આજે અક્ષય તૃતીયાનો તહેવાર છે, વૈશાખ મહિનાની ત્રીજને અક્ષય તૃતીયા કહેવામાં આવે છે, અને એને અખાત્રીજ પણ કહેવાય છે. આમ તો સૌ કોઈ ઈશ્વરને પોતાનાં સુખ એટલે કે ભોગ વિલાસના સાધનોનો ક્યારેય ક્ષય થાય નહીં, એવું જ ઈશ્વર પાસે માંગતા હોય છે!: પણ હકીકતમાં આજના સાંપ્રત સમયમાં જે રીતે માનવતાનાં મૂલ્યોનું ધોવાણ થતું જોવાં મળે છે, એ રીતે વિચારીએ તો આ અક્ષય તૃતીયાએ આપણે સૌએ આપણાં માનવતાના ભાવમાં ક્યારેય ક્ષય થાય નહીં, એવી ઈશ્વરને પ્રાર્થના કરવી જોઈએ! મહાભારતમાં ભગવાન શ્રીકૃષ્ણએ પાંડવો જ્યારે અજ્ઞાતવાસમાં જતા હતા, ત્યારે દ્રૌપદીને અક્ષયપાત્ર આપ્યું હતું. પરંતુ તે છતાંય દ્રૌપદીએ કે પાંડવોએ અક્ષય પાત્રનો દુરુપયોગ કર્યો નહીં! આ વાત એ કાળની સચ્ચાઈ છે! આજે સંભવ નથી, એટલે કે આજે જો કોઈ પાસે એવું પાત્ર હોય તો, એ માત્ર તેનો જીવન નિર્વાહ પૂરતો ઉપયોગ ન કરે,એ એક સીધીસાદી અને સ્વીકારી શકાય એવી વાત છે. આજે આપણે જરૂરિયાતને નામે પણ એટલું બધું ઈચ્છતા થઈ ગયા છીએ, કે ખરેખર જેની જરૂર નથી, એનો પણ સંગ્રહ થતો જાય છે. વસ્તુ પદાર્થની રીતે તો હજી પણ સમયની માંગ તરીકે સ્વીકારી શકાય, એટલે કે 2 જોડ કપડાંની જરૂર હોય, અને 22 જોડ કપડાં કબાટમાં હોય છે! પણ માનસમાં જેનો ખરેખર ક્ષય થવો જોઈએ! એવાં ભાવ આપણે જીંદગીભર અક્ષય રાખીએ છીએ! અને જ્યાં સુધી એ ભાવનો ક્ષય નહીં થાય, ત્યાં સુધી આપણે સદભાવનાનું મુલ્ય જાણી શકીએ નહીં! તો ક્ષય કોનો થવો જોઈએ અને કોનો ન થવો જોઈએ! એ તફાવત પર આપણું ધ્યાન કેન્દ્રિત નહીં થાય, ત્યાં સુધી આવી કેટલીય અક્ષય તૃતીયાની ઉજવણી કરીશું, તોય અંતે તો આપણું પાત્ર ખાલી જ રહેશે!: અથવા તો જેની બિલકુલ જરૂર નથી એવાં ભાવથી ભરાયેલું રહેશે.
