કર્ણાટક હાઈકોર્ટની સ્પષ્ટતાઃ સ્વ-ઉપાર્જિત મિલકત પર માલિકનો સંપૂર્ણ અધિકાર, વારસાગત હક કાયદાની જોગવાઈઓ મુજબ જ મળશે
Lucknow,તા.૨૧
મિલકતના વિભાજન અને વારસાહકને લઈને કર્ણાટક હાઈકોર્ટે એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે પિતા કે દાદા પાસેથી વારસામાં મળેલી દરેક મિલકત આપમેળે પૈતૃક બની જતી નથી. તેથી, આવી મિલકત પર બાળકોને જન્મથી જ વારસાહક મળતો નથી. હાઈકોર્ટના જણાવ્યા અનુસાર, મિતાક્ષર હિન્દુ કાયદા હેઠળ મિલકતની કાનૂની સ્થિતિ તે મૂળ કઈ રીતે પ્રાપ્ત કરવામાં આવી હતી તેના આધારે નક્કી થાય છે, માત્ર પેઢી દર પેઢી ટ્રાન્સફર થવાથી કોઈ મિલકત પૈતૃક બનતી નથી.
એક પુત્રીએ તેના પિતાને તેના દાદા પાસેથી મળેલી મિલકતમાં પોતાના જન્મસિદ્ધ અધિકારના આધારે હિસ્સો માંગ્યો હતો. જોકે, હાઈકોર્ટની સમીક્ષામાં સામે આવ્યું કે આ મિલકત મૂળ દાદાની પોતાની કમાણીથી ખરીદેલી (સ્વ-ઉપાર્જિત) હતી. કૌટુંબિક સમાધાન પછી પણ તે પિતાની અલગ કે વ્યક્તિગત મિલકત જ રહી. પરિણામે, કોર્ટે ચુકાદો આપ્યો કે પુત્રી પોતાના જન્મસિદ્ધ અધિકારના જોરે આ મિલકતના વિભાજનનો દાવો કરી શકે નહીં.
હાઈકોર્ટે સ્પષ્ટતા કરી છે કે જો કોઈ વ્યક્તિ પોતાની કમાણીથી મિલકત ખરીદે છે અને ત્યારબાદ તે તેના પુત્રને આપે છે, તો તે પૈતૃક મિલકત ગણાશે નહીં. આવી સ્વ-અર્જિત મિલકતમાં પૌત્ર-પૌત્રીઓ કે બાળકોનો કોઈ જન્મસિદ્ધ અધિકાર રહેતો નથી. મિલકતનો મૂળ માલિક તેને પોતાની ઈચ્છા મુજબ વેચી શકે છે, ભેટ (ય્ૈકં) આપી શકે છે અથવા વસિયતનામા (ઉૈઙ્મઙ્મ) દ્વારા કોઈપણ વ્યક્તિને આપી શકે છે. માલિકના આ નિર્ણયને બાળકો કોર્ટમાં પડકારી શકતા નથી.
આ ચુકાદો હિન્દુ ઉત્તરાધિકાર કાયદામાં ચાલતી ઘણી ગેરસમજો દૂર કરે છે. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે વડીલો પાસેથી મળેલી તમામ મિલકત પૈતૃક હોય છે, પરંતુ મિતાક્ષર કાયદા મુજબ જન્મસિદ્ધ અધિકાર માત્ર સહ-અધિકૃત કે પૂર્વજોની મૂળ પૈતૃક મિલકતમાં જ મળે છે. કાનૂની નિષ્ણાતોના મતે આ નિર્ણયથી વારસાઈ વિવાદો, સંપત્તિનું પ્લાનિંગ અને ફેમિલી સેટલમેન્ટના કેસોમાં મોટી સ્પષ્ટતા આવશે.હાઈકોર્ટના આ ચુકાદાનો અર્થ એવો બિલકુલ નથી કે બાળકો પિતાની મિલકત પરનો અધિકાર સંપૂર્ણપણે ગુમાવી દેશે. જો પિતા કોઈપણ વસિયતનામું બનાવ્યા વગર મૃત્યુ પામે છે, તો કાયદાકીય વારસદાર તરીકે બાળકોને તે મિલકતમાં નિયમ મુજબ હિસ્સો મળશે. પરંતુ જો પિતા પોતાની સ્વ-ઉપાર્જિત મિલકત જીવતેજીવ કોઈ અન્ય વ્યક્તિના નામે કરી દે કે વસિયતનામું લખી દે, તો બાળકો બળજબરીથી તેનો દાવો કરી શકશે નહીં.

