Kolkata,તા.30
અહીના મેચુઆપટ્ટી વિસ્તારમાં મંગળવારે રાત્રે લગભગ સાડા આઠ વાગ્યે એક હોટેલમાં ભીષણ આગ ભભુકી ઉઠતા અફડાતફડી મચી ગઈ હતી. ભીડવાળા વિસ્તારમાં લાગેલી આ આગમાં 14 લોકો જીવતા ભડથુ થઈ ગયા હતા. હોટેલની બિલ્ડીંગમાંથી જીવ બચાવવા લોકો નીચે કુદી પડતા અને હોટેલ આસપાસની સાંકડી ગલીમાં બચવા માટે દોડાદોડીમાં અનેક લોકો ઘાયલ થયા હતા.
આગના બનાવમાં અનેક લોકો દાઝી ગયા હતા. આગની સુચના મળતા ફાયરબ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો.
કોલકતા પોલીસ કમિશ્નર મનોજકુમાર વર્માએ જણાવ્યું હતું કે આગ લગભગ રાત્રે 8-15 કલાકે ઋતુરાજ હોટેલનાં પરિસરમાં લાગી હતી. આગ લાગતા બુર્રાબનીરના ભીડભાડવાળા વિસ્તારમાં અફડાતફડી મચી ગઈ હતી. બિલ્ડીંગની બારી અને સાંકડી દીવાલોથી લોકો કુદવાની ભાગવાની કોશીશ કરતા રહ્યા જેમાં અનેક લોકો ઘાયલ થયા હતા.આગના આ બનાવમાં 14 લોકોના ભડથુ થયેલા મૃતદેહો મળી આવ્યા હતા.
પોલીસ કમિશ્નરે જણાવ્યું હતું કે બાદમાં આગ પર કાબુ મેળવી લેવાયો હતો બચાવ અભિયાન હજુ પણ ચાલૂ છે તપાસ માટે ખાસ ટીમ બનાવાઈ છે આગનું કારણ હજુ બહાર નથી આવ્યું પણ શોર્ટ સર્કીટની આગ લાગ્યાની શંકા છે.
આગની ઘટનામાં મૃત્યુ પર રાજય ભાજપ અધ્યક્ષ સુકાંત મજમુદારે શોક વ્યકત ર્ક્યો હતો. બંગાળ કોંગ્રેસ અધ્યક્ષ શુભંકર સરકારે કોલકતા નિગમની ટીકા કરી હતી તેમણે કહ્યું હતું કે ઘણા લોકો બિલ્ડીંગમાં ફસાયા છે મને ખબર નથી કે નિગમ શું કરી રહ્યું છે.