ફાલ્ગુની વસાવડા (ભાવનગર)
હે ઈશ્વર.
આપનાં શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. પ્રાકૃતિક અંગો સાર્વજનિક હોય છે, એટલે કે સૂર્યનો તાપ, નદી નાળાંના જળ, વનસ્પતિ કે પછી પર્વતો, આ બધાં પર કોઈ પોતાનો હક જમાવી શકે નહીં, હા કોઈ ચોક્કસ વૃક્ષો જેણે ઉગાડ્યાં હોય એનાં ફળ ફૂલ તેની માટે હોય, પરંતુ છાયડો તો એ બધાને આપે! આ બધાં પ્રાકૃતિક અંગો આપણું જીવન ઘડે છે, અને ખાસ કરીને સૂર્યની હાજરી થી સમય આપણી આસપાસ રહે છે. એટલે કે સૂર્યનાં ઉદયથી સૌ માટે દિવસ થયો, ઉનાળો છે, તો આકરાં તાપથી ગરમી સૌને લાગે. સમય એ એક એવું પરિબળ છે જે આપણી આસપાસ રહે છે, પણ અંદર પ્રવેશી શકતું નથી! અંદર પ્રવેશે છે સૂર્યનો પ્રકાશ, અને પછી એ આપણો વ્યક્તિગત સમય નિશ્ચિત કરે છે, સૂર્યોદય થયો અને આપણે જાગ્યાં એટલે પ્રકાશ આપણી આંખ દ્વારા અંદર ગયો, અને પછી આપણી જાગૃતિ પ્રમાણે આપણામાં જાગરણ થયું. વ્યક્તિગત રીતે આપણે દૈનિક ક્રિયાઓ કરી, કર્તવ્ય કર્મ માટે કામ ધંધે નીકળ્યાં, પરંતુ આપણી જાગૃતિ જો આટલી જ હોય તો એ અજવાળું આપણું જીવન અજવાળી શકે નહીં, એટલે કે ક્રિયા અને કાર્ય બંનેનો થાક લાગે. પરંતુ જો આપણે ખરેખર જાગી ગયાં હોઈએ તો, ક્રિયા કાર્ય બંને વખતે આપણે સત્ય, નિષ્ઠા, ઈમાનદારી, પ્રમાણિકતા, અને મૈત્રી ભાવથી વ્યવહારો કરી આપણા જીવનને સરળ અને પ્રસન્ન બનાવી શકીએ છીએ! આમ વ્યક્તિને જાગવાં માટે સૂર્યની જરૂર છે, પરંતુ જાગરણ માટે પ્રકાશ એટલે કે જ્ઞાનની જરૂર છે. આ જગતમાં વિવિધ માનસિકતા વાળા લોકો રહે છે,અને જેમ દરેકની અલગ અલગ રૂચી હોય, એમ નરસિંહની દરેક રચના આપણને કોઈને કોઈ રીતે જાગરણ કરાવવાં કટિબદ્ધ છે! અને એવી જ એક રચના કે જે પ્રભાતિયાં તરીકે પ્રસિદ્ધ છે, એને વિશે આજે ચિંતન કરીશું.
** નરસિંહ મહેતા**
પરભાતે રવિ ઉગતાં પહેલાં,
જીભલડી જો રામ કહે,
પરભાતે રવિ ઉગતાં પહેલાં
હૈયે પ્રેમ ધરી જે પ્રભુને ભજે,
તો જગ માં અમર નામ રહે
પરભાતે રવિ ઉગતાં પહેલાં.. ૧
સૂર્યોદય પહેલાં જીવ જો રામનું નામ બોલે, હૃદયમાં પ્રેમને ધારણ કરી જે પ્રભુને ભજે, એનું નામ જગતમાં અમર થાય છે.
રામ નામનો મહિમા મોટો
શિવ સનકાદિક ધ્યાન ધરે
મેરુ સરીકુ હોય મોટું બાતસ હોત!
તોય નારાયણ નું નામ હરે!
પરભાતે રવિ ઉગતાં પહેલાં…
રામ નામનાં મહિમાની વાત કરતાં નરસિંહ કહે છે કે રામનું નામ એટલું મોટું છે કે, ભગવાન શંકર અને સનત કુમારો પણ રામના નામનું ધ્યાન કરે છે, અને સતત એનો જાપ કરે છે. મેરુ ને સર્વોચ્ચ શિખર માનવામાં આવે છે, એટલે કે કોઈના જીવનમાં એટલું મોટું દુઃખ કે વિપત્તિ આવે તો નારાયણનું નામ એ વિપત્તિને દૂર કરે છે.
સિંહ ગરજે જેમ હરના ત્રાસે,
એમ રવિ ઉગે અંધાર ટળે,
પુરણ બ્રહ્મ અકળ અવિનાશી,
કુબનદીના એ તાપ હરે,
પરભાતે રવિ ઉગતાં પહેલાં…
સિંહ ગર્જના કરે અને જે રીતે હરણ ભયથી ભાગે છે, એમ સૂર્યનો ઉદય થતા અંધારાઓ ટળી જાય છે. પુરાણ બ્રહ્મ એટલે કે પરમ તત્વ તો અકળ અને અવિનાશી છે, એને સમજવું એ સામાન્ય સંસારી માનવીની પરે છે, પરંતુ એનું સ્મરણ કરવાથી આપણી મન અને આત્માની દૂરીને કારણે ઉત્પન્ન થતી અવિદ્યાના અંધકારને કારણે થતાં પાપથી, નર્કની જે કાલ્પનિક નદી બતાવી છે, એમાં જીવને જતો રોકે છે, એટલે કે પાપને હરી લે છે.
