Rajkot,તા.9
રાજકોટ જીલ્લા કલેકટર તંત્ર અને લોકમેળા સમિતિ દ્વારા આગામી જન્માષ્ટમી પ્રસંગે સૌરાષ્ટ્રની ભાતીગળ લોક સંસ્કૃતિની ઝલક દર્શાવતા લોકમેળાનું આયોજન કરવામાં આવેલ છે જેની આગવી તૈયારીઓ સ્વરૂપે આ વખતે વહેલાસર આજથી જ ફોર્મ વિતરણ શરૂ કરી દેવામાં આવ્યું છે પરંતુ આજે બપોર સુધીમાં વેપારીઓએ આ લોકમેળાના સ્ટોલ અને પ્લોટ માટે એક પણ ફોર્મ ઉપાડેલ નથી.
દરમ્યાન લોકમેળાને રાઈડ્સની એસઓપીમાં બાંધછોડ કરવા સહિતના પ્રશ્નો આ વખતે રાઈડસ સંચાલકો અને વેપારીઓએ ઉઠાવેલ છે. જેમાં રાઈડસ સંચાલકો દ્વારા આજે બપોરે બાલભવન ખાતે બેઠક આયોજીત કરવામાં આવેલ છે.
રાઈડસ સંચાલકોએ આ વખતે અગાઉથી જ જણાવી દીધું હતું કે જયાં સુધી રાઈડસના ફાઉન્ડેશન સહિતની એસઓપીમાં વહીવટી તંત્ર દ્વારા બાંધછોડ નહીં કરાય ત્યાં સુધી રાઈડસ સંચાલકો અને વેપારીઓ ફોર્મ ઉપાડશે નહીં. જેના પગલે આ લોકમેળો અત્યારથી વિવાદમાં સપડાય તેવા સંજોગોનું નિર્માણ થઈ રહ્યું છે.
અહીં એ ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે પણ જન્માષ્ટમીના લોકમેળામાં રાઈડસના ફાઉન્ડેશન અને કડક નિયમોના મુદ્દે વિવાદ સર્જાયેલ હતો. અને આ મામલો ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો. આ સમયે પણ ગુજરાત હાઈકોર્ટે લોકોની સુરક્ષાના ભોગે એસઓપીમાં કોઈ બાંધછોડ કરવાનો ઈન્કાર કરી દીધો હતો.
હવે ચાલુ વર્ષે પણ ફરી આ જ મુદ્દે વિવાદના વમળ સર્જાવાનું શરૂ થવા પામેલ છે. આજે બપોરના બાલભવન ખાતે યોજાનાર બેઠકમાં પણ એસઓપીમાં બાંધછોડ કરવાની માંગણી સાથે ખાસ ઠરાવ પસાર કરવામાં આવનાર હોવાનુ જાણવા મળેલ છે.
12 લાખ લોકોની સુરક્ષાનો પ્રશ્ન છે, SOPમાં કોઈ બાંધછોડ કરાશે નહીં: કલેકટર
લોકમેળાના રાઈટસ સંચાલકોએ એસઓપી હળવી કરાવવાનું માંગણી ઉઠાવી છે ત્યારે આ અંગે રાજકોટ જીલ્લા કલેકટર પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે 12 લાખ લોકોની સુરક્ષાનો આ પ્રશ્ન છે. લોકમેળા અને રાઈડસની એસઓપીમાં તંત્ર દ્વારા કોઈપણ જાતની બાંધછોડ કરવામાં આવશે નહીં.
લોકમેળા અને રાઈડસ માટેની એસઓપી રાજય સરકાર દ્વારા તૈયાર કરવામાં આવી છે. જો આગામી સમયમાં રાઈડસ સંચાલકો હરરાજીમાં ભાગ નહીં લે તો બહારના રાજયોમાંથી પણ રાઈડસ સંચાલકોને બોલાવવાની વહીવટી તંત્ર તૈયારી કરશે.