Toronto,તા.18
ભારત અને કેનેડા વચ્ચે છેલ્લા દોઢ વર્ષથી સર્જાયેલા તંગ સંબંધો હવે ફરી પાટે ચડવા લાગ્યા હોય તેમ બન્ને દેશો વચ્ચે ફરી રાજદ્વારીઓની નિયુક્તિ કરવા સહમતી સધાઈ છે. જી-7 દેશોની સમીટમાં ખાસ મહેમાન તરીકે આમંત્રીત ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કેનેડાના વડાપ્રધાન માર્કે કાર્નીએ 40 મીનીટની બેઠક કરી હતી અને તેમાં આ મહત્વપૂર્ણ સમજુતી થઈ હતી.
બન્ને દેશોના પાટનગરમાં રાજદૂતોની નિયુક્તિ વ્હેલીતકે કરવા મોદી તથા કાર્ની સંમત થયા હતા અને ત્યારબાદ રાજદ્વારીઓની સંખ્યા તબકકાવાર વધારવા તથા રાજદૂતાવાસની કામગીરી સામાન્ય બનાવવા નકકી થયુ હતું.
આ ઉપરાંત મુકત વ્યાપાર કરાર વિશે સ્થગીત મંત્રણા ફરી આગળ વધારવા સહમતી સાધવામાં આવી હતી. સાથોસાથ દ્વિપક્ષી સહયોગ વધારવા સહિતના મુદ્દાઓને વાતચીતમાં આવરી લેવામાં આવ્યા હતા.
વડાપ્રધાને બેઠકમાં કહ્યું હતું કે, ભારત માટે કેનેડા સાથેના સંબંધો મહત્વપૂર્ણ છે. બન્ને દેશો સાથે મળીને લોકતાંત્રીક મૂલ્યોને મજબૂત કરવા તથા માનવતા માટે કામ કરશે. અનેક ક્ષેત્રોમાં પ્રગતિ સાધવામાં આવશે.
બીજી તરફ કેનેડાના વડાપ્રધાન કાર્નીએ કહ્યું કે મોદીનું સ્વાગત કરીને કેનેડા ગર્વ અનુભવે છે. ઔદ્યોગીક, એઆઈ, ઉર્જા, સુરક્ષા તથા આતંકવાદ જેવા મુદાઓ પર બન્ને દેશો સાથે મળીને કામ કરશે.
ભારત-કેનેડાના વડાપ્રધાન વચ્ચેની બેઠક વિશે ભારતીય વિદેશ સચીવ વિક્રમ મિસરીએ કહ્યું કે બેઠકમાં બન્ને દેશો વચ્ચેના સંબંધોની મહત્વતા પર વાતચીત થઈ હતી. બન્ને દેશો વચ્ચે ઘણી સામ્યતા છે.
સંબંધોને સામાન્ય બનાવવા પર ખાસ જોર આપવામાં આવ્યુ હતું. કલીન એનર્જી, ટેકનોલોજી, ડીજીટલ ઈન્ફ્રાસ્ટ્રકચર, એઆઈ, કિંમતી ધાતુ તથા સપ્લાયચેઈન જેવા મહત્વપૂર્ણ મુદાઓ પર વાતચીત થઈ હતી. ઉપરાંત મુકત વેપાર પર અટવાયેલી અધિકારી સ્તરની વાતચીત આગળ ધપાવવા સૂચના આપવામાં આવી હતી.
કેનેડાના પુર્વ વડાપ્રધાન જસ્ટીન ટ્રુડોએ પોતાના નાગરિકોની હત્યા માટે ભારત પર આરોપ લગાવ્યો હતો. ખાલીસ્તાની આતંકવાદી નિજજરની હત્યા માટે ભારત પર આંગળી ચીંધી હતી અને ત્યારથી બન્ને દેશો વચ્ચેના સંબંધોમાં તનાવ શરૂ થયો હતો.