Ahmedabad,તા.૧૪
ભગવાન જગન્નાથજીની ૧૪૯મી રથયાત્રાને હવે ગણતરીના કલાકો જ બાકી છે ત્યારે સમગ્ર અમદાવાદ શહેર ભક્તિના રંગે રંગાવા અને પ્રભુના સ્વાગત માટે સજ્જ બન્યું છે. સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવા માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉચ્ચ અધિકારીઓ સાથે સમગ્ર રૂટનું ગ્રાન્ડ રિહર્સલ અને નિરીક્ષણ કર્યું હતું. આ વર્ષે રથયાત્રાને વિઘ્નરહિત અને શાંતિપૂર્ણ રીતે સંપન્ન કરવા માટે ૩૦ હજારથી વધુ પોલીસ જવાનોના ચુસ્ત બંદોબસ્ત સાથે પહેલીવાર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) ટેક્નોલોજી, ડ્રોન અને ૧૦૦૦ જેટલા બોડી-વોર્ન કેમેરા જેવા સ્માર્ટ પોલીસિંગ હથિયારોનો ઉપયોગ કરવામાં આવશે.
અમદાવાદમાં રથયાત્રાને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજ્ય સરકારે આ વર્ષે એવી વ્યવસ્થા ગોઠવી છે કે વધુમાં વધુ શહેરીજનો ભગવાન જગન્નાથના દર્શન સરળતાથી કરી શકે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આ વખતે માત્ર કાયદો અને વ્યવસ્થા જ નહીં પરંતુ સામાજિક વ્યવસ્થાને પણ કેન્દ્રમાં રાખીને વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર રથયાત્રાનો કાફલો અંદાજે ૩ કિલોમીટર લાંબો રહેશે, જેમાં ૧૮ ગજરાજ, ૧૦૩ ટ્રક સહિત અનેક ધાર્મિક અને સાંસ્કૃતિક ઝાંખીઓ જોડાશે. રથયાત્રા ૧૬ જુલાઈએ સવારે ૭ વાગ્યે જગન્નાથ મંદિરથી પ્રસ્થાન કરશે. બપોરે સરસપુર ખાતે ભગવાનનો પરંપરાગત વિસામો રહેશે અને સાંજે અંદાજે ૮ વાગ્યે રથયાત્રા ફરી નિજ મંદિર પરત ફરશે.
સુરક્ષા વ્યવસ્થા અંગે હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે સમગ્ર રૂટ પર ૩૦ હજારથી વધુ પોલીસ કર્મચારીઓ, ૧૫ એસઆરપીએફ કંપનીઓ અને ૯ પેરામિલિટરી ફોર્સની ટુકડીઓ તૈનાત રહેશે. બંદોબસ્ત સ્ટેટિક અને મૂવિંગ – બંને પ્રકારનો રહેશે. રૂટ પર વિવિધ સ્થળોએ ચેકિંગ પોઈન્ટ, બેરિકેડિંગ અને કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અમદાવાદ પોલીસે રથયાત્રા પૂર્વે અસામાજિક તત્વો સામે સફળ કોમ્બિંગ ઓપરેશન ચલાવી અનેક શંકાસ્પદ તત્વોને કાયદાના ભોગે ચડાવ્યા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. આ વર્ષે પ્રથમ વખત સ્માર્ટ પોલીસિંગને વધુ મજબૂત બનાવવા માટે છૈં ટેક્નોલોજી, ડ્રોન સર્વેલન્સ, ૧૦૦૦ બોડી-વોર્ન કેમેરા, તેમજ પિકપોકેટર અને વોન્ટેડ આરોપીઓને ઓળખી શકાય તેવા સ્પેશિયલ છૈં કેમેરાનો ઉપયોગ કરવામાં આવશે.
ગજરાજોની સલામતીને ધ્યાનમાં રાખીને તમામ હાથીઓ પર ક્રિપ્ટોમીટર અને ડેસિબલ મીટર લગાવવામાં આવ્યા છે. હર્ષ સંઘવીએ શહેરજનોને અપીલ કરી હતી કે ગજરાજો પસાર થાય ત્યાં સુધી ડીજે કે ઊંચા અવાજનું સંગીત ન વગાડે, જેથી ગજરાજને કોઈ તકલીફ ન પડે.
સોશિયલ મીડિયા પર પણ પોલીસની સતત નજર રહેશે અને અફવા ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે ૧૬ જુલાઈની વહેલી સવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જગન્નાથ મંદિરમાં મંગળા આરતીમાં ઉપસ્થિત રહેશે, જ્યારે પરંપરા મુજબ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભગવાન જગન્નાથની પવિત્ર ’પહિંદ વિધિ’ કરશે.
અંતમાં તેમણે અમદાવાદના નાગરિકોને અપીલ કરી કે રથયાત્રા દરમિયાન પોલીસ અને વહીવટી તંત્રને સહયોગ આપે, ભયજનક અથવા જર્જરિત ઇમારતો નજીક ઊભા ન રહે અને શાંતિ, સૌહાર્દ તથા ભક્તિભાવ સાથે ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક રથયાત્રામાં જોડાઈ આસ્થાના આ મહાપર્વને સફળ બનાવે. તેમણે ગુજરાત પોલીસ અને સમગ્ર વહીવટી તંત્ર તરફથી તમામ શહેરીજનોને રથયાત્રાની શુભેચ્છાઓ પણ પાઠવી.

