ભારતીય સંસ્કૃતિએ ગૃહસ્થ જીવનને શ્રેષ્ઠ જણાવ્યું છે. એટલે સાનુકૂળ સ્થિતિમાં જીવાતા જીવનને માટે ‘ધન્યો ગૃહસ્થાશ્રમ:’ એમ પણ કહ્યું છે. ભગવાન શ્રીકૃષ્ણ કેટલું અદ્ભુત ગૃહસ્થ જીવન જીવતા હતા તે શ્રીમદ્ ભાગવતના દશમ સ્કંધના ‘કૃષ્ણગાર્હસ્થ્ય દર્શન’ નામના ૬૯માં અધ્યાયમાં નિરૂપિત થયેલું છે – નરકાસુરને મારીને ભગવાન શ્રીકૃષ્ણે તે જ શરીરે અનેક સ્ત્રીઓ સાથે લગ્ન કરેલા સાંભળી દેવર્ષિ નારદ કુતૂહલ થવાથી તેમનો ગૃહસ્થાશ્રમ જોવાની ઇચ્છાથી દ્વારિકા આવ્યા. સર્વ ધર્મપાલકોમાં શ્રેષ્ઠ ભગવાન શ્રીકૃષ્ણ તેમને જોઇ એકદમ રુકિમણીના પલંગ પરથી ઊભા થઇ મસ્તક નમાવી પ્રણામ કરવા લાગ્યા હતા. એટલું જ નહીં જેમનું ચરણોદક સર્વતીર્થોમાં શ્રેષ્ઠ ગંગા સ્વરૂપ છે. (એટલે જ ગંગાને ‘વિષ્ણો: પાદપ્રસૂતા’ કહેવાયાં છે) એવા પરમેશ્વર શ્રીકૃષ્ણે નારદજીના ચરણ ધોઈ તેનું જળ માથે ચડાવ્યું હતું. એમનો સર્વોત્તમ પ્રકારે આદર-સત્કાર કર્યો હતો. એ પછી વરદાન પ્રાપ્ત કરી નારદજી ત્યાંથી નીકળી ગયા હતા. ત્યાંથી એ બીજી રાણીના મહેલમાં ગયા ત્યાં તેમણે શ્રીકૃષ્ણને તેમની પત્ની અને ઉદ્ધવજી સાથે સોગઠાંબાજી રમતાં જોયા હતા. ‘જુહ્વન્તં ચ વિતાનાગ્રીન્ યજન્તં પંચભિર્મખૈ: । ભોજયન્તં દ્વિજાન્ કવાપિ ભુંજાનમવશૈષિતમ્ મન્ત્રયન્તં ચ કસ્મિંશ્ચિન્મન્ત્રિલિશ્વોદ્ધદિભિ) । જલક્રીડારતં ક્વાપિ વારમુખ્યાબલાવૃતમ્ ।। (૨૪/૨૭) આહવનીય વગેરે અગ્નિઓનું અગ્નિહોત્રથી યજન કરતા જોયા, કોઇ ઘેર બ્રાહ્મણોને જમાડી બાકી રહેલું જમતા જોયા. તે રીતે કોઇ ઘેર ઉદ્ધવ વગેરે મંત્રીઓ સાથે મંત્રણા કરતાં અને બીજા કોઇ ઘેર ગણિકાઓથી વીંટળાઇને જળક્રીડા કરતાં જોયા. કોઇ ઘેર સારી રીતે શણગારાયેલી ગાયોને ઉત્તમ બ્રાહ્મણોને દાન કરતાં, કોઇ ઘેર મંગલકારી ઇતિહાસો તથા પુરાણો સાંભળતા, કોઇ ઘેર પ્રિયા સાથે હાસ્યકથા સાથે હસતા, કોઇ ઘેર ધર્મનું આચરણ કરતા તો કોઇ ઘેર અર્થ અને કામ સેવતા તથા કોઇ ઘેર એકલા બેસ પ્રકૃતિથી પર પુરુષનું ધ્યાન કરતાં જોયા.
