Rajkot , તા.16
રાજકોટ ભાજપના પાયાના પથ્થર,રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ચુસ્ત સ્વયંસેવક, જનસંઘના વરિષ્ઠ કાર્યકર અને રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ મેયર જનકભાઈ મોરારજીભાઈ કોટક (ઉ.વ. 80) ના નિધનથી રાજકીય અને સામાજિક ક્ષેત્રમાં શોકની લાગણી વ્યાપી છે. જનકભાઈ કોટકે જનસંઘથી લઈને ભારતીય જનતા પાર્ટીના સંગઠનને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.
તેમના અવસાનને ભાજપ માટે ન પૂરી શકાય તેવી ખોટ ગણાવતા પૂર્વ મંત્રી ગોવિંદભાઈ પટેલ, પ્રદેશ ભાજપના મહામંત્રી અનિરુદ્ધભાઈ દવે, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી સહિતના આગેવાનોએ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આગેવાનોએ જણાવ્યું હતું કે, જનકભાઈ કોટકનું સમગ્ર જીવન રાષ્ટ્રવાદ, નિષ્ઠા, પ્રમાણિકતા, સાદગી અને જનસેવાને સમર્પિત રહ્યું હતું, જેના કારણે તેઓ કાર્યકરો અને જનતા વચ્ચે હંમેશા આદર અને સન્માનના પાત્ર રહ્યા હતા.
જનકભાઈ કોટકના નિધનથી ભાજપે સમર્પિત જનસંઘી કાર્યકર ગુમાવ્યા: ગોવિંદ પટેલ
રાજ્ય સરકારના પૂર્વ મંત્રી, વિધાનસભા બેઠક નં. 70ના પૂર્વ ધારાસભ્ય અને વરિષ્ઠ જનસંઘી નેતા ગોવિંદભાઈ પટેલે શહેરના પૂર્વ મેયર અને ભાજપના વરિષ્ઠ આગેવાન જનકભાઈ કોટકના અવસાન પર ઊંડી શોક લાગણી વ્યક્ત કરી હતી.
ગોવિંદભાઈ પટેલે જણાવ્યું હતું કે, જનકભાઈ કોટકના અચાનક નિધનથી રાજકોટ શહેર ભાજપે એક સમર્પિત મીસાવાસી અને જનસંઘી કાર્યકર ગુમાવ્યો છે. જનકભાઈ કોટકે યુવાનીથી જ ભાજપ અને જનસંઘના વિચાર સાથે જોડાઈ નિષ્ઠાપૂર્વક કાર્ય કર્યું હતું. કટોકટીના સમયમાં જેલવાસ ભોગવી તેમણે રાજકીય જીવનની શરૂઆત કરી હતી અને પદ કરતાં સેવા, સાદગી, નિખાલસતા તથા લોકસંપર્કને વધુ મહત્વ આપ્યું હતું.
જનસંઘથી ભાજપને વટવૃક્ષ બનાવવા સુધીના પ્રવાસમાં જનકભાઈનું અમૂલ્ય યોગદાન: મુકેશ દોશી
શહેર ભાજપના પૂર્વ પ્રમુખ મુકેશભાઈ દોશીએ જનસંઘના વરિષ્ઠ આગેવાન અને રાજકોટના પૂર્વ મેયર જનકભાઈ કોટકના અવસાન પર ઊંડી શોક લાગણી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે રાજકોટમાં જનસંઘ અને ભારતીય જનતા પાર્ટીને વટવૃક્ષ સ્વરૂપે વિકસાવવામાં જનકભાઈ કોટકનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો છે.
મુકેશભાઈ દોશીએ જણાવ્યું કે, પૂર્ણકાલીન કાર્યકર તરીકે જાહેર જીવનની શરૂઆત કરનાર જનકભાઈ કોટકે પોતાના નિખાલસ, નિડર અને પ્રમાણિક વ્યક્તિત્વથી આગવી ઓળખ ઉભી કરી હતી. લોકોની સેવા કરવી એ જ તેમના જીવનનો મંત્ર હતો.
રાજકોટ મહાનગરપાલિકાના મેયર તરીકે તેમણે શહેરના વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપ્યું હતું અને જનતા વચ્ચે લોકપ્રિય નેતા તરીકે સ્થાન મેળવ્યું હતું. જનકભાઈ કોટકને મહાનગરપાલિકામાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, નેતા અને દંડક સહિતના મહત્વના હોદ્દાઓ પર સેવા આપવાનો અવસર મળ્યો હતો. ઉપરાંત સાત વખત કોર્પોરેટર તરીકે ચૂંટાઈ આવવાની સિદ્ધિ પણ તેમણે હાંસલ કરી હતી.
જનકભાઈ કોટકના નિધનથી રાજકોટ ભાજપને ન પૂરી શકાય તેવી ખોટ: અનિરુદ્ધ દવે
પ્રદેશ ભાજપના સૌરાષ્ટ્ર ઝોનના મહામંત્રી અને રાજકોટ મહાનગરના પ્રભારી અનિરુદ્ધભાઈ દવેએ રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ મેયર અને વરિષ્ઠ જનસંઘી આગેવાન જનકભાઈ કોટકના અચાનક અવસાન પર ઊંડી શોક લાગણી વ્યક્ત કરી હતી.અનિરુદ્ધભાઈ દવેએ જણાવ્યું હતું કે, જનકભાઈ કોટક રાજકારણમાં નખશીખ પ્રમાણિક અને જનસેવાને સમર્પિત રાજપુરુષ હતા.
બાળપણથી જ રાષ્ટ્રવાદી વિચારધારા સાથે જોડાઈ તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને જનસંઘમાં સક્રિય રહ્યા હતા. જનસંઘના સામાન્ય કાર્યકર તરીકે શરૂઆત કરીને તેમણે સંગઠન મજબૂત બનાવવા અને ભાજપના વિકાસ માટે સતત પરિશ્રમ કર્યો હતો. આજે જનકભાઈ ભૌતિક રીતે આપણી વચ્ચે નથી, પરંતુ તેમની કાર્યશૈલી, વિચારધારા અને સુવાસ હંમેશા રાજકોટ ભાજપના કાર્યકરોના હૃદયમાં જીવંત રહેશે. તેમના અવસાનથી રાજકોટ ભાજપે એક તપસ્વી અને સમર્પિત કાર્યકર ગુમાવ્યો છે.

