Ahmedabad,તા.29
રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણના અધિકારો હેઠળ છ વર્ષે જ ધો. 1માં પ્રવેશના નિયમમાં અંતે દિવ્યાંગ બાળકો અને ખાસ જરૂરિયાત ધરાવતા બાળકોને છૂટ આપવામાં આવી છે. કેટલાક માનસિક અને શારીરિક દિવ્યાંગ બાળકોને છ વર્ષે ફરજિયાત ધો.1માં અભ્યાસ કરવાના નિયમથી અનેક મુશ્કેલીઓ ઊભી થતી થતી હતી. જેથી આ મુદ્દે નિયમમાં ફેરફારની અનેક માંગણીઓ સાથે સરકારને રજૂઆતો પણ કરવામાં આવી હતી. જેને ધ્યાને લઈ સરકાર દ્વારા એક્ટની જોગવાઈઓમાં ફેરફાર કરવામા આવ્યો છે અને ખાસ જરૂરિયાતવાળા દિવ્યાંગ બાળકોને ચાર વર્ષની છૂટ આપવામાં આવી છે. જે મુજબ દસ વર્ષ સુધી આવા બાળક ધો. 1માં પ્રવેશ લઈ શકશે અને અભ્યાસ કરી શકશે.
RTE એક્ટ અંતર્ગત છેલ્લા કેટલાક વર્ષોથી ધો.1માં પ્રવેશ માટે છ વર્ષનો નિયમ કરાયો છે. જેમાં જે તે શૈક્ષણિક વર્ષમાં પ્રવેશ માટે બાળકના પહેલી જૂને છ વર્ષ થયેલા હોવા જોઈએ તો જ ધો.1માં પ્રવેશ મળી શકે છે. આ ઉપરાંત યુડાયસ-અપાર આઈડી એનરોલમેન્ટ સિસ્ટમમાં પણ છ વર્ષનું બાળક ધો.1માં ભણતું હોવું જોઈએ અને સાત વર્ષનું ધો.2માં તેમજ 8 વર્ષનું બાળક ધો.3માં હોવું જોઈએ. સાત વર્ષે કે 8 વર્ષે પણ જો વાલી પોતાના બાળકને ધો.1માં જ ભણાવવા ઈચ્છે કે અભ્યાસમાં બાળક નબળુ હોય અને ધો.1 ફરીથી કરાવવા ઈચ્છે તો પણ બાળકને ધો.1માં ફરીથી ભણાવી શકતા ન હતા કે ધો.1માં પ્રવેશ લઈ શકતા ન હતો.
આ નિયમને કારણે વાલીઓ અને બાળકો પણ હેરાન થતા હતા. ખાસ કરીને માનસિક રીતે દિવ્યાંગ હોય અને વાંચવામા કે લખવામા તકલીફ અનુભવતા બાળકોને ખૂબ જ મુશ્કેલી પડતી હતી. જેથી આ બાબતે નિયમમાં ફેરફારની અનેકવાર માંગણીઓ ઊઠી હતી અને રજૂઆતો પણ કરાઈ હતી. હવે તેમની માંગ પર નિર્ણય લઈને દિવ્યાંગ બાળકોને ચાર વર્ષની છૂટ આપવામાં આવી છે.