Rajkot, તા.1
એચપીવી (સર્વાઈકલ કેન્સર માટે) રસીનું અભિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા 28 ફેબ્રુઆરીનાં રોજ દેશમાં શરૂ કરવામાં આવેલ હતું. આ રસીકરણમાં જે દિકરીઓના 14 વર્ષ પૂર્ણ થયા હોય અને 15 વર્ષ પૂર્ણ ન થયા હોય તે વર્ષ સમુહને એચપીવી રસી આપવામાં આવી રહી છે.
રાજ્ય સરકારશ્રી દ્વારા મહાનગરપાલિકા રાજકોટને એચપીવી રસીકરણ માટે 10,622 નો લક્ષ્યાંક આપવામાં આવેલ હતો. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ લક્ષ્યાંક તા.24.04.2026 ના રોજ 100% પૂર્ણ કરી રાજ્યમાં પ્રથમ સ્થાન હાસલ કરેલ છે. સરકારશ્રી દ્વારા આ સિદ્ધી બદલ એવોર્ડ પ્રદાન કરેલ છે.

આ કામગીરીની સિદ્ધિ બદલ તંત્રએ શહેરની જાગૃત જનતા, શાળા સંચાલકો અને ખાસ કરીને 14-15 વર્ષની દિકરીઓનો આભાર માન્યો છે. આ ઉપરાંત રાજકોટ ખાતે તમામ સદસ્યોની મોટીવેશન બાબતે મદદ મળેલ હતી.
આ કામગીરી ખંતથી કરવા બદલ આશા બહેનો, ફીમેલ હેલ્થ વર્કર બહેનો, આર.બી.એસ.કે. ટીમના સદસ્યો, મેડીકલ ઓફિસરો, નાયબ આરોગ્ય અધિકારીઓ, આર.સી.એચ.અધિકારી, આરોગ્ય અધિકારીને નાયબ કમિશ્નર સી.કે.નંદાણી અને કમિશનર તુષાર સુમેરા દ્વારા અભિનંદન પાઠવી બીરદાવેલ છે.
આ અભિયાન તા.31.05 સુધી ચાલુ રાખવાનું હોય. જો કોઈ 14-15 વર્ષની દિકરી આ રસીકરણમાં બાકી રહી ગયેલ હોય તો નજીકના આરોગ્ય કેન્દ્ર પર જઈ એચપીવી રસી મેળવી લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

