Mumbaiતા.15
બોલિવૂડ અભિનેતા આમિર ખાને 61 વર્ષની ઉંમરે ગૌરી સ્પ્રેટ સાથે ઘર વસાવ્યું. આ આમિરના ત્રીજા લગ્ન છે, આમિરના ત્રીજા લગ્નને લઈને ચારેયકોર વિવાદનો મધપૂડો છેડાયો છે. બજરંગ દળ સહિત કેટલાય હિન્દુ સંગઠનોએ અભિનેતા આમિર પર લવ જેહાદનો આરોપ લગાવ્યો. તેને ‘લવ જેહાદ’ના ‘બ્રાન્ડ એમ્બેસેડર’ બતાવવામાં આવી રહ્યો છે. આમિર વિરુદ્ધ ફતવો પણ બહાર પાડવામાં આવ્યો છે.
હવે આમિરે તેના ત્રીજા લગ્નને લઈને તેમને ટ્રોલ કરનારાઓને જવાબ આપ્યો છે. લગ્નને લઈને ટ્રોલિંગનો સામનો કરી રહેલા અભિનેતા આમિરે એક અંગ્રેજી સમાચાર સાથેની વાતચીતમાં કહ્યું કે-
સત્ય એ છે કે અમારો પરિવાર ખૂબ જ મિલનસાર અને બધાને સાથે લઈને ચાલનારો છે. મારી બંને બહેનોના લગ્ન હિન્દુઓ સાથે થયા છે. મારી દીકરીના લગ્ન પણ એક હિન્દુ સાથે થયા છે. મારા પિતરાઈ ભાઈ મન્સૂરે એક ખ્રિસ્તી મહિલા સાથે લગ્ન કર્યા છે.
ગૌરી, રીના અને કિરણે મારી સાથે લગ્ન કરતી વખતે પોતાનો ધર્મ બદલ્યો નથી, કારણ કે અમારા લગ્ન સિવિલ મેરેજ (કોર્ટ મેરેજ) હતા. ગૌરી હિન્દુ નથી, તે ખ્રિસ્તી છે. ગૌરી એવી ખ્રિસ્તી છે, જે કડકાઈથી ધર્મનું પાલન કરતી નથી. જેમ જેમ સમય વીતી રહ્યો છે, જિંદગી વધુ મજેદાર બનતી જઈ રહી છે.
રૂ. 100 કરોડના સ્કાયવિલા પર પણ એકટરની સ્પષ્ટતા
મિસ્ટર પરફેક્શનિસ્ટે મુંબઈના પાલી હિલ, બાંદ્રા વેસ્ટમાં 100 કરોડ રૂપિયાની મલ્ટી-જનરેશનલ સ્કાયવિલા બનાવવાની અફવાઓ પર પણ સ્પષ્ટતા કરી. તેમણે કહ્યું, અમારા એપાર્ટમેન્ટ કોમ્પ્લેક્સનું રિડેવલપમેન્ટ થઈ રહ્યું છે, જેમ કે બાકીના બોમ્બેમાં થઈ રહ્યું છે. આ અમારી હાઉસિંગ સોસાયટીનો નિર્ણય છે, જેમાં મારી સાથે 24 સભ્યો છે. તેમાં એક બિલ્ડર પણ સામેલ છે, જેણે મોટી સંખ્યામાં ફ્લેટ ખરીદ્યા છે અને તેથી બિલ્ડિંગનો મોટો હિસ્સો તેમની પાસે છે.

