત થતા વિવાદ બહાર આવ્યો છે. સુરતના શાસક પક્ષ નેતાની કાર ઉત્તરપ્રદેશના અલ્હાબાદ પહોંચી હતી અને ત્યાં અકસ્માત થયો હતો. આ કાર પાલિકાના કોઈ પણ કામ વિના ખાનગી કામ માટે નેતા લઈ ગયાં હતા. અલ્હાબાદ ખાતે અકસ્માત થયો છે તો તેનો ખર્ચ પાલિકા ભોગવશે કે પછી ખાનગી કામ માટે ગાડી લઈ જનારા નેતા ભોગવશે ? તે ચર્ચા સાથે નેતાઓનો સુરત બહાર ગાડી લઈ જવાનો વિવાદ બહાર આવ્યો છે.
સુરત પાલિકાના પદાધિકારીઓને પાલિકા દ્વારા ઈનોવા કારની ફાળવણી કરવામાં આવે છે. આ કારનો ઉપયોગ શહેર પુરતો જ મર્યાદિત હોય છે. આમ છતાં પદાધિકારીઓ સરકારી ગાડીને પોતાના વતન કે અન્ય પ્રસંગોમાં સુરત બહાર લઈ વટ મારતા હોવાની વાત આમ થઈ ગઈ છે. ભૂતકાળમાં અનેક નેતાઓ સૌરાષ્ટ્ર કે ગુજરાત બહાર પાલિકાએ ફાળવેલી કાર લઈને પ્રવાસે જઈ આવ્યા છે. અને તેના માટે નક્કી કરેલું ડિઝલનો ખર્ચ નેતાએ ચુકવવાની હોય છે તે ચૂકવી દેતા હોય છે. પરંતુ ઓછા ખર્ચમાં નેતાઓ સુરત બહાર નેતાઓની ગાડી લઈ જઈને વટ મારી દેતા હોય છે.
હાલમાં સુરત પાલિકાના શાસક પક્ષ નેતા શશીબેન ત્રિપાઠી પાલિકાના કોમન પુલમાં જાણ કરીને તેમને ફાળવેલી ઈનોવા કાર ઉત્તરપ્રદેશ લઈને ગયા હોવાની જાણ કરીને લઈ ગયા હતા. જોકે, તેમની કારને અલ્હાબાદ ખાતે અકસ્માત થયો હતો અને કારને ભારે નુકસાન પણ થયું છે. આ કારને નુકસાન બાદ હવે ઈન્સ્યોરન્સ માટે કામગીરી શરૂ થઈ છે. પાંચ દિવસ પહેલાં અલ્હાબાદ ખાતે સુરતના શાસક પક્ષ નેતાની કારને અકસ્માત થયો છે તેના કારણે વિવાદ ઉભો થયો છે.
સુરતમાં એવી ચર્ચા થઈ રહી છે કે, જ્યારે અકસ્માત થયો ત્યારે શાસક પક્ષ નેતા શશીબેન ત્રિપાઠી ગાડીમાં હતા નહીં. જોકે, આ વાતની ખરાઈ માટે શાસક પક્ષ નેતાનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ તેમનો સત્તાવાર ફોન બંધ હતો અને અન્ય ફોન પર તેઓ ફોન ઉચકતા ન હતા. પાંચ દિવસ પહેલાં અલ્હાબાદ ખાતે અકસ્માત થયો છે પરંતુ હાલમાં ઈનસ્યુરન્સના કાગળના કારણે મામલો બહાર આવ્યો છે હવે બીજો વિવાદએ ઉભો થયો છે કે, ખાનગી કામ માટે શાસક પક્ષ નેતા ગાડી લઈને અલ્હાબાદ ગયાં હતા અને અકસ્માત થયો છે તો તેનો ખર્ચ પાલિકા ભોગવશે કે પછી ખાનગી કામ માટે ગાડી લઈ જનારા નેતા ભોગવશે ?