Rajkot ,તા.13
રાજયના પુર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનુ વિમાન દુર્ઘટનામાં નિધન થતા સમગ્ર રાજકોટમાં આઘાત છે. ‘કોમનમેન’ તરીકે દરેક સાથે આત્મીયતા ધરાવતા અને પ્રજાહિતમાં રાજકારણને પણ બાજુએ રાખી દેનારા આ સંવેદનશીલ નેતાના અવસાનથી કોંગ્રેસ નેતાઓએ પણ દુખ દર્શાવ્યુ છે એટલુ જ નહીં, રાજકોટના વિકાસમાં તેમનુ મોટુ યોગદાન હોવાથી તેમની અંતિમયાત્રા વખતે સ્વયંભુ બંધ પાડવાનુ આહવાન કર્યુ છે.
કોંગ્રેસના પુર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજયગુરુ તથા શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીએ કહ્યું કે રાજકોટના મેયરથી માંડીને સાંસદ- મુખ્યમંત્રી સુધીની સફર દરમ્યાન રાજકોટના વિકાસ માટે કરેલી પ્રજાહિતની કામગીરી કાયમ યાદ રહેશે.
અદના આદમી- કાર્યકરથી માંડીને તમામ લોકો સાથે પારિવારિક નાતો ધરાવતા હતા. વ્યસ્ત શિડયુલમાં પણ કોઈપણ સામાજીક કાર્યક્રમોમાં હાજરી આપવાનુ ચુકતા ન હતા.
પુજીત રૂપાણી ચેરીટેબલ ટ્રસ્ટ મારફત આ અન્ય સંસ્થાઓ થકી સામાન્ય માણસોથી જીવદયા સુધીના કાર્યો કર્યા છે. તેઓ હયાત ન હોવાનુ હજુ માની શકાતુ નથી. રાજકોટ વિજયભાઈનુ કાયમી ઋણી રહે.
આ ઋણ ચુકવવા માટે તેમની અંતિમયાત્રા વખતે વેપારધંધા સહિતની પ્રવૃતિ બંધ રાખીને શ્રદ્ધાંજલી પાઠવવા આહવાન કર્યુ છે.