Pakistan,,તા.21
પાકિસ્તાન સરકારે વર્ષ 2026ના શાંતિ નોબેલ પુરસ્કાર માટે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું નામ નોમિનેટ કર્યું છે. પાકિસ્તાનનું કહેવું છે કે ભારત-પાકિસ્તાન વચ્ચેના તણાવ દરમિયાન ટ્રમ્પની રાજદ્વારી પહેલ અને મધ્યસ્થીએ એક મોટું યુદ્ધ ટાળવામાં મદદ કરી હતી.
પાકિસ્તાન સરકારે પોતાના સત્તાવાર નિવેદનમાં કહ્યું કે, ’અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે નવી દિલ્હી અને ઈસ્લામાબાદ બંને સાથે વાત કરીને યુદ્ધવિરામમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. આનાથી બે પરમાણુ શક્તિઓ વચ્ચે યુદ્ધની શક્યતા ટળી ગઈ.’
બીજી તરફ પાકિસ્તાને પણ કાશ્મીર મુદ્દા પર ટ્રમ્પની મધ્યસ્થીની ઓફરની પ્રશંસા કરી અને કહ્યું કે, ’જ્યાં સુધી કાશ્મીર મુદ્દો ઉકેલાય નહીં ત્યાં સુધી આ ક્ષેત્રમાં કાયમી શાંતિ સ્થાપિત થઈ શકશે નહીં.’
મને નોબેલ શાંતિ પુરસ્કાર નહી મળે: ટ્રમ્પનુ દર્દ છલકાયુ
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને નથી લાગતું કે તે નોબેલ શાંતિ પુરસ્કાર જીતી શકશે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું કે, ’મને જણાવતા આનંદ થાય છે કે વિદેશ મંત્રી માર્કો રુબિયો સાથે મળીને, અમે ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો અને રિપબ્લિક ઓફ રવાન્ડા વચ્ચે એક સંધિ કરાવી છે.
આ આફ્રિકા માટે એક મહાન દિવસ છે અને વિશ્વ માટે પણ એક મહાન દિવસ છે. પરંતુ મને આ માટે નોબેલ શાંતિ પુરસ્કાર નહીં મળે. ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધને રોકવા માટે મને નોબેલ પુરસ્કાર નહીં મળે. સર્બિયા અને કોસોવો વચ્ચેના યુદ્ધને રોકવા માટે મને નોબેલ પુરસ્કાર નહીં મળે.
ઇજિપ્ત અને ઇથોપિયા વચ્ચે શાંતિ પુન:સ્થાપિત કરવા માટે મને નોબેલ પુરસ્કાર નહીં મળે.’
નોબેલ પુરસ્કાર 2026 માટે સત્તાવાર નોંધણી સપ્ટેમ્બરમાં શરૂ થશે. જો કે, છેલ્લી તારીખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. 2025ના નોબેલ શાંતિ પુરસ્કાર માટે નામાંકન માટેની છેલ્લી તારીખ 31 જાન્યુઆરી હતી. વર્ષ 2025ના નોબેલ શાંતિ પુરસ્કાર માટે 338 નામાંકનો આવ્યા હતા.
જેમાંથી 244 વ્યક્તિઓ અને 94 સંસ્થાઓ હતી. 2023માં આ પુરસ્કાર માટે 286 ઉમેદવારો નામાંકિત થયા હતા. 2016માં સૌથી વધુ 376 નામાંકનો આવ્યા હતા.