આ રીતે મહર્ષિ દુર્વાસા દ્વારિકા આવ્યા ત્યારે તેમણે પણ ભગવાનના ગૃહસ્થ ધર્મના દર્શન કર્યા હતા. તેમણે પ્રસ્તાવ મૂક્યો હતો – કોણ અતિથિ તરીકે મને એમના ઘરમાં રાખી શકે એમ છે? જે યજમાન બનશે એણે મારી બધી વાત સ્વીકારી મારી આજ્ઞા પ્રમાણે વર્તવું પડશે. જે કંઇ કરું એ સહન કરવું પડશે. ક્રોધના સાક્ષાત્ સ્વરૂપ જેવા શાપ આપવામાં ઉતાવળા દુર્વાસાને કોણ પોતાના અતિથિ બનાવી પોતાને ઘેર રાખે ? કોઇ તૈયાર ન થયું એટલે દ્વારિકાધીશ ભગવાને તેમને પોતાના ઘેર રાખ્યા અને એમની આગતા-સ્વાગતા, પૂજા-અર્ચના વગેરે કરી. દુર્વાસા ભગવાનની કસોટી કરવા માંગતા હતા. તે દરેક પર ક્રોધ કરતા, તેની નિંદા-અપમાન કરતાં, દરેક બાબતમાં વાંધો ઉઠાવી, વિરોધ કરતા, અણછાજતું, અયોગ્ય વર્તન કરતા પણ ભગવાન શ્રીકૃષ્ણ પટરાણી રુકિમણી તેને હસતે મુખે સહન કરતાં, તેમની બધી ઇચ્છા પૂરી કરતાં. દુર્વાસાને ન ઠપકો આપતાં કે ન તો નારાજગી વ્યક્ત કરતાં. આ જોઇ દુર્વાસાએ વધારે આકરી કસોટી કરવાનો નિશ્ચય કર્યો.
એક દિવસ દુર્વાસાએ આજ્ઞા કરી – ‘કૃષ્ણ, રુકિમણી પાસે સરસ ખીર બનાવી મને જલદી આપી જાવ.’ ભગવાને તે પ્રમાણે કર્યું. દુર્વાસાએ એક ચમચી જેટલી જ ખીર ખાધી. પછી શ્રીકૃષ્ણ અને રુકિમણીને આજ્ઞા કરી – ‘આમાંની અડધી ખીર તમે બન્ને તમારા શરીર પર ચોપડી દો.’ શ્રીકૃષ્ણ અને રુકિમણીએ તેમના શરીર પર એ ખીર ચોળી દીધી. પછી દુર્વાસા મુનિએ આદેશ કર્યો – એક રથ મંગાવો. શ્રીકૃષ્ણે રથ મંગાવ્યો. દુર્વાસાએ રથની આગળ રથને ખેંચવા જોડેલા ઘોડા છૂટા કરાવ્યા. શ્રીકૃષ્ણ અને એમના આર્ધાંગિની, દ્વારિકાના પટરાણી રુકિમણી દેવીએ પ્રસન્નચિત્તે એ આજ્ઞાનું પણ પાલન કર્યું. આટલું ઓછું હોય તેમ, જેમ સારથિ ઘોડાની પીઠ પર ચાબૂક ફટકારે તેમ ભગવાન શ્રીકૃષ્ણ અને રુકિમણીની પીઠ પર દુર્વાસા ચાબૂક પણ ફટકારતાં એ પછી પણ ભગવાન શ્રીકૃષ્ણ અને રુકિમણીના મુખ પર જરાય ક્રોધ, નારાજગી, અપ્રસન્નતા કે ફરિયાદનો ભાવ પ્રગટ થતો નહોતો. ઊલટું, તે દુર્વાસા મુનિને પ્રણામ કરીને કહેતા હતા – ‘હે ભગવન્, હે ઋષિવર, પ્રસન્ન થાવ. અમને તમારા આશિષ પ્રદાન કરી ઉપકૃત કરો.’ છેવટે દુર્વાસા મુનિથી બોલાઈ ગયું હતું – ‘હે કૃષ્ણ, હે રુકિમણી તમે સાચા સર્વશ્રેષ્ઠ ગૃહસ્થી છો. તમે જગતને આતિથ્યનો સર્વોત્તમ ધર્મ શીખવ્યો છે. તમે બન્ને ધન્ય છો. મારા તમારા પર અગણિત આશિષ છે.’