New Delhi,તા.૧૮
લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ પર્યાવરણ કાર્યકર્તા સોનમ વાંગચુકને જંતર-મંતર પરથી પોલીસે દૂર કરવા બદલ કેન્દ્ર સરકારની ટીકા કરી. રાહુલ ગાંધીએ કહ્યું કે મોદી સરકારના મુખ્ય સિદ્ધાંતો “જૂઠાણું અને હિંસા” છે. કોંગ્રેસના સાંસદે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ’એકસ’ પર લખ્યું કે સોનમ વાંગચુકને અહિંસક ભૂખ હડતાળ પર હતા ત્યારે જંતર-મંતર પરથી દૂર કરવા ખોટું હતું.
કોંગ્રેસે જંતર-મંતર પર પોલીસ કાર્યવાહીની પણ ટીકા કરી. પાર્ટીએ કહ્યું કે વાંગચુકને દૂર કરવા એ દેશના લોકશાહી અને બંધારણ પર “કલંક” છે. સોમવારે, દિલ્હી પોલીસે જંતર-મંતર પર ભૂખ હડતાળ પર રહેલા પર્યાવરણ કાર્યકર્તા સોનમ વાંગચુકને વિરોધ સ્થળ પરથી દૂર કર્યા અને તેમને હોસ્પિટલમાં દાખલ કર્યા. પોલીસે જણાવ્યું કે દિલ્હી હાઈકોર્ટના નિર્દેશોને અનુસરીને તેમણે સોનમ વાંગચુકને હોસ્પિટલમાં દાખલ કર્યા.
રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે પેપર લીક, શિક્ષણનો વધતો ખર્ચ અને વિદ્યાર્થીઓની આત્મહત્યા જેવા મુદ્દાઓ ભારતના ભવિષ્ય સાથે સંકળાયેલા ગંભીર મુદ્દાઓ છે. તેમણે સરકારને ચેતવણી આપતા કહ્યું હતું કે, “ભારતીય વિદ્યાર્થીઓ અને તેમનામાં પ્રેમ કરનારા અને વિશ્વાસ રાખનારાઓને આ મુદ્દાઓ ઉઠાવતા રોકવા માટે કોઈપણ પ્રકારની શક્તિનો ઉપયોગ કરી શકાતો નથી.”
સોનમ વાંગચુકની અનિશ્ચિત ભૂખ હડતાળના ૨૧મા દિવસે શનિવારે વહેલી સવારે તેમની તબિયત બગડી અને તેમને જંતર-મંતરથી સફદરજંગ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા બાદ રાહુલ ગાંધીની પ્રતિક્રિયા આવી. પોલીસે જણાવ્યું હતું કે આ કાર્યવાહી ડોકટરોની સલાહ અને દિલ્હી હાઈકોર્ટના નિર્દેશો અનુસાર કરવામાં આવી હતી.
નવી દિલ્હીના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ડીસીપી) સચિન શર્માએ જણાવ્યું હતું કે વાંગચુકની તબિયત બગડ્યા બાદ, તેમને દિલ્હી હાઈકોર્ટના નિર્દેશ મુજબ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમને જરૂરી તબીબી સંભાળ મળી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે કેટલાક વિરોધીઓએ કાર્યવાહીમાં ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે થોડો હંગામો થયો હતો. જોકે, પોલીસે અત્યંત સંયમ રાખ્યો અને સમગ્ર કાર્યવાહી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરી.
પોલીસ કાર્યવાહી બાદ તરત જ, કોકરોચ જનતા પાર્ટી (સીજેપી) ના સ્થાપક અભિજીત દિપકકે આરોપ લગાવ્યો કે પોલીસે વિરોધીઓ સામે કાર્યવાહી કરી છે. તેમણે ’ઠ’ પર લખ્યું, “દિલ્હી પોલીસે મારા પર હુમલો કર્યો અને મને અટકાયતમાં લીધો.” સીજેપીએ ’ઠ’ પર એક વીડિયો પણ શેર કર્યો, જેમાં સોનમ વાંગચુકને સફેદ ચાદરમાં લપેટીને વિરોધ સ્થળ પરથી લઈ જવામાં આવી રહ્યા છે.
કોકરોચ જનતા પાર્ટીએ કહ્યું, “દિલ્હી પોલીસે ૨૦ દિવસથી ભૂખ હડતાળ પર રહેલા એક નબળા વૃદ્ધ વ્યક્તિને સફેદ ચાદરમાં લપેટીને લઈ ગયા. આ દેશ માટે શરમજનક વાત છે.”
સોનમ વાંગચુક અને ત્રણ એઆઇએસએ કાર્યકરો ૨૮ જૂનથી અનિશ્ચિત સમય માટે ભૂખ હડતાળ પર છે. તેઓ દ્ગઈઈ્ પરીક્ષામાં કથિત અનિયમિતતાઓ અને સંબંધિત વિદ્યાર્થીઓના મૃત્યુ સામે સીજેપીના નેતૃત્વ હેઠળના વિરોધ પ્રદર્શનોને સમર્થન આપી રહ્યા છે. છેલ્લા ત્રણ અઠવાડિયાથી તેમની તબિયત સતત બગડી રહી છે.
સીજેપી ૨૫ દિવસથી વધુ સમયથી જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. સંગઠન નીટ પરીક્ષામાં કથિત ગેરરીતિઓની જવાબદારી સ્વીકારીને કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે તેવી માંગ કરે છે. વાંગચુક ૨૮ જૂને વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા અને ત્યારથી અનિશ્ચિત સમય માટે ભૂખ હડતાળ પર છે. અગાઉ, કોંગ્રેસ પાર્ટીએ સોનમ વાંગચુકને તેમના સ્વાસ્થ્ય પ્રત્યે ચિંતા વ્યક્ત કરીને ભૂખ હડતાળ સમાપ્ત કરવાની અપીલ કરી હતી.

