Jamnagar તા ૯
જામનગર- કાલાવડ ધોરી માર્ગ પર વિજરખી ગામ પાસે બુલેટ મોટરસાયકલ ચાલક યુવાન ને કંપાસ જીપ ની ઠોકરે કચડી નાખી હત્યા નીપજાવનાર આરોપી જીપચાલક તેમજ મૃતકની પ્રેમમાં અંધ બનેલી પત્ની બંનેની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી હતી, અને હત્યા માટે ઉપયોગમાં લેવાયેલી જીપ તેમજ બંને આરોપીઓના કુલ ૩ મોબાઇલ ફોન કબજે કરી લેવાયા છે. જ્યારે આ મુખ્ય આરોપીને બનાવનાર સ્થળે લઈ જઈ રીકન્સ્ટ્રકશન કરાયું હતું, અને સ્થળ પરથી વાહનોના ટુકડા કબજે કર્યા છે.
ઉપરાંત પોલીસ દ્વારા કાલાવડ અને પીઠડીયા ગામ તેમજ બનાવના સ્થળ સહિતનું પંચનામું કરાયું છે. સમગ્ર મામલામાં પોલીસ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ ચલાવવામાં આવી હતી, જેમાં બંને વચ્ચે બે વર્ષના પ્રેમ સંબંધમાં અનેક વખત એકબીજા સાથે અનૈતિક સંબંધો બંધાયા હોવાનું પણ જાણવા મળ્યું છે. જ્યારે પ્રેમિકા દ્વારા પતિ નો કાંટો કાઢી નાખવા માટે સાત મહિનાથી ષડયંત્ર કરાતું હતું, જેમાં રામનવમી નો દિવસ નક્કી થયો હતો, અને પ્રેમી યુવાને પોતાની પ્રેમિકાને અલગથી વાત કરવા માટેનો જુદો મોબાઈલ ફોન આપેલો હતો, જે પ્રેમિકા સંતાડીને લોકરમાં રાખતી હતી, અને પુત્ર સ્કૂલે જાય તે સમયગાળા દરમિયાન પ્રેમીને મળતી હતી.
આ ચકચાર જનક બનાવની વિગત એવી છે, કે મૂળ કાલાવડ તાલુકાના પીઠડીયા ગામના વતની અને હાલ જામનગરમાં રણજીત સાગર રોડ પર રહેતા રવિ ધીરજલાલ મારકણા (૩૦ વર્ષ) ને રામનવમી ના દિવસે સાંજે છ વાગ્યાના અરસામાં તેના બુલેટ મોટર સાયકલને જી.જે.૨૦ એ.ક્યુ. ૮૨૬૨ નંબરની કંપાસ જીપના ચાલકે ઠોકર મારી દઇ કચડી નાખ્યો હતો, અને હત્યા નીપજાવી હતી.
જે હત્યા પ્રકરણમાં પોલીસે ઊંડાણ પૂર્વકની તપાસના અંતે મૃતક રવિ મારકણા ની પત્ની રીંકલ તેમજ જીપચાલક અક્ષય છગનભાઇ ડાંગરિયા બંનેને અટકાયતમાં લઈ લીધા હતા. જ્યારે આરોપીએ પોતાની કંપાસ જીપ જેમાં પંચર પડી ગયું હોવાથી ધુતારપર ગામે રાખી દીધી હતી, જે કાર કબજે કરી લેવામાં આવી છે, અને આરોપી અક્ષય નો મોબાઇલ ફોન તેમજ મૃતક ની પત્ની રીંકલ કે જેની પાસેથી બે મોબાઈલ પણ મળી આવ્યા હતા. જે પોલીસે કબજે કર્યા છે. પોતાના પ્રેમી સાથે વાત કરવા માટે અલગથી મોબાઇલ ફોન રાખ્યો હતો, અને તે મોબાઇલ ફોન સિમ કાર્ડ સાથે પ્રેમીએ લઈને તેને આપ્યો હતો. અને લોકરમાં સંતાડીને રાખતી હતી. અને પતી તેમજ પુત્ર સ્કૂલે જાય જે દરમિયાન પોતે તે મોબાઈલ નો ઉપયોગ કરતી હતી.
