New Delhi,તા.૧૫
કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગણી સાથે દિલ્હીના જંતર મંતર પર અનિશ્ચિત સમય માટે ભૂખ હડતાળ પર બેઠેલા સોનમ વાંગચુકનો કેસ દિલ્હી હાઈકોર્ટમાં પહોંચ્યો છે. આબોહવા કાર્યકર્તા સોનમ વાંગચુક ૨૮ જુલાઈથી ભૂખ હડતાળ પર છે. સોનમ વાંગચુકની ભૂખ હડતાળ અંગે હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી (પીઆઈએલ) દાખલ કરવામાં આવી છે. આ અરજીની સુનાવણી દિલ્હી હાઈકોર્ટમાં થઈ હતી. દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર સરકાર અને દિલ્હી સરકારને નોટિસ જારી કરીને આવતીકાલ સુધીમાં જવાબ આપવા જણાવ્યું હતું. હાઈકોર્ટ મુખ્ય ન્યાયાધીશ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાય અને ન્યાયાધીશ તેજસ કારિયાની બનેલી ડિવિઝન બેંચ સમક્ષ અરજીની સુનાવણી કરી રહી હતી.
આ અરજી સામાજિક કાર્યકર અને વકીલ રાકેશ કુમાર સૈની દ્વારા દાખલ કરવામાં આવી હતી. અરજીમાં કેન્દ્ર સરકારને વાંગચુકને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવા અને જો જરૂરી હોય તો, તેમનો જીવ બચાવવા માટે તેમને બળજબરીથી ખોરાક આપવાનો નિર્દેશ આપવાની માંગ કરવામાં આવી છે. અરજીમાં કેન્દ્ર અને દિલ્હી સરકારને વાંગચુકને બળજબરીથી ખોરાક આપવાનો નિર્દેશ આપવાની માંગ કરવામાં આવી છે.
સોનમ વાંગચુક દિલ્હીના જંતર-મંતર ખાતે ભૂખ હડતાળ પર છે. તેમની ભૂખ હડતાળ ૧૮ દિવસથી ચાલી રહી છે. તેઓ કોકરોચ જનતા પાર્ટીના સ્થાપકના સમર્થનમાં ભૂખ હડતાળ પર છે. પાર્ટીના સ્થાપક શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી રહ્યા છે. તેમનો આરોપ છે કે મે મહિનામાં પરીક્ષા પેપર લીકની ઘટનાથી લાખો વિદ્યાર્થીઓ પ્રભાવિત થયા હતા.
વાંગચુકના બગડતા સ્વાસ્થ્ય અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેઓ ધીમે ધીમે નબળાઈ, સ્નાયુઓમાં દુખાવો અનુભવી રહ્યા છે અને તેમનું વજન ૮.૫ કિલોગ્રામ ઘટી ગયું છે. તેમનું બ્લડ પ્રેશર ૧૦૯/૭૦ નોંધાયું છે. હજારો સમર્થકો તેમને ભૂખ હડતાળ સમાપ્ત કરવા માટે અપીલ કરી રહ્યા છે, પરંતુ તેઓ તેમના નિર્ણય પર અડગ છે.

