New Delhi,તા.9
દેશમાં 2014ની લોકસભા ચૂંટણી બાદ આવેલા એક મોટા પરિવર્તનમાં તત્કાલીન ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભાજપે મેળવેલા પ્રચંડ વિજય સાથે જ દેશમાં મોદી યુગનો પ્રારંભ થયો અને આજે તેના 11 વર્ષના અંતે પણ મોદી અને ભાજપ વધુ મજબૂત બનીને શાસનમાં આગળ વધી રહ્યો છે તે સમયે મોદી ફેકટરને અપરાજીત બનાવવામાં જે ત્રણ મોટા ફેકટરની ભૂમિકા રહી છે.
11 વર્ષનું આ શાસન અનેક પડકારો અને તેનાથી પણ વધુ ઉપલબ્ધીઓ સાથે પુરુ થયુ છે. પરંતુ તેની સાથે મોદી 4.0 ની પણ ભૂમિકા બની રહી છે અને એક બાદ એક વિધાનસભા ચૂંટણીઓમાં થોડા સેટબેક વચ્ચે પણ જે રીતે ભાજપ અને તેના નેતૃત્વનું એનડીએ મજબૂત બન્યુ છે તે દર્શાવે છે કે આ ફેકટરમાં જબરો દમ છે.
સૌપ્રથમ મોદીના 11 વર્ષમાં હિન્દુત્વનો જે ઉદય થયો છે તેનું મહત્વ લાંબા સમય સુધી જળવાઈ રહેશે. દેશમાં હિન્દુત્વના વારસાની વાપસી અને હિન્દુ નવજાગરણને મોદી સરકારના એક પાયાના પથ્થર જેવી ભૂમિકા ભજવી છે. તેની સાથે જ દેશમાં પ્રથમ વખત એક નવી વોટબેન્કનો પણ ઉદય થયો છે અને તે લાભાર્થી નામની અત્યાર સુધી ભાગ્યે જ કોઈ રાજકીય પક્ષોએ વિચારી હોય તેવી મોટી વોટબેન્ક બનાવવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મોટી સફળતા મળી છે.
કહેવામાં આવે છે કે, ઈન્દીરા ગાંધી બાદ નરેન્દ્ર મોદી એક એવા નેતા છે કે જે જાતિ, જ્ઞાતિ, સમાજના તમામ વાડાઓ તોડીને લાભાર્થીઓની એક મોટી વોટબેન્ક બનાવી છે. ભાજપના ચુંટણી ગણીતમાં તેની મોટી ભૂમિકા છે તો મહત્વપૂર્ણ રીતે રાષ્ટ્રવાદનો જે એક ઉદય થયો છે તેને એકસ ફેકટર ગણી શકાય.
દેશના મુખ્ય ધારામાં પ્રથમ વખત રાષ્ટ્રવાદનો દબદબો જોવા મળે છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની ઓળખ દરિયાપાર બનાવી છે. એક તબકકે તેનો વિરોધ થયો.
જવાહરલાલ નહેરુ યુનિ. સહિત અનેક શૈક્ષણિક સંસ્થાઓમાં પણ રાષ્ટ્રવાદને કોમી અને ધાર્મિક રંગ આપવા પ્રયત્ન થયો. પરંતુ સરકાર તેને એક રાષ્ટ્રીય ઓળખ તરીકે સ્થાપવામાં સફળ રહી છે.
11 વર્ષમાં ભાજપ એક વિશ્વનો સૌથી મોટો રાજકીય પક્ષ બન્યો. એક સમયે અન્યથી અલગ પોતાની ઓળખ બનાવ્યા બાદ ભાજપ તેના કોર એજન્ડા પર આગળ વધ્યો. હિન્દુત્વને મજબૂત કર્યુ, અયોધ્યામાં ભગવાન રામના મંદિરના નિર્માણ, કાશ્મીરમાં કલમ 370ની નાબુદી એ ભાજપની પ્રતિબદ્ધતા હતી જેનો અમલ થયો.
એટલું જ નહી સબકા સાથ સબકા વિકાસ સબકા વિશ્વાસને જે રીતે ભારતમાં એક મંત્ર બનાવ્યો તેમાં ભાજપ જાણતુ હતુ કે સતાનો માર્ગ સંગઠન મારફત જાય છે અને તેથી જ બુથ સુધીની મજબૂતાઈ એ ભાજપને વિજેતા બનાવે છે. પરંતુ પક્ષનો આગળનો માર્ગ પણ તેટલો જ મુશ્કેલ છે. ખાસ કરીને પક્ષને માટે આગામી સમયમાં નવુ નેતૃત્વ એ સૌથી મહત્વનું બની જશે.
મોદી યુગના અંત બાદ ભાજપ પાસે એવો કયો ચહેરો છે કે જે તેને સતત વિજય બનાવી રાખે. મોદી મેજીકને જાળવી રાખવું તે સૌથી મોટો પડકાર હશે, એટલું જ નહી ભાજપને દક્ષિણમાં તેનો ઝંડો લહેરાવવો એ પણ સૌથી પડકારજનક કામ હશે.