Ahmedabad,તા.29
શેરબજારમાં સળંગ પાંચ મહિના ચાલેલી મંદીનો ભરડો માર્ચમાં છુટયો છે.પરંતુ તે પૂર્વે ફેબ્રુઆરીમાં ગભરાટના માહોલને કારણે વેપાર તથા રોકાણકારોની સંખ્યામાં મોટો ઘટાડો હતો. ગુજરાતમાં ફેબ્રુઆરી મહિનામાં નવા ઈન્વેસ્ટરોનાં રજીસ્ટ્રેશનમાં 55.5 ટકાનો મોટો ઘટાડો થયો હતો.
નેશનલ સ્ટોક એકસચેંજના આંકડાકીય રીપોર્ટ મુજબ ફેબ્રુઆરીમાં માત્ર 65000 નવા ઈન્વેસ્ટરો નોંધાયા હતા જે સંખ્યા 1.50 લાખની હતી. ઈન્વેસ્ટરો ઘટવાને પગલે નવા રોકાણકારોમાં ગુજરાતનો હિસ્સો 8.9 ટકાથી ઘટીને 5.7 ટકા થઈ ગયો હતો અને રાષ્ટ્રીય રેન્કીંગમાં ગુજરાત 3 માંથી 6ઠ્ઠા ક્રમે નીચે ઉતરી ગયુ હતું.
ગુજરાતમાં નવા ઈન્વેસ્ટરોનાં રજીસ્ટ્રેશનની સંખ્યા જુન 2023 પછીના સૌથી નીચા સ્તરે રહી હતી. જુન 2023 માં 80,000 નવા ઈન્વેસ્ટરોનું રજીસ્ટ્રેશન હતું. ફેબ્રુઆરી 2024 માં 1.46 લાખ નવા ઈન્વેસ્ટર નોંધાયા હતા.
શેરબજારમાં મંદીના ઈફેકટથી માત્ર ગુજરાત જ નહિં રાષ્ટ્રીય સ્તરે નવા ઈન્વેસ્ટરોનાં રજીસ્ટ્રેશનમાં ઘટાડો થયો હતો. દેશ લેવલે નોંધણી 31.2 ટકા ઘટીને માત્ર 11.3 લાખ હતી જે આગલા મહિનામાં 16.5 લાખ હતી.
નવા ઈન્વેસ્ટરોની સંખ્યામાં ઘટાડા છતાં 98.86 લાખ રોકાણકારો સાથે કુલ સંખ્યામાં ગુજરાતનો ત્રીજો રેન્ક યથાવત રહ્યો હતો. મહારાષ્ટ્રમાં નવા ઈન્વેસ્ટરોની સંખ્યામાં 36 ટકા તથા ઉતર પ્રદેશમાં 27 ટકાનો ઘટાડો જણાયો હતો.
શેરબજારનાં જાણકારોએ કહ્યું કે ફેબ્રુઆરી મહિનામા સેન્સેકસ 77505 થી ઘટીને 73198 તથા નીફટી 23482 થી ઘટીને 22124 થયો છે.ગુજરાતમાં દર મહિને એક લાખ ઈન્વેસ્ટરો ઉમેરાતા હોય છે. પરંતુ સળંગ મંદીથી માનસ ખરડાતા ફેબ્રુઆરીમાં સંખ્યા ઘટી હતી.
સૌથી વધુ ઈન્વેસ્ટરો ધરાવતાં દેશના ટોપ-10 જીલ્લામાં પણ નવા ઈન્વેસ્ટરોની સંખ્યામાં સરેરાશ 36.3 ટકાનો ઘટાડો હતો.સુરતમાં 55.1 ટકા તથા અમદાવાદમાં 54 ટકા અને જયપુરમાં 40 ટકાનો ઘટાડો હતો.