Ahmedabad,તા.૧૩
અમદાવાદમાં ૧૨ જૂને બપોરે એર ઈન્ડિયાનું વિમાન દુર્ઘટનાનો શિકાર બન્યું હતું. આ દુર્ઘટનામાં રેસ્ક્યુ ઓપરેશન લગભગ સમાપ્ત થઈ ગયું છે. આ દુ્ર્ઘટનામાં ૨૪૧ લોકોના મોત થયા જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સામેલ છે. આ ભીષણ દુર્ઘટનામાં માત્ર એક વ્યક્તિનો જીવ બચ્યો છે. રેસ્ક્યુ ઓપરેશન રમિયાન સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે ધમાકા બાદ આગના ગોળાએ વિમાન અને આસપાસની વસ્તુને કઈ રીતે નુકસાન પહોંચાડ્યું છે. પરંતુ રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન એક ભગવત ગીતા મળી આવી છે. સંભવતઃ કોઈ યાત્રી આ પવિત્ર ગ્રંથને સાથે રાખી અમદાવાદથી લંડનની યાત્રા કરી રહ્યો હશે. જ્યાં બધા સામાન સળગીને રાખ થઈ ગયો છે, ત્યાં ભગવત ગીતા સંપૂર્ણ રીતે સુરક્ષિત અને વાંચવા યોગ્ય અવસ્થામાં હતા. ત્યાં હાજર લોકો તેને ચમત્કારની જેમ જોઈ રહ્યાં છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં, એક વ્યક્તિ અકસ્માત સ્થળે કાટમાળમાંથી ગીતાના પાના બતાવતો જોવા મળે છે. વિમાનના ખરાબ રીતે બળી ગયેલા અને ક્ષતિગ્રસ્ત ભાગો વચ્ચે ભગવદ ગીતાની સલામત શોધ માત્ર ચમત્કારિક માનવામાં આવી રહી નથી, પરંતુ તે લોકોની શ્રદ્ધા અને ભક્તિનું પ્રતીક પણ બની ગઈ છે. અકસ્માત સ્થળે હાજર એક વ્યક્તિ ગીતાના પાના બતાવતો આ વીડિયો સોશિયલ મીડિયા પર લોકોની લાગણીઓને સ્પર્શી ગયો છે.
આ વચ્ચે લંડન સ્થિત એક હિંદુ મંદિરમાં લગભગ ૧૦૦ લોકો એકઠા થયા અને મૃતકોની આત્માની શાંતિ તથા પીડિત પરિવારો માટે પ્રાર્થના કરી. યોગવિવેકદાસ સ્વામીએ સભાને સંબોધિત કરતા કહ્યુ કે આ ઘડીમાં પ્રાર્થના સૌથી મોટો સહારો છે. તેમણે કહ્યું કે આ સમય સામૂહિક સંવેદના અને આત્મચિંતનનો છે.
તમને જણાવી દઈએ કે આ દુર્ઘટના તેવા સમયે થઈ જ્યારે અમદાવાદ એરપોર્ટ પરથી એર ઈન્ડિયાના વિમાન ડ્રીમલાઈનરે લંડન માટે ઉડાન ભરી હતી. ઉડાન ભરવાની સાથે વિમાન એરપોર્ટ નજીક મેઘાણીનગર વિસ્તારમાં ક્રેશ થઈ ગયું હતું. આ વિમાનમાં કુલ ૨૪૨ લોકો સવાર હતા, જેમાં માત્ર વિશ્વાસકુમાર નામના વ્યક્તિનો બચાવ થયો છે. તે સીટ નંબર ૧૧છ પર ઈમરજન્સી દ્વારની બાજુમાં બેઠો હતો.