Rajkot,તા.૧૮
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિસ્થાપિત લાભાર્થીઓ માટે કરવામાં આવેલા ૧૬૩ આવાસના ડ્રોને રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ૩ સપ્ટેમ્બરે વિવિધ વિસ્તારોના લાભાર્થીઓ માટે ડ્રો યોજાયા બાદ તેમાં વિસંગતતા હોવાની ફરિયાદો મેયર સુધી પહોંચી હતી. પ્રાથમિક તપાસમાં કેટલીક બાબતો સામે આવતા મેયર ડો. નેહલ શુકલે સમગ્ર ડ્રો રદ કરવાનો હુકમ કર્યો છે. આ મામલે ભાજપના વોર્ડ નંબર-૬ના મહિલા કોર્પોરેટર ધર્મિષ્ઠાબેન પરમારનું નામ પણ ચર્ચામાં આવ્યું છે. તેમની પાસે સંયુક્ત માલિકીનું આવાસ હોવાનું સામે આવ્યું છે. જોકે, કોર્પોરેટરનું કહેવું છે કે તેમણે આ આવાસ ૨૦૧૪માં કોર્પોરેટર બન્યા પહેલાં મેળવ્યું હતું.સિક્યોરિટી સિસ્ટમ લગાવો
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ફેબ્રુઆરી મહિનામાં જંગલેશ્વર અને આજીનદી કાંઠા સહિતના વિસ્તારોમાં મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહીથી અસરગ્રસ્ત અને વિસ્થાપિત થયેલા લોકોને આવાસ ફાળવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ અંતર્ગત જંગલેશ્વર ઉપરાંત સાગરનગર, બેટ દ્વારકા અને લલુડી વોંકળી વિસ્તારના લાભાર્થીઓને આવાસ આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું.
૩ સપ્ટેમ્બરે અલગ-અલગ વિસ્તારોના કુલ ૧૬૩ લાભાર્થીઓ માટે આવાસ ફાળવણીનો ડ્રો યોજાયો હતો. આ માટે સંત કબીર રોડ પર આવેલા ગોકુલનગર આવાસ યોજનાની વિંગ ઈ, એફ અને જી તથા ગોકુલનગરમાં જ આવેલી રવિશંકર મહારાજ આવાસ યોજનાની વિંગ એ અને બીનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત સોરઠિયાવાડી વિસ્તારમાં આવેલી વીર તાત્યા ટોપે ટાઉનશિપમાં પણ આવાસ ફાળવવામાં આવ્યા હતા. લાભાર્થીઓની યાદીમાં સાગરનગર ફેઝ-૧, બેટ દ્વારકા અને સાગરનગર ફેઝ-૨ના કુલ ૨૭ લાભાર્થી, જંગલેશ્વરના ૪૨ લાભાર્થી અને લલુડી વોંકળીના ૯૪ લાભાર્થીનો સમાવેશ કરવામાં આવ્યો હતો. લલુડી વોંકળીના ૪૪ લાભાર્થીઓને વીર તાત્યા ટોપે ટાઉનશિપ એટલે કે સ્માર્ટઘર-૪માં આવાસ ફાળવવામાં આવ્યા હતા.
આવાસ ફાળવણીનો ડ્રો માત્ર પ્રક્રિયા પૂરતો જ હોવાનું અને તેમાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપો સાથે કેટલીક ફરિયાદો મેયર ડો. નેહલ શુકલ સુધી પહોંચી હતી.ફરિયાદોને ધ્યાનમાં લઈને મેયર દ્વારા પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન કેટલીક વિસંગતતાઓ સામે આવી હોવાના પગલે માત્ર એકાદ આવાસની ફાળવણી રદ કરવાને બદલે તમામ ૧૬૩ આવાસનો ડ્રો જ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મેયરના આ નિર્ણયથી મહાનગરપાલિકાના વહીવટી તંત્રમાં પણ ચર્ચા શરૂ થઈ છે. હવે આવાસ ફાળવણીની પ્રક્રિયા ફરી કઈ રીતે હાથ ધરવામાં આવશે તેના પર નજર રહેશે.
આ સમગ્ર મામલાની વચ્ચે રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર-૬ના ભાજપના મહિલા કોર્પોરેટર ધર્મિષ્ઠાબેન પરમાર પાસે સંયુક્ત માલિકીનું આવાસ હોવાની વિગતો સામે આવી છે. આ મુદ્દે ધર્મિષ્ઠાબેન પરમારે જણાવ્યું હોવાનું સામે આવ્યું છે કે તેમણે આ આવાસ વર્ષ ૨૦૧૪માં, એટલે કે તેઓ કોર્પોરેટર બન્યા તે પહેલાં મેળવ્યું હતું. તેમના જણાવ્યા મુજબ, તે સમયે તેમના પરિવાર પાસે પોતાનું રહેઠાણ ન હોવાથી નિયમ મુજબ આવાસ માટે અરજી કરવામાં આવી હતી. તેમના પતિ ખાનગી નોકરી કરતા હોવાનું પણ તેમણે જણાવ્યું છે.

