ઘટના સમયે કો-પાઇલટના હાથમાં વિમાનની કમાન્ડ હતી, ૧૩૭ મુસાફરોનો જીવ જોખમમાં મુકાયો હતો
New Delhi,, તા.૧૨
ચાર ઓગસ્ટના રોજ થાઇલેન્ડથી દિલ્હી આવી રહેલી એર ઇન્ડિયાની એક ફ્લાઇટ અચાનક જ કાબુ ગુમાવીને ૩૦૦ ફૂટ નીચે ઉતરી ગઇ હતી, શરૂઆતમાં એવા અહેવાલો હતા કે ટર્બ્યુલન્સને કારણે આવું થયું હોઇ શકે છે જોકે ફ્લાઇટના પાયલટના રિપોર્ટ કરાવ્યા તો ચોંકાવનારી માહિતી સામે આવી, એક પાયલટ ગાંજો પીને આ વિમાન ઉડાવી રહ્યો હતો. જેમાં ઘટના સમયે ક્રૂ સહિત ૧૭ લોકો ઘવાયા હતા.ચાર ઓગસ્ટના રોજ એર ઇન્ડિયાની ફ્લાઇટ એઆ્રુ૩૭૯ થાઇલેન્ડના ફુકેતથી દિલ્હી આવી રહી હતી, આ ફ્લાઇટમાં ૧૩૭ મુસાફરો અને આઠ ક્રૂ સવાર હતા. અચાનક જ ટર્બ્યુલન્સને કારણે ફ્લાઇટ ૩૦૦ ફૂટ નીચે ઉતરી ગઇ હતી. ઘટના બાદ પાયલટોના વિવિધ ટેસ્ટ કરાયા હતા. સાથે જ બન્ને પાયલટો પાસેથી હાલ કામ પરત લઇ લેવાયું હતું, પાઇલટ ઇન કમાન્ડ બીજા ટેસ્ટમાં પણ નિષ્ફળ રહ્યો છે અને તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.પાયલટના એક ટેસ્ટમાં સામે આવ્યું છે કે તેણે ગાંજો પીધો હતો, એવા પણ અહેવાલો છે કે જ્યારે ફ્લાઇટ ૩૦૦ ફૂટ નીચે ઉતરી ગઇ ત્યારે ઇન કમાન્ડ પાયલટ પોતાની સીટ પર નહોતો, કો-પાઇલટ પાસે ફ્લાઇટની કમાન્ડ હતી. બીજી તરફ એવા અહેવાલો છે કે કેન્દ્રીય ઉડ્ડયન મંત્રાલયે વિમાનની આ ઘટનાને લઇને એર ઇન્ડિયાના સીઇઓ કેમ્પબેલ વિલ્સનને સમન્સ મોકલી બોલાવ્યા છે. જોકે મંત્રાલય દ્વારા આ અંગે સત્તાવાર રીતે કોઇ માહિતી જાહેર કરવામાં નથી આવી. હાલમાં એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યૂરો એએઆઇબીએ આ ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે. આ બ્યૂરો સામાન્ય રીતે વિમાન અકસ્માતોની તપાસ કરે છે. બ્યૂરોએ કહ્યું હતું કે હાલ તે તમામ પ્રકારના પુરાવા એકઠા કરી રહ્યો છે.

