Gandhinagar,તા.5
સરકાર દ્વારા બે મહિના પુર્વે જ ટેકાના ભાવે ખરીદાયેલી મગફળીનુ ખોટ ખાઈને વેચાણ શરૂ કરી દેવામાં આવતા ખેડુતલોબીમાં તીવ્ર પ્રત્યાઘાતો પડવાની આશંકા છે. પ્રતિ કવીંટલ રૂા.6782ના ભાવે ખરીદાયેલી મગફળીનુ રૂા.5150થી 5400 સુધીના ભાવે વેચાણ થવા લાગ્યુ છે. તેલીબીયા સંગઠન દ્વારા આ મામલે સરકારમાં વિરોધ નોંધાવીને ખેડુત તથા તેલઉદ્યોગના હિતમાં વેચાણ અટકાવવાની માંગ કરવામાં આવી છે.
ગુજરાત સ્ટેટ એડિબલ ઓઈલ્સ એન્ડ ઓઈલસિડસ એસોસીએશન દ્વારા રાજયના કૃષિમંત્રી રાઘવજી પટેલને પત્ર પાઠવવામાં આવ્યો છે અને તેમાં એમ કહેવાયુ છે કે ગત સિઝનમાં મગફળીના રેકોર્ડબ્રેક ઉત્પાદનને પગલે ખેડુતોને સારા ભાવ મળી શકે તે માટે સરકારે ટેકાના ભાવે મોટાપાયે ખરીદી કરી હતી.
8 ફેબ્રુઆરી સુધી આ ખરીદી કરવામાં આવી હતી અને પ્રતિ કવીંટલ રૂા.6782નો ભાવ આપવામાં આવ્યો હતો. આ ખરીદી પુર્ણ થયાના માત્ર દોઢ માસમાં તા.26/3 થી ખરીદેલી મગફળી વેચવા કાઢવામાં આવી છે જે આઘાત સાથે આશ્ચર્યજનક પણ છે.
સરકાર પ્રેરિત ખરીદીમાં નાફેડ સહિતની સંસ્થાઓએ ઉત્પાદનની 25 ટકા ખરીદી કરી હતી. ખેડુતો પાસે હજુ માલ પડયો છે અને નિયમિત વેચાવા આવી રહ્યો છે તેવા સમયે ટેકાના ભાવે ખરીદેલી મગફળી વેચાવા આવતા બજારમાં બોજ વધવાની આશંકા છે. ભાવ પણ તૂટવાના સંજોગોમાં ભાવ વધુ ઘટી જાય તેમ છે.
સરકાર પ્રેરિત સંસ્થાઓએ 6782માં ખરીદેલી મગફળી 5100થી 5200 ભાવે વેચવા કાઢી તે પણ અનેક સવાલ ઉભા કરે છે. માલનો નિકાલ કરવાની ઉતાવળ ગંભીર પરિણામો લાવી શકે છે. ભાવ ઘટી જવાના સંજોગોમાં નવી સીઝનમાં વાવેતર ઓછુ થઈ જવાનું જોખમ રહેશે.
દરમ્યાન વેપારી વર્તુળોએ કહ્યું કે, નાફેડ સહિતની સંસ્થાઓ બે-ત્રણ મહિના પુર્વે ખરીદેલી મગફળી જ વેચી રહી છે. ખોટ ખાઈને માલ વેચવાનુ કારણ સ્પષ્ટ નથી પરંતુ એવો તર્ક છે કે ચણા, મગફળી સહિતના શિયાળુ પાકની સરકાર ખરીદી કરી રહી છે તે ભરવા માટે ગોડાઉનની જરૂર છે અને ગોડાઉન ખાલી કરવા માટે મગફળીનો નિકાલ થઈ રહ્યાનુ માની શકાય તેમ છે. આ પગલાથી ઉહાપોહ સર્જાવાનો ઈન્કાર થઈ શકતો નથી.
નુકશાની કરીને મગફળીના વેચાણ વિશે રાજયના કૃષિમંત્રી રાઘવજી પટેલનો સંપર્ક કરતા તેઓએ કહ્યું કે મગફળીની ખરીદી કે વેચાણમાં રાજય સરકારનો કોઈ રોલ નથી. કેન્દ્ર સરકાર જ જુદી-જુદી સહકારી સંસ્થા મારફત ખરીદી કરાવે છે. રાજય સરકાર માત્ર ખરીદી તથા ગોડાઉનની વ્યવસ્થા કરી દયે છે બાકી કોઈ ભૂમિકા નથી.
સરકારી સંસ્થા દ્વારા નીચા ભાવે વેચાણ વિશે તેઓએ ટીપ્પણી કરવાનુ રાખ્યુ હતું છતાં ઓકશનથી તેનુ વેચાણ થતુ હોવાનુ સ્પષ્ટ કર્યુ હતું. ગોડાઉનની જરૂરિયાત માટે વેચાણ કરાતુ હોવાની વાત પણ તેમણે નકારી હતી. ખરીદ-વેચાણ વ્યવહારમાં રાજય સરકાર કે કૃષિ વિભાગ સામેલ નથી.