Vadodara,તા.૧૨
સુરતમાં ચર્ચાસ્પદ બનેલા ડિમોલિશન વિવાદ જેવી જ ઘટના હવે વડોદરા જિલ્લાના ડેસર તાલુકામાં સામે આવી છે. તાલુકાના મેરાકુવા ગામે રાતડીયા નજીક આવેલા ૧૯ જૂના સરદાર આવાસોને કોઈપણ પૂર્વ સૂચના વિના તોડી પાડવામાં આવ્યા હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. આ ઘટનાથી લાભાર્થી પરિવારોમાં રોષ અને ચિંતા ફેલાઈ છે.
મળતી માહિતી મુજબ, આશરે ૨૫ વર્ષ પહેલાં સરકારી પડતર જમીન પર પ્લોટિંગ કરીને આ સરદાર આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને જરૂરિયાતમંદ પરિવારોને ફાળવવામાં આવ્યા હતા. જોકે, વિસ્તારમાં વીજળી અને પીવાના પાણી જેવી મૂળભૂત સુવિધાઓના અભાવને કારણે લાભાર્થીઓ લાંબા સમયથી આ આવાસોમાં વસવાટ કરતા ન હતા.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, તાજેતરમાં અજાણ્યા લોકો દ્વારા બુલડોઝર ચલાવી તમામ ૧૯ આવાસોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા હતા. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે આ કામગીરી અંગે લાભાર્થીઓને અગાઉથી કોઈ જાણ કરવામાં આવી ન હતી તેમજ કોઈ સરકારી નોટિસ પણ આપવામાં આવી નહોતી.
ઘટનાને લઈને તાલુકા વિકાસ અધિકારી , સંબંધિત તલાટી તેમજ ગ્રામ પંચાયતના સરપંચે પણ અજાણ હોવાનો દાવો કર્યો છે. સ્થાનિક તંત્રના આ નિવેદનોએ સમગ્ર ઘટનાને વધુ રહસ્યમય બનાવી છે અને અનેક સવાલો ઉભા કર્યા છે.
ડિમોલિશનથી પ્રભાવિત થયેલા લાભાર્થીઓએ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવી સમગ્ર મામલે નિષ્પક્ષ અને ઊંડાણપૂર્વકની તપાસ કરવાની માંગ કરી છે. લાભાર્થીઓએ જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવાની તેમજ થયેલા નુકસાન અંગે યોગ્ય ન્યાય આપવા અપીલ કરી છે
હાલ સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે. કોઈ સત્તાવાર મંજૂરી કે તંત્રની જાણ વગર ગરીબોના આવાસો તોડી પાડવામાં આવ્યા હોવાના આક્ષેપોને પગલે ડેસર તાલુકામાં અનેક પ્રશ્નો ઉભા થયા છે. હવે તંત્રની તપાસમાં હકીકત શું બહાર આવે છે તેના પર સૌની નજર મંડાઈ છે.
આ બાબતે સરદાર આવાસ યોજના ખાતે રહેતા રહીશે જણાવ્યું હતું કે, અમારા સરદાર આવાસ ૧૯ હતા. તેમજ અમારા સરપંચ દ્વારા કોઈ જાણ કરવામાં આવી નથી. અને જાણ કર્યા વગર આવાસ તોડી નાંખવામાં આવેલ છે. તેમજ ૧૯ આવાસ અમને પાછા મળે તેવી અમારી માંગ છે.

