Porbandarતા.૮
પહલગામ આતંકી હુમલામાં નિર્દોષ પ્રવાસીઓના મોત નિપજાવનાર પાકિસ્તાની આતંકીઓ અને તેમના આકાઓને ઘરમાં ઘુસી ભારતીય સેના દ્વારા જડબાતોડ જવાબ આપી અનેક આતંકીઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે. ભારતીય સેના દ્વારા કરવામાં આવેલ આ સરાહનીય કાર્યવાહી બાદ, જો પાકિસ્તાન ભારત વિરોધી કોઈ પણ હરકત કરશે તો, જડબાતોડ જવાબ આપવા ભારત તૈયાર છે, ત્યારે દરિયામાં માછીમારી માટે જતા માછીમારોને બોટ માલિકોને એલર્ટ રહેવા બોટ એસોસિએશન તથા ફિશરીઝ વિભાગ દ્વારા સૂચન કરવામાં આવ્યું છે.
દરિયામાં માછીમારી માટે જતા માછીમારોને પણ એલર્ટ રહેવા માટે પોરબંદર બોટ એસોસિએશન દ્વારા સૂચના આપવામાં આવી છે. તમામ માછીમારોને સૂચના અપાઈ છે કે, દરિયામાં કોઈપણ પ્રકારની સંદિગ્ધ ગતિવિધિઓ જણાય તો તાત્કાલિક સુરક્ષા એજન્સીઓનો સંપર્ક સાધે. સાથે કોઈપણ શંકાસ્પદ વોટ્સએપ કોલ આવે, તો આવા કોલ રીસીવ ન કરવા અને આ અંગે સુરક્ષા એજન્સીઓને જણાવવા પણ સૂચના આપવામાં આવી છે.
પોરબંદર માછીમાર બોટ એસોસિએશનના પ્રમુખ મુકેશ પાંજરીએ જણાવ્યું કે, ગઈકાલે ભારતીય સેનાએ પાકિસ્તાન પર કરેલી એર સ્ટ્રાઈક બાદ, અમે અમારા માછીમારોને આઇએમબીએલ નજીક જતા નહીં, અને દરિયામાં તમને કોઈપણ શંકાસ્પદ ગતિવિધિ જણાય તો, તાત્કાલિક ધોરણે ભારતીય એજન્સીઓ અથવા બોટ એસોસિએશનને જાણ કરવી, આ પરિસ્થિતિમાં આપણે સૈન્યના આંખ અને કાન બનીને કામ કરવાનું છે. વધુમાં તેઓએ જણાવ્યું કે, થોડા દિવસ પહેલા માછીમારોને અજાણ્યા વોટ્સએપ કોલ્સ આવ્યા હતા. જોકે માછીમારો પહેલાથી જાગૃત હતા અને બોટમાં ટ્રાન્સપોન્ડર સેટ હોવાને કારણે વધુ માહિતી મેળવી શેર થઈ નથી. માટે આ વખતે પણ આ બાબતે તમામ માછીમારોને ધ્યાન રાખવા જણાવાયું છે.
આ પ્રકારની સ્થિતિને જોતા પોરબંદર મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક કચેરી દ્વારા પણ માછીમારો અને બોટ માલિકોને એલર્ટ કરી મહત્વના સૂચનો કરવામાં આવ્યા છે. ખાસ કરીને દરિયામાં માછીમારી માટે જતા માછીમારોએ નો ફિશીંગ ઝોન તથા આઇએમબીએલ નજીક માછીમારી માટે ન જવા માટે સૂચના આપવામાં આવી છે. દરિયામાં અથવા દરિયાકાંઠે કોઈ પણ શંકાસ્પદ હિલચાલ જોવા મળે તો આ અંગે સુરક્ષા એજન્સીઓને જાણ કરવા જણાવાયું છે.
પોરબંદર મત્સ્યોદ્યોગ નિયામકના મદદનીશ ટી.જે.કોટીયાએ જણાવ્યું કે, ભારત-પાકિસ્તાનની સ્થિતિને ધ્યાને લઈ મત્સ્યઉદ્યોગ કમિશનરે એક પરિપત્ર જાહેર કર્યો છે. પોરબંદર મત્સ્યોદ્યોગ નિયામક દ્વારા એક લેટર ઈશ્યુ કરાયો છે. માછીમારોને ખાસ મહત્વની બાબતોને જરૂરી સૂચનો અપાયા છે. માછીમારોએ ભારત-પાકિસ્તાનની મેરીટાઇમ ઈન્ટરનેશનલ બોર્ડર પર માછીમારી ન કરવા સૂચના અપાઈ છે. નો ફિસિંગ ઝોનમાં પણ માછીમારી ન કરવી. જે માછીમારો દરિયામાં માછીમારી કરી રહ્યા છે અથવા જવાના છે તેઓને પોતાના ૈંડ્ઢ કાર્ડ સાથે રાખવા. ખાસ અજાણ્યા માછીમારોને વોટ્સએપ કોલ આવે છે અને તેમની પાસે બોટ પર લગાવેલા ડિવાઇઝની માહિતી માંગવામાં આવે છે, તેને પણ માહિતી આપવી નહીં.
ભારતીય સેના દ્વારા પાકિસ્તાનના નાપાક હરકતોને સતત જડબાતોડ જવાબ આપી તેઓને નાકામ કરી રહ્યા છે, ત્યારે દરિયામાં માછીમારો સહિત સૌ કોઈ ભારતીય સુરક્ષા બાબતે સજ્જ બની એક સિપાહીની જેમ પોતાની નાગરિક ફરજ બજાવે તે અત્યારના સમયની માંગ છે