ઓપરેશન સિંદૂરથી ગિન્નાયેલા પાકિસ્તાને પાછળથી પ્રહાર કરવાની પોતાની જૂની આદતને દોહરાવતાં જમ્મુ-કાશઅમીરથી લઈને ગુજરાત સુધી દેશની ૧૫થી વધારે જગ્યાઓને નિશાનો બનાવવાની જે કુત્સિત કોશિશ કરી, તેને ભારતે જે ટેકનિકલ દક્ષતાથી નિષ્ફળ બનાવી દીધી અને જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમને પણ તબાહ કરી દીધી, તે ઉત્સાહિત કરનારું તો છે જ, પરંતુ તે એ પણ દર્શાવે છે કે ભારત કોઈપણ આક્રમકતાનો જવાબ એટલીજ તીવ્રતાથી અને એ જ શૈલીમાં આપવામાં સક્ષમ છે. દેશની સીમાઓ પર તૈનાત એસ-૪૦૦ એર ડિફેન્સ મિસાઇલ હોય, જેણે પાકિસ્તાની મિસાઇલોને નિષ્પ્રભાવી બનાવી દીધી અને પછી હાર્પી ડ્રોન, જેની મદદથી લાહોરના એર ડિફેન્સ રડારને નિષ્ફળ કરી દીધું, તે સાબિત કરે છે કે દેશ હવે રક્ષાની પારંપરિક પદ્ઘતિથી ઘણો આગળ વધી ચૂક્યો છે. બીજી તરફ, પાકિસ્તાનની કાર્યવાહી આખી દુનિયા સામે તેની બેજવાબદાર રાષ્ટ્રવાળી છબિ જ પુષ્ટ કરે છે.
ઉલ્લેખનીય છે કે ઓપરેશન સિંદૂર અંતર્ગત ભારતની સચોટ, સંયમિત અને બિનઉશ્કેરણીજનક કાર્યવાહીઓમાં પાકિસ્તાનના લોકો કે તેના સૈન્ય ઠેકાણાંને બિલકુલ નિશાનો નથી બનાવવામાં આવ્યાં. ભારતનો સંદેશ હંમેશથી સ્પષ્ટ રહ્યો છે કે તે શાંતિ ઇચ્છે છે, પરંતુ પોતાની સંપ્રભુતા અને સુરક્ષા સાથે કોઈ સમજૂતી નહીં કરે. ઓપરેશન સિંદૂર પણ પહેલગામ આતંકી હુમલાનો જવાબ જ છે. તેનાથી વિપરીત ભારતીય સૈન્ય પ્રતિષ્ઠાનોને નિશાનો બનાવવાના પાકિસ્તાનના નાપાક મનસૂબા અસલમાં તેની ફિતરત જ દર્શાવે છે. જમ્મુ-કાશ્મીરના પુંછ અને તંગધારમાં પાકિસ્તાની ગોળીબારમાં ૧૫થી વધારે લોકોનાં મોત થઈ ચૂક્યાં છે અને તેણે ત્યાં ગુરુદ્વારા પર પણ હુમલો કરી દીધો છે. યુદ્ઘની આશંકાઓ વચ્ચે દેશભરમાં સિવિલ ડિફેન્સ ડ્રિલ, બ્લેક આઉટ અભ્યાસ અને આપાતકાલીન તૈયારીઓને ઉત્તેજન અપાઈ રહ્યું છે, જે દર્શાવે છે કે ભારત કોઈપણ સ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર છે. કેટલાક દેશોને છોડીને લગભગ આખું વિશ્વ જનમત પર ભારત સાથે છે અને પાકિસ્તાનના આ કબૂલનામા બાદ કે કેટલાય દાયકાઓથી તે આતંકવાદને આશ્રય આપતું રહ્યું છે, તેનો ષડયંત્રકારી ખેલ આખી દુનિયા સામે બેનકાબ થઈ ગયો છે. તે લાદનને શહીદ તો કહે જ છે, આતંકીઓના જનાજામાં જે રીતે સેનાના અધિકારીઓ સામેલ થવાની તસવીરો સામે આવી છે, તેનાથી પાકિસ્તાનનું જૂઠ્ઠાણું વધુ ઉઘાડું પડી ગયું છે. આર્થિક મોરચે પણ તેની બદહાલ સ્થિતિ કોઈથી છૂપી નથી. આઇએમએફના દેવાથી પોતાના ખર્ચા પૂરા કરી રહેલું પાકિસ્તાન આ વાત જેટલી જલ્દી સમજી લે, તેના માટે એટલું જ સારું રહેશે કે આતંકવાદ અને ઉશ્કેરણીની નીતિથી ના તો તેનું પોતાનું હિત સધાશે અને ના ક્ષેત્રમાં શાંતિ સ્થાપિત થશે.