અખાત્રીજ ઊજવવાનાં શાસ્ત્રોમાં ત્રણ-ચાર કારણ બતાવાયા છે. અક્ષય તૃતીયાને પરશુરામ જયંતિ તરીકે પણ ઉજવવામાં આવે છે. પૂરેપૂરો વૈશાખ મહિનો વિષ્ણુની આરાધનાનો મહિનો છે. નારાયણ સ્વરૂપની ઉત્પત્તિ આ માસ દરમિયાન થઇ હતી. શાસ્ત્રોમાં બતાવ્યા મુજબ ત્રેતા યુગની શરૂઆત પણ આ દિવસથી થઈ હતી. શાસ્ત્રનાં કહેવા અનુસાર સતયુગની સ્થાપના પણ અક્ષય તૃતીયાથી થઈ હતી. ચૈત્ર માસને આપણે ત્યાં પિતૃનો માસ માનવામાં આવે છે, અને એ દિવસોમાં શુભ કાર્ય એટલે કે લગ્ન વાસ્તુ જેવા કાર્યો કરાતા નથી, ત્યારે અખાત્રીજથી વૈશાખી લગ્નનો પ્રારંભ થાય છે,અને જે કોઈના ગ્રહ નક્ષત્ર મુજબ જન્માક્ષરનો મેળ ન પડતો હોય એ યુવક યુવતીનાં આ દિવસે લગ્ન કરાવવાથી નક્ષત્ર દોષ સમાપ્ત થાય છે. હિન્દુ પ્રજા ઉત્સવ પ્રિય છે, એટલે કયા તહેવાર એ શું કરવું તેની આખી રૂપરેખા આપણે ત્યાં આપણા ઋષિઓએ નક્કી કરેલી છે
અક્ષયતૃતીયાને દિવસે દાન ઘર્મનો ખૂબ જ મહિમા છે, આપણી પ્રણાલીમાં દાનને આ રીતે જોડી દેવામાં આવે છે, જેથી અસમાનતાનો ગ્રાફ થોડો ઘણો સમ થઈ શકે. સાધન સંપન્ન લોકો સોના જેવી પવિત્ર ધાતુની ખરીદી પણ આ દિવસે કરે છે. આરાધનામાં સફેદ કલરનાં સાધનથી વિષ્ણુની પૂજા થાય છે,લાલ રંગના પુષ્પથી લક્ષ્મીની પૂજા થાય છે, અને આ ઉપરાંત કુબેરની પણ સ્થાપન કરી, તેની પણ પૂજા કરવામાં આવે છે. વિષ્ણુને પ્રસાદ તરીકે સફેદ વસ્તુનો ભોગ ધરવામાં આવે છે, આ થઈ તેની વૈદિક પરંપરા.
અક્ષયનો સીધો સાદો અર્થ કરીએ તો જેનો ક્યારેય ક્ષય નથી, એટલે કે ચિરંજીવી છે, અને તેથી જ આ તિથીને ચિરંજીવી તિથિ પણ કહેવામાં આવે છે, અને આઠ ચિરંજીવી પૈકીનાં એક એવાં ભગવાન પરશુરામ જન્મજયંતિ પણ છે. આ દિવસે દાન ધર્મનો એટલાં માટે મહત્વ છે કે, આ દિવસે કરાયેલું દાન એ અતિ ઉત્તમ સાબિત થાય છે, અને તેનું પુણ્ય ક્યારેય ક્ષય થતું નથી. એટલે કે પાપ પુણ્યનું સરવૈયું નીકળે ત્યારે આ પુણ્ય એમનેમ રહે છે, અને જન્મોજન્મ સાથે ચાલે છે, એટલે આપણે ત્યાં આ દિવસે દાન કરવાનો મહિમા છે. આ દિવસે ગંગા સ્નાનનો પણ મહિમા છે, પરંતુ સાંપ્રત સમયમાં એ શક્ય નથી માટે, ગંગામાં સ્નાન કરતાં હોઈએ એ રીતે સ્નાન કરીને તન મન પવિત્ર કરી આ વ્રતની ઉપાસના કરવી. પાપ-પુણ્યની કદાચ જીવની માનસિકતા નથી, પરંતુ દાન ચોક્કસ થવું જોઈએ, અને એ ભાવમાં ક્યારેક ક્ષય ન આવે એ માટે થઈને આપણે અક્ષય તૃતીયા એ પ્રભુને પ્રાર્થના કરવી જોઈએ.