ઉપરાંત અવારનવાર પ્રેમીને મળવા માટે ઘરની બહાર પણ જતી હતી. ચારથી પાંચ કલાકનો સમયગાળો મળી રહે તે દરમિયાન બંને પ્રેમીઓ જામનગર- ખંભાળિયા હાઈવે રોડ પર અલગ અલગ બે હાઇવે હોટલમાં રોકાતા હતા, અને ત્યાં બંને વચ્ચે અનેક વખત શારીરિક સંબંધો બંધાયા હોવાનું પણ જાણવા મળ્યું છે.
પત્નીએ પોતાના પતિ સાથે છૂડા છૂટાછેડા થઈ જાય તે માટેના અનેક પ્રયત્નો કર્યા હતા, પરંતુ પતિએ છૂટાછેડા આપવાની સાફ ના પાડી હતી. જેથી આ હત્યા કરી નાખવાનો પ્લાન કર્યો હતો.
આરોપી પ્રેમી યુવાને પોતાની પત્નીને છૂટાછેડા આપી દીધા હતા, ત્યારબાદ બંને એક થવા માટેના અનેક પ્રયાસો કર્યા હતા, પરંતુ તેમાં આડખીલી રૂપ પ્રેમીકા રીંકલનો પતિ કે જેની હત્યા કરવા માટેનું સાતેક મહિના પહેલા ષડયંત્ર રચાયું હતું, અને અનેકવાર પ્રયત્ન કર્યા હતા. પરંતુ કોઈ મોકો મળતો ન હતો.
આખરે રામનવમીનો દિવસ પસંદ કરાયો હતો, અને તે દિવસે સવારે ૧૦.૦૦ વાગ્યાથી લઈને સાંજ સુધી આખો ઘટના ક્રમ બન્યો હતો,
અને પ્રેમિકાએ પોતે જ જાણ કરી હતી, કે પોતાનો પતિ બુલેટ મોટરસાયકલ નવું લીધું હતું, જે પોતાના કાલાવડમાં રહેતા માતા-પિતાને બતાવવા માટે ગયો હતો, અને ત્યાંથી સાંજે જામનગર આવવા માટે પરત ફર્યો ત્યારે આ હત્યા કરવા માટેનો પ્લાન ઘડવામાં આવ્યો હતો.
તપાસની પોલીસ અધિકારી એમ.એન.શેખ તેમજ સ્ટાફના જયપાલસિંહ જાડેજા, વીરુભા જાડેજા, નિર્મળસિંહ જાડેજા સહિતની ટીમ મુખ્ય આરોપીને જામનગર થી કાલાવડ હરીપર ના સ્થળોએ લઈ જઈને પંચનામુ કર્યું હતું.
ઉપરાંત આરોપી કાલાવડ થી નીકળ્યા બાદ એક હાઇવે હોટલમાં જમ્યો હતો, ત્યારબાદ ત્યાંથી નીકળીને અન્ય એક સ્થળે નવી હોટલ નું કન્સ્ટ્રક્શન કામ ચાલતું હતું, ત્યાં પોતે બે કલાક સુધી રોકાયો હતો, અને મૃતક યુવાન બુલેટ લઈને પસાર થતાં તેને જોઈને પીછો કર્યો હતો અને છેક વિજરખી સુધી પહોંચીને મોકો જોઈને આ ઘટનાને અંજામ આપ્યો હતો.
ફુલ સ્પીડમાં બુલેટ ની પાછળ ઠોકર મારતાં મૃતક યુવાન અથડાઈને જમીન પર પડ્યો હતો, અને તેનું માથું જમીનમાં ભટકાતાં હેમરેજ થઈ જવાથી તેનું મૃત્યુ નીપજ્યું હતું, અને આ બનાવ હત્યામાં પલટાયો હતો. ઉપરોક્ત સમયગાળા દરમિયાન બંને પ્રેમીઓએ બાર વખત મોબાઈલ ફોનમાં વાતચીત કરી હતી. સમગ્ર મામલામાં પોલીસ ઊંડાણપૂર્વકની ની વધુ તપાસ ચલાવી રહી છે.