Ahmedabad,તા.1
મંદીની અસર રિયલ એસ્ટેટ સેક્ટર પર જોવા મળી રહી છે, જેના કારણે ગુજરાતમાં પ્રોપર્ટીના વેચાણમાં તીવ્ર ઘટાડો થયો છે, તેમાં પણ મંદીનો સૌથી વધુ માર અમદાવાદ પર પડ્યો છે. વેચાણ ઘટવાના કારણે બિલ્ડર્સ નવા રેસિડેન્શિયલ અને રિડેવલોપમેન્ટ પ્રોજેક્ટ્સ શરૂ કરવા પ્રત્યે ઉદાસીન બન્યા છે. થલતેજ, સિંધુભવન અને ઈસ્કોન-આંબલી જેવા વિસ્તારોમાં 66 ટકા રેસિડેન્શિયલ પ્રોજેક્ટ્સ વેચાયા વગરના પડ્યા છે.
આ ટ્રેન્ડ અંગે અમદાવાદ રિયલ્ટર એસોસિયેશનના સૂત્રોએ જણાવ્યું હતું કે, આ ફક્ત થલતેજ, સિંધુભવન અને ઈસ્કોન-આંબલી જ નહીં પરંતુ અમદાવાદમાં ઘણા વિસ્તારોમાં અનસોલ્ડ ઈન્વેન્ટરી એટલે કે વેચાયા વગરનો પૂરવઠો વધી રહ્યો છે. ઘણા પ્રોજેક્ટ્સ પૂરા થઈ ગયા છે પરંતુ તેનું વેચાણ થઈ રહ્યું નથી.
હાઈ બ્રોકેરજ ઓફર કરવામાં આવી રહ્યું હોવા છતાં બિલ્ડર્સ ઘર વેચવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. કેટલાક એક્સ્પર્ટ્સનું કહેવું છે કે અમદાવાદમાં વેચાયા વગરનો પૂરવઠો 45 ટકા જેટલો છે, એટલે કે અડધો અડધ પ્રોજેક્ટ્સ વેચાયા વગરના છે.
મંદીની અસર રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ પર પણ પડી છે. અર્બન રેડવલપમેન્ટ હાઉસિંગ સોસાયટી વેલફેર એસોસિયેશનના પ્રમુખ જિતેન્દ્ર શાહે જણાવ્યું હતું કે, રેસિડેન્સિયલ સેગ્મેન્ટમાં પૂરવઠો વધારે પડતો થઈ ગયો છે અને તેથી રિડેવલપમેન્ટ સ્કીમ્સ સાથે સંકળાયેલા ઘણા બિલ્ડર્સ હવે વિચારી રહ્યા છે કે તેમણે વધુ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ લેવા જોઈએ કે નહીં.
રિયલ એસ્ટેટ સેક્ટરમાંમંદી છે અને જંત્રીના દરના કારણે સમગ્ર પ્રોજેક્ટની કોસ્ટને અસર પડી છે. લિક્વિડિટીના મુદ્દાઓ પણ ખરીદદારોના સેન્ટિમેન્ટને અસર કરી રહ્યા છે જેના કારણે રેસિડેન્શિયલ એકમોનું વેચાણ ધીમું થઈ રહ્યું છે.
બિલ્ડર્સ અને ડેવલોપર્સનું કહેવું છે કે રિયલ એસ્ટેટ સેક્ટરમાં વેગ આપવા માટે સરકારની સહાયની જરૂર છે. રાજયશ ગ્રુપના રાજન શાહે જણાવ્યું હતું કે, તેમનું ગ્રુપ અમદાવાદમાં હાલમાં સાત રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યું છે પરંતુ રિયલ એસ્ટેટ સેક્ટરમાં આવેલી મંદીના કારણે તેમણે બે પ્રોજેક્ટ હોલ્ડ પર મૂકી દીધા છે.
તેમનું કહેવું છે કે, એક તો રિયલ એસ્ટેટ સેક્ટર મંદુ છે અને તેમાં પણ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ માટે સરકારના ઓછા સપોર્ટના કારણે પરિસ્થિતિ વધારે ખરાબ બની છે. જો ગુજરાત સરકાર રિડેવલપમેન્ટ સ્કીમ્સ પરના ટેક્સમાં ઘટાડો કરે અથવા તો તેને દૂર કરે, તો બિલ્ડર્સ આવા વધારે પ્રોજેક્ટ્સ પર કામ કરવા માટે તૈયાર છે, કેમ કે રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ ગૂંચવણ ભરેલા હોય છે અને તેમાં વધારે રિટર્ન પણ મળતું નથી.
ડેટા પ્રમાણે રેજિસ્ટર્ડ રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સમાં અમદાવાદ ટોચ પર છે અને ત્યારબાદ વડોદરાનો નંબર આવે છે. ગુજરાતમાં રિયલ એસ્ટેટ સેક્ટરમાં કુલ 3.46 લાખ કરોડ રૂપિયાનું રોકાણ થયું છે અને તેમાંથી એકલા અમદાવાદમાં 1.45 લાખ કરોડ એટલે કે 42 ટકા રોકાણ થયું છે.
કેટલાક એર્ક્સ્પ્ટ્સનું કહેવું છે કે અમદાવાદમાં વેચાયા વગરનો પૂરવઠો 45 ટકા જેટલો છે, એટલે કે અડધો અડધ પ્રોજેક્ટ્સ વેચાયા વગરના છે. પ્રોપર્ટીનું વેચાણ ધીમું થઈ રહ્યું છે અને ડેવલોપર્સ નવા પ્રોજેક્ટ્સ શરૂ કરતાં અચકાઈ રહ્યા છે, તેથી સ્ટેકહોલ્ડર્સ હવે સરકાર પાસે નીતિગત હસ્તક્ષેપની અપેક્ષા રાખી રહ્યા છે જેથી રિયલ એસ્ટેટમાં ફરીથી તેજી આવે.