Jamnagar,તા.17
જામનગરની જિલ્લા જેલમાં ગત 31મી જાન્યુઆરીએ થયેલી ગેરકાયદે મુલાકાત મામલે પોલીસે તપાસ તેજ બનાવી છે. અનિરૂધ્ધસિંહ જાડેજા અને ભુપત ભરવાડ સહિત ત્રણ વ્યક્તિઓએ જેલમાં રહેલા રજાક અને યશપાલ જાડેજા નામના બે કેદીઓને નિયમ વિરુદ્ધ મળ્યા હતા.
જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલૂની ટીમે જેલમાં દરોડો પાડી પુરાવા એકત્ર કર્યા હતા. ડીવાયએસપી જે.એન.ઝાલાએ ભુપત ભરવાડને નોટિસ પાઠવી હતી. જે અનુસાર ગત 7મી માર્ચે પોલીસ સમક્ષ હાજર થયેલા ભુપતની કડક પૂછપરછ કરવામાં આવી હતી. પોલીસની સખ્તાઈ જોઈને ભુપતે હાથ જોડીને ભવિષ્યમાં જામનગર ન આવવાની વાત કરી હતી.
13મી માર્ચે ધૂળેટીના દિવસે ભુપતને ફરી બોલાવવામાં આવ્યો હતો. આ વખતે એસપી ડેલૂની ચેમ્બરમાં તેની પૂછપરછ કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, ભુપત અનેક ગુનાઓમાં સંડોવાયેલો છે. જેલમાં રહેલા બંને કેદીઓ પણ ગંભીર ગુનાના આરોપી છે. પોલીસ તપાસી રહી છે, કે આ મુલાકાત પાછળનો હેતુ શું હતો, કોઈ નવા ગુનાનું આયોજન કે જૂના ગુનાનો ઢાંકપિછોડો કરવાનું કાવતરું હતું કે કેમ, તે અંગે તપાસ ચાલી રહી છે. ભુપત સાચી હકીકત છુપાવી રહ્યો હોવાથી આગામી દિવસોમાં તેની વધુ પૂછપરછ કરવામાં આવશે.