Ahmedabad,તા.૧૮
ગુજરાત હાઈકોર્ટે નવસારી જિલ્લાના એક અત્યંત સંવેદનશીલ કેસમાં મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે. ૧૭ વર્ષની એક દુષ્કર્મ પીડિત સગીરાએ ૩૪ અઠવાડિયાના ગર્ભનો ગર્ભપાત કરવાની મંજૂરી માગતી અરજી કરી હતી, પરંતુ તબીબી નિષ્ણાતોના અભિપ્રાયને આધારે કોર્ટે અરજી નામંજૂર કરી છે. કોર્ટે જણાવ્યું કે આ તબક્કે ગર્ભપાત કરાવવાથી સગીરાના જીવ અને સ્વાસ્થ્યને ગંભીર જોખમ થઈ શકે છે.
આ સમગ્ર ઘટના ત્યારે સામે આવી જ્યારે સગીરા પોતાની મોટી બહેન સાથે તેના બાળકને પોલિયોના ટીપાં પીવડાવવા આંગણવાડી કેન્દ્ર પર ગઈ હતી. ત્યાં ફરજ પર રહેલા સ્વાસ્થ્ય કર્મચારીને સગીરાની શારીરિક સ્થિતિ અંગે શંકા જતાં પ્રેગ્નન્સી ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો, જેમાં ગર્ભાવસ્થા હોવાની પુષ્ટિ થઈ હતી. ત્યારબાદ તબીબી તપાસ અને સોનોગ્રાફી દરમિયાન જાણવા મળ્યું કે સગીરા સાત મહિનાથી વધુની ગર્ભવતી હતી. આ અંગે ડૉક્ટરે કાયદેસરની કાર્યવાહી માટે પોલીસને જાણ કરી હતી.
પોલીસ તપાસ દરમિયાન પીડિતાના નિવેદનના આધારે જાણવા મળ્યું કે તેના જ સગા મોટા ભાઈએ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે બીલીમોરા પોલીસ મથકે ભારતીય ન્યાય સંહિતા તથા પોક્સો કાયદા હેઠળ ગુનો નોંધાયો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.
સગીરાની તરફથી હાઈકોર્ટમાં ગર્ભપાતની મંજૂરી માટે અરજી કરવામાં આવી હતી. કોર્ટના આદેશ બાદ સુરત સિવિલ હોસ્પિટલના મેડિકલ બોર્ડે પીડિતાની તપાસ કરી હતી. ગર્ભની અવધિ લગભગ ૩૪ અઠવાડિયા હતી. ભ્રૂણ સંપૂર્ણ જીવંત હતું. ભ્રૂણનું વજન અંદાજે ૨ કિલોથી વધુ હતું. આ તબક્કે ગર્ભપાત કરવાથી માતાના જીવ અને ભવિષ્યની પ્રજનન ક્ષમતા પર ગંભીર અસર પડી શકે તેવી શક્યતા હોવાનું તબીબોએ જણાવ્યું હતું. આ અભિપ્રાયને ધ્યાનમાં રાખીને હાઈકોર્ટે ગર્ભપાતની મંજૂરી આપી નહોતી.
હાઈકોર્ટે રાજ્ય સરકાર અને સંબંધિત તંત્રને નીચે મુજબના નિર્દેશ આપ્યા છેઃ પીડિતાની પ્રસૂતિ સુધી સુરત સિવિલ હોસ્પિટલમાં સંપૂર્ણ સારવાર અને દેખરેખ રાખવી.

