Mumbai,તા.23
હરિયાણવી ઇન્ડસ્ટ્રીમાંથી શોકાતૂર સમાચાર ળી રહ્યા છે. કન્ટેન્ટ ક્રિએટર અને અભિનેત્રી દિવ્યાંકા સિરોહીનું નિધન થયું છે. મંગળવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. દિવ્યાંકાની મોટી બહેન આરતીએ ઇન્સ્ટા પર પોસ્ટ શેર કરીને બહેનના મોતના દુઃખદ સમાચાર શેર કર્યા છે. ઇન્સ્ટા પોસ્ટમાં લખ્યું છે- ‘ખૂબ જ દુઃખ સાથે જણાવવા માંગુ છું કે મારી નાની બહેન દિવ્યાંકાનું 21 એપ્રિલે નિધન થયું છે. ભગવાન તેના આત્માને શાંતિ આપે.’પરિવારના જણાવ્યા મુજબ તેનું શરીર અકડાઈ ગયું હતું અને હળવો સોજો પણ દેખાઈ રહ્યો હતો. અચાનક શું થયું હતું, તે હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી. પ્રાથમિક આશંકા હાર્ટ એટેકની વ્યક્ત કરવામાં આવી રહી છે. જો કે મોતનું વાસ્તવિક કારણ સ્પષ્ટ નથી.
માહિતી મુજબ ગાઝિયાબાદના રાજનગર એક્સટેન્શન સ્થિત પોતાના ઘરે દિવ્યાંકાની અચાનક તબિયત બગડી હતી અને તે ચક્કર ખાઈને જમીન પર પડી ગઈ હતી. બુધવારે સવારે દિવ્યાંકાના અંતિમ સંસ્કાર તેના વતનમાં કરવામાં આવ્યા હતા. ઘટના અંગે પરિવારે જણાવ્યું કે મંગળવારે દિવ્યાંકા નોર્મલ હતી. તેણે પોતાના ભાઈ માટે જમવાનું પણ બનાવ્યું હતું. જો કે તેણે હળવી તબિયત ખરાબ હોવાની વાત ચોક્કસ કહી હતી. આ દરમિયાન તેનો ભાઈ કોઈ જરૂરી કામથી બહાર ગયો હતો. બહાર જતી વખતે તેણે ઘરનો ગેટ બંધ કરવા માટે મેસેજ કર્યો હતો, જેનો દિવ્યાંકાએ ‘OK’માં જવાબ પણ આપ્યો હતો. પરંતુ જ્યારે પરિવારના સભ્યો પાછા ફર્યા ત્યારે દિવ્યાંકા મૃત અવસ્થામાં મળી આવી હતી.
દિવ્યાંકાના મોત સમાચારથી તેના ચાહકો સ્તબ્ધ થઈ ગયા છે. અભિનેત્રીની ઉંમર માત્ર 30 વર્ષ હતી. આટલી નાની ઉંમરમાં દિવ્યાંકાનું આ રીતે દુનિયા છોડીને ચાલ્યા જવું તેના પરિવાર અને ચાહકો માટે આઘાતજનક છે. દિવ્યાંકાના ઇન્સ્ટા પર 1.3 મિલિયન ફોલોઅર્સ હતા.મહત્વનું છે કે દિવ્યાંકાનો જન્મ 19 નવેમ્બર 1996ના રોજ બુલંદશહેરમાં થયો હતો. તેનું પૈતૃક ગામ પણ બુલંદશહેરમાં છે. તે હાલમાં પોતાના ભાઈ અને બહેન સાથે ગાઝિયાબાદના રાજનગર એક્સટેન્શનની એક સોસાયટીમાં રહેતી હતી. દિવ્યાંકાએ મેરઠમાં ચૌધરી ચરણ સિંહ યુનિવર્સિટીમાંથી BCA કર્યું હતું. ત્યારબાદ સિક્કિમથી MBA ની ડિગ્રી મેળવી હતી.દિવ્યાંકાના નિધન બાદ તેની ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પર પિન કરવામાં આવેલી એક પોસ્ટ ચર્ચાનું કેન્દ્ર બની ગઈ છે. 9 જૂન 2023ની પોસ્ટમાં તેણે ભગવાન શિવને સંબોધતા એક ઈમોશનલ કેપ્શન લખ્યું હતું કે-ભગવાન શિવ મને તમારા પાસે લઈ જાઓ, અને તે પોસ્ટ તેને પીન પણ કરેલી છે. જેવી લોકોની નજર આ પોસ્ટ પર પડી, કોમેન્ટ સેક્શનમાં શ્રદ્ધાંજલિથી ભરેલા મેસેજનું પૂર આવી ગયું. ઘણા યુઝર્સે ‘ઓમ શાંતિ’, ‘મિસ યુ’ અને ‘ગોન ટુ સૂન’ (વહેલા ચાલ્યા ગયા) જેવા મેસેજ લખીને તેને શ્રદ્ધાંજલિ આપી હતી.

