New Delhi,તા.15
શાહરૂખખાનના મુંબઈના બાન્દ્રામાં આવેલા ભવ્ય બંગલા મન્નતનું રિનોવેશન કરવા માટે જરૂરી પરવાનગીઓ મેળવવામાં ન આવી હોવાનું જણાવી તેને પડકારતી અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી.
મન્નત ખાતે આવેલી છ માળની એનેક્સ બિલ્ડિંગમાં વધારાના બે માળ ઉમેરવાની ગૌરીખાનની દરખાસ્તને પગલે સોશ્યલ એક્ટિવીસ્ટ સંતોષ દોન્ડકરે માર્ચ ૨૦૨૫માં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં અપીલ નોંધાવી હતી. જેમાં ઓથોરિટી દ્વારા આપવામાં આવેલી સીઆરઝેડ મંજૂરીઓને પડકારવામાં આવી હતી.
પ્રોજેક્ટ સાથે સંકળાયેલી પાર્ટીએ આ આક્ષેપને નકારી નિયમ અનુસાર તમામ મંજૂરીઓ મેળવવામાં આવી હોવાનું જણાવ્યું હતું.
સુપ્રીમ કોર્ટે અરજદારની અરજીને ફગાવી દેતાં જણાવ્યું હતું કે ઘરમાલિકો તેમની સંપત્તિને નિયમ અનુસાર રિનોવેટ કરવા માટે મુક્ત છે. અરજદારે જણાવ્યું હતું કે પ્રોજેક્ટની કિંમત પાંચ કરોડ રૂપિયા કરતાં વધારે હોઇ તેના માટે પર્યાવરણ મંત્રાલયની મંજૂરી મેળવવી જરૂરી છે.
બેન્ચે અરજદારના ઇરાદા સામે સવાલ કરી જણાવ્યું હતું કે બંગલો ખાનગી રહેઠાણ છે અને તેમાં વસનારા કાયદા અનુસાર તેમાં જરૂરી ફેરફારો કરી શકે છે.

