Rajkot તા.૧૫
રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના વર્ષો જુના સ્વંયસેવક અને ભારતીય જનસંઘના અને ભાજપના અગ્રણી રાજકોટના પૂર્વ મેયર અને રાજકોટ મહાનગરપાલિકામાં સાત સાત ટર્મ કોર્પોરેટર તરીકે ચૂંટાયેલા અને સેવાકીય કાર્યના માધ્યમથી જ જાહેરજીવનમાં પોતાની ઓળખ ઉભી કરનારા શ્રી જનકભાઇ મોરારજીભાઈ કોટકનું આજરોજ રાજકોટ ખાતે બિમારી દરમિયાન ૮૦ વર્ષની વયે દુઃખદ અવસાન થયેલ છે.
સ્વ.કોટક છેલ્લા ચાર દિવસથી બીમાર હતા. અને હોસ્પિટલમાં સારવાર દરમિયાન અવસાન પામ્યા હતા.સ્વ. કોટકનો જન્મ તા. ૬/૬/૧૯૪૭ના થયેલ હતો. શિશુકાળથી તેમના પિતાજી સ્વ. મોરારજીભાઈ કોટકના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના સ્વંયસેવક તરીકે કામમાં જોડાયેલા હતા.
રાજકોટ મહાનગરપાલિકાની સ્થાપના ૧૯૭૩ માં કરવામાં આવેલ અને ૧૯૭૫માં યોજાયેલી રાજકોટ મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણીમાં ભારતીય જનસંઘના ઉમેદવાર તરીકે વોર્ડ નંબર ૧૭ એટલે જંકશન પ્લોટ; કોઠી કમ્પાઉન્ડ ; કૈલાસવાડી સહિતના વિસ્તારોમાં થી જંગી બહુમતી થી વિજેતા થયા ત્યારથી માંડીને ૧૯૮૧;૧૯૮૭;૧૯૯૫;
૨૦૦૦;૨૦૦૫;૨૦૧૦ કુલ મળીને સાત સાત ટર્મ સુધી એકજ વોર્ડમાંથી સતત ચૂંટણીમાં વિજેતા બની સમગ્ર વિસ્તારને ભાજપના મજબૂત ગઢ તરીકે અંકિત કરેલ હતો.
સ્વ. કોટકની પ્રતિષ્ઠા ભારતીય જનતા પાર્ટીના એક વફાદાર; પ્રમાણિક અગ્રણી તરીકેની ઓળખ સમગ્ર રાજકોટ શહેરમાં હતી. ભાજપના પ્રદેશના મોવડીમંડળ દ્વારા રાજકોટ મહાનગરપાલિકામાં મેયર; ડેપ્યુટી મેયર; સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ભાજપના નેતા એમ ચારેય મહત્વના સ્થાન ઉપર શ્રી કોટકની પસંદગી કરવામાં આવી હતી.
સ્વ. જનકભાઈ કોટક ભારતીય જનતા પાર્ટીના રાજકોટ શહેર સિવાયની અન્ય શહેરોમાં નગરપાલિકા; મહાનગરપાલિકા; ધારાસભા/ લોકસભાની પેટા ચુંટણીઓમાં પોતાના વોર્ડના કાર્યકર્તાઓની ટીમ સાથે પહોંચી જતા હતા.
સ્વ. કોટક ભાજપના પક્ષના બંધારણ પ્રમાણે ની સર્વોચ્ચ બોડી પૈકીની એક રાષ્ટ્રીય પરિષદ( )ના સભ્ય તરીકેજવાબદારી સોંપવામાં આવી હતી.
૧૯૭૪માં નવનિર્માણ આંદોલન હોય કે રાજકોટ મહાનગરપાલિકાની સ્થાપના સમયે ભાદરની પાઇપલાઇન માટેનું આંદોલન હોય કે અસામાજિક તત્ત્વો સામેની લડત હોય સ્વ. કોટક હંમેશા અગ્રેસર રહેતા હતા.
સ્વ. કોટક ૧૯૭૫-૭૬માં ભારતના તત્કાલીન વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધી દ્વારા લાદવામાં આવેલી આંતરિક કટોકટી સમયે ‘‘મીસા‘‘ ના કાયદા હેઠળ કારાવાસ કરવામાં આવ્યો હતો.
સ્વ. કોટક રાજકોટ સીવીલ હોસ્પિટલમાં ગરીબ દર્દીઓને સારવાર માટે હંમેશા ખડેપગે ઉપસ્થિત રહેતા હતા. દર્દીઓને સારવાર દરમિયાન દવાઓ હોસ્પિટલમાં ઉપલબ્ધ ન હોય તો દાતાઓના સહયોગ વડે દવાઓની સગવડતા કરી આપતા હતા. એટલુજ નહીં હોસ્પિટલમાં સારવાર દરમિયાન દર્દીઓને લોહીની જરૂરીયાત હોય તો લોહીની વ્યવસ્થા કરવામાં અગ્રેસર રહેતા હતા. હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓ મૃત્યુ પામ્યા બાદ તેઓની અંતિમક્રિયા કરનાર કોઈ ન હોય તો આવી બિનવારસી મૃતદેહ ના અગ્નિસંસ્કાર કરાવતા હતા.
સ્વ. કોટક જામનગર રોડ ઉપર પોલીસ હેડક્વાર્ટર ની સામે આવેલા કનકેશ્વર મહાદેવ મંદિર માં પવિત્ર શ્રાવણ માસમાં અન્નક્ષેત્ર નું સંચાલન કરતા હતા. અહીંયા ગરીબ લોકોને વિના મૂલ્યે ભોજન આપવામાં આવતું હતું.
સ્વ. કોટક જંકશન પ્લોટ વિસ્તારમાં છેલ્લા ૪૫ વર્ષથી નવરાત્રીના તહેવારો માં પ્રથમ નોરતા થી ચેક શરદપુનમ સુધી પ્રાચીન ગરબી નું સંચાલન કરતા હતા. જાહેરજીવનમાં મહત્વનું સ્થાન હોવા ની સાથે સાથે ગરબી સંચાલનને પણ સ્વ. કોટક અગ્રતા આપતા હતા. નવરાત્રીના તહેવાર પહેલા ૨૦ દિવસ પહેલા પ્રેક્ટિસ કરવાથી માંડીને તમામ વ્યવસ્થા સ્વ. કોટક કરતા હતા. સ્વ. કોટકના સંચાલન વાળી આ પ્રાચિન ગરબી રાજકોટ શહેરની પ્રાચીન ગરબીઓમાં મશહૂર છે.
સ્વ. કોટક લોહાણા સમાજની વિવિધ સામાજીક અને સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલા હતા.. પૂ. જલારામબાપાની જન્મજયંતી હોય કે પૂ. દાદા જશરાજની જન્મજયંતિ હોય તે નિમિત્તે ના કાર્યક્રમો માં તેઓ મોખરે રહેતા હતા.
સ્વ.કોટક નું સમગ્ર પરિવાર રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના રંગે રંગાયેલું છે. જંકશન પ્લોટ વિસ્તારમાં લાગતી રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ ની શાખામાં એક જ પરિવાર ના ચાર ચાર પેઢીના સભ્યો જોડાયેલા છે. સ્વ. કોટકની વિદાય એક સામાજિક; રાજકીય મોટી ખોટ સમગ્ર રાજકોટ શહેર ને રહેશે.