ભાવનગર વાસીઓ માટે તો અક્ષય તૃતીયાને દિવસે બેવડા આનંદની વાત છે. એટલે કે આજે ભાવનગરનો જન્મદિવસ છે, પોતાનું વતન તો સૌ કોઈને પ્યારું હોય જ! ભાવનગરની ઘણી બધી વિશેષતાઓ છે, અને કલા તથા વિદ્યાનું ધામ પણ કહેવાય છે. વિધવિધ કલાને અહીં રાજા મહારાજાઓના વખતથી માન સન્માન આપવામાં આવતું, એ પ્રથા હજી ભાવનગર વાસીઓ એ જાળવી રાખી છે. પરંતુ ભાવને જ્યાં પ્રાધાન્ય આપવામાં આવે છે, એવી નગરી એટલે કે ભાવનગર, એવું ચોક્કસ કહી શકાય. દરેક જગ્યાએ સમાજમાં વિકૃતિ હોય છે, એમ અહીં પણ હશે. પરંતુ અપવાદ કયારેય સિદ્ધાંત ન બની શકે, એટલે એક સામાન્ય સર્વેક્ષણ મુજબ ભાવનગરની પ્રજાને લાગણીશીલ કહી શકાય.
સુવર્ણને આપણે ત્યાં શુદ્ધ અને પવિત્ર ધાતુ માનવામાં આવી છે, અને તેના ચળકાટ જેવું આપણું ચરિત્ર બને, એ માટે થઈને સુવર્ણની આપણે ત્યાં આ દિવસે તેની ખરીદીનો વિશેષ મહિમા ગવાયો છે, પણ હવે તો અક્ષય તૃતીયા એ જાણે સોનું ખરીદવું એ જ તહેવારનું મહાત્મ્ય હોય એમ બધાં દાન ધર્મ ભૂલી સોનું ખરીદે છે. આ ઉપરાંત ધન ઐશ્વર્યને કુબેરના ખજાના સાથે પણ સરખાવ્યું છે, તો વિષ્ણુ લક્ષ્મી ઉપરાંત આ દિવસે કુબેરની પણ સ્થાપના કરીને પૂજા કરવામાં આવે છે. એટલે સાધન સંપન્ન લોકો સોનાની ખરીદી કરતા હોય છે. પરંતુ સોનુ ખરીદવા જેટલી દરેકની હેસિયત ન હોય, તો તેમણે લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે દાનનો હાથવગો ઉપાય અજમાવવો જોઈએ, લક્ષ્મીનો નિયમ છે કે, તેનો વિનિમય થતો હોય, એટલે કે તેનો ઉપયોગ થતો હોય, આવનજાવન થતી હોય, એના ઘરમાં તે નિવાસ કરે છે. લક્ષ્મીજીની પાછળ વિષ્ણુ અને કુબેર પણ આવે છે.
સદગુરુ ક્યારેય કૃપા વરસાવવામાં ચૂક ન કરે,અને એવી પાત્રતા જીવની કાયમ બની રહે! જેથી અક્ષય તૃતિયા એ સત્ય પ્રેમ અને કરુણાનાં ક્યારેય ક્ષય ન પામે તેવાં ભાવને પ્રાપ્ત કરવાની જીવ કોશિશ કરે, અને સુવર્ણ જેવું ચમકતું ચરિત્ર બનાવી, ચરિત્રની રીતે ભગવાન પરશુરામની જેમ ચિરંજીવ બને. સમય છડી પોકારી રહ્યો છે કે, સતયુગ આવી રહ્યો છે!! સતયુગ આવી રહ્યો છે!! આકાશમાંથી પણ એવા જ ભાવ વધારનાર શબ્દની વૃષ્ટિ થઈ રહી છે, તો એ વાણી સાંભળી અને એ સત્ય સિદ્ધ કરવાં સંકલિત અને સંકલ્પિત થઈએ. સમગ્ર વિશ્વ આજે આ શુદ્ધ ભાવમાં જીવે,અને એના આવા શુદ્ધ ભાવમાં ક્યારેય ક્ષય થાય નહીં એવી એક અનન્ય પ્રાર્થના ઈશ્વરને કરીએ. જય હિન્દ.
લી. ફાલ્ગુની વસાવડા (ભાવનગર)