કોટી કલ્યાણ સુરજ ઉગતાં,
પાપમાં પડું કેમ રહે,
મેલુ ગંગાજળ માં ભળે ત્યારે,
ગંગા સરીખું થઈ વહે!
પરભાતે રવિ ઉગતાં પહેલાં…
સૂર્યનાં ઉગતાઊ કરોડો લોકોના મનમાં કલ્યાણનો ઉદય થાય છે, ત્યાં પાપમાં આ પંડ કેમ રહે? એટલે કે આપણું જાગરણ કેમ ન થાય? ગંગાજળમાં જો મેલ ભળે તો એ ગંગાજળ થઈ જાય છે, એમ સૂર્યોદયનું અજવાળું જીવનું જાગરણ કરે છે, અને અંતરનાં મેલને ધોઈને સ્વચ્છ કરે છે.
આ રસ ને શુકદેવજી જાણે,
કોક વિરલા સંચ કળે,
ભણે નરસૈંયો રામ ભજીલો,
આવાં ગમન નો ફેરો ટળે,
પરભાતે રવિ ઉગતાં પહેલાં..
નરસિંહ અહીં ભક્તિરસનો સંદર્ભ મુકી કહે છે કે આ રસને શુકદેવજી જાણે છે, અને બીજું કોઈ કોઈ એવું વિરલ હોય, એ આ સત્યને ઓળખી જાય છે, એટલે કે નામ સ્મરણનો મહિમાનાં સત્યને સમજી જાય છે. નરસિંહ કહે છે કે જન્મ મૃત્યુનાં ફેરા માંથી! એટલે કે કર્મ અનુસાર બીજો જન્મ, અને એની આધિ, વ્યાધિ, અને ઉપાધિમાંથી બહાર આવવાં માટે રામને ભજી લો.
અહીં પરભાતે અને જીભલડી એ બે શબ્દ વાંચનાર નરસિંહ વિશે ખોટો ખ્યાલ બાંધી શકે! કારણ કે એકદમ લોક બોલી છે! પણ પ્રભાતિયાં ભજન જેવી રચનાઓ, જે વેદ વેદાંત કે શાસ્ત્રોને જાણતાં નથી, એ સામાન્ય લોકો માટે જ છે. એમને સીધો સાર જણાવીને, આટલું જ કરવાનું છે, એમ સ્પષ્ટ કર્યું! આખાં શરીરમાં જીભ એવું અંગ છે કે, જેમાં હાડકું નથી! અને એટલે એ વાયડી થયાં વગર રહેતી નથી! એ વાણીની રીતે કે સ્વાદ એટલે કે વિષયની લોલુપતાથી વાંકીચૂકી થયે જ રાખે છે! પણ જો રવિ ઉગતાં પહેલાં આ જીભ રામનું નામ લે તો, પછી એનું વિષયી રસોથી આકર્ષણ નથી રહેતું. ભગવાન શંકર સનકાદિક એટલે બ્રહ્માનાં માનસ પુત્રો અને વિષ્ણુનાં પ્રથમ અવતાર પણ હરિ સ્મરણ કરે છે! કારણ કે એ અકળ અવિનાશી બ્રહ્મની લીલાને સમજી શકાય નહીં તો, દુઃખો મેરુ જેટલાં મોટાં લાગે છે. સિંહ દહાડે ત્યારે હરણ જેમ ભયથી ફફડી જાય એમ, અંતે તો અકળ અવિનાશી પરમાત્માની લીલા છે, એમાં હું નિમિત્ત માત્ર છું એવાં જ્ઞાન રુપી પ્રકાશથી પાપ પ્રેરિત કર્મનાં નર્કનાં ભયનું અંધારું ભાગી જાય છે. પ્રાકૃતિક અંગ તરીકે તો એક જ સૂર્ય છે, પણ કલ્યાણનો ભાવ હ્રદયે ધરીયે તો કરોડો સૂર્ય જેમ દેહ દૈદિપ્યમાન થઈ જાય છે, એમાં પછી પંડ નું પાપ રહેતું નથી, જેમ ગંગામાં મલિનતા ભળે છતાં એ ગંગાજળ બનીને વહે છે, ગંગા એને પોતાની ઓળખ આપે છે, કારણકે એણે હરિને સેવ્યાં છે. હરિ સ્મરણ રુપે ભક્તિ રસને શુકદેવજી જન્મીને તરત જાણી ગયા માટે હરિ સંકિર્તન કરવાં નીકળી ગયા! કોક કોક વિરલા આ સત્યને સમજી શક્યા! અને એટલે જ નરસિંહ કહે છે કે, વિધાતાનાં હાથની કઠપૂતળી બની જન્મ મૃત્યુની આવન જાવન માંથી બચવું હોય તો જીવ તું સમયે રામને ભજી છે. આમ આ રચના કળિયુગના એકમાત્ર સાધન હરિ સ્મરણ એ જ વેદ વેદાંતનો સાર છે એ સત્યને સિદ્ધ કરે છે, આપણે સૌ પણ સાધનાની આંટીઘૂંટીમાં ફસાયાં વગર સીધુંસાદું હરિનામ લઈ જીવનનો આ પડાવ પ્રકાશિત કરી શકીએ એવી એક અનન્ય પ્રાર્થના ઈશ્વર ચરણે રાખી હું મારા શબ્દોને આજે અહીં જ વિરામ આપું છું ફરી મળીશું નવાં ચિંતન મનન સાથે તો સૌને મારા આજનાં દિવસનાં સ્નેહ વંદન અને જય સીયારામ.
લી. ફાલ્ગુની વસાવડા (ભાવનગર)

