Mumbai,તા.20
ભારતની T20 ટૂર્નામેન્ટ, સૈયદ મુશ્તાક અલી ટ્રોફીને એક નવો ચેમ્પિયન મળ્યો છે. પૂણેમાં રમાયેલી ફાઇનલમાં ઝારખંડે હરિયાણાને 69 રનથી હરાવીને ટાઇટલ જીત્યું છે. જેમાં કૅપ્ટન ઈશાન કિશન વિજયનો હીરો રહ્યો છે. ઈશાને 49 બોલમાં 101 રન બનાવ્યા હતા, જેમાં તેણે 10 છગ્ગા અને 6 ચોગ્ગા ફટકાર્યા છે. ટીમની જીત બાદ, કિશને ભારતીય ટીમમાંથી પોતાની બાદબાકી પર મૌન તોડ્યું છે.
ઈશાન કિશનના શાનદાર પ્રદર્શનના કારણે ઝારખંડ પહેલી વખત સૈયદ મુશ્તાક અલી ટ્રોફી પોતાને નામ કરવામાં સફળ રહી છે. કિશને પોતાના નામે ઘણાં રૅકોર્ડ બનાવ્યા છે. ટીમ ઇન્ડિયાના સ્ટાર ઓપનર અભિષેક શર્માની જેમ, ઈશાન કિશન પણ આ ટૂર્નામેન્ટમાં 5 સદી ફટકારી ચૂક્યો છે. કિશન આ ટૂર્નામેન્ટની ફાઇનલમાં સદી ફટકારનાર પ્રથમ કૅપ્ટન પણ બન્યો છે.
ઝારખંડની ટીમના કૅપ્ટન ઈશાન આખી ટૂર્નામેન્ટ દરમિયાન શાનદાર ફોર્મ રહ્યો છે. તેણે આ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવ્યા છે. ઈશાને 10 મેચમાં 57.7ની સરેરાશ અને 197.32 ની સ્ટ્રાઈક રેટથી 517 રન બનાવ્યા છે. જેમાં 2 સદી અને 2 અડધી સદી ફટકારી છે.
ઈશાન કિશનની વિસ્ફોટક ઇનિંગ દરમિયાન સ્ટેડિયમમાં બે ભારતીય ટીમના પસંદગીકારો પણ હાજર હતા. એક રિપોર્ટ મુજબ, ભારતીય પસંદગી સમિતિના સભ્યો, ભૂતપૂર્વ ઝડપી બોલર આરપી સિંહ અને ભૂતપૂર્વ સ્પિનર પ્રજ્ઞાન ઓઝા સ્ટેન્ડમાં હાજર હતા. પસંદગીકારોની સામે એક શક્તિશાળી ઇનિંગ રમીને, ઈશાન કિશન ફરી એકવાર ભારતીય ટીમ માટે પોતાનો મજબૂત હાજરી નોંધાવી છે. ઝારખંડને ખિતાબ અપાવ્યા બાદ ઈશાને બે સાલથી વધારે ભારતીય ટીમમાંથી બહાર રહેવાને મામલે મૌન તોડ્યું છે. તેણે કહ્યું કે, ‘જ્યારે ઇન્ડિયા ટીમમાં સિલેક્શન નહોતું થયું ત્યારે મને બહુ ખોટું લાગ્યું હતું, કારણ કે હું સારું પ્રદર્શન કરી રહ્યો હતો. પરંતુ મે મારી જાતને કહ્યું કે, આ પ્રદર્શન બાદ પણ મારું સિલેક્શન નથી થઈ રહ્યું તો કદાચ મારે વધારે મહેનત કરવાની જરૂર છે. કદાચ મારે આપણી ટીમને જીત અપાવવી પડશે.’
ઈશાન કિશનને કથિત રીતે અનુશાસનહીનતાના કારણે ટીમથી બહાર કરાયો હતો. જેને લઈને ઈશાને જણાવ્યું કે, ‘તે સમય મારા માટે સાચે મુશ્કેલીભર્યો હતો. એ જરૂર નથી કે નિરાશાને પોતાના પર હાવી થવા દો. બધા યુવાનો માટે મારો સંદેશ છે કે, નિરાશા તમને એક ડગલું પાછળ લઈ જશે. પરંતુ તમારે સખત મહેનતની સાથે ખુદ પર વિશ્વાસ રાખવો જોઈએ અને જે તમારે મેળવવું છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.’
ઈશાન કિશન પોતાની રમત અને ફિટનેસ પર કામ કરી રહ્યો હતો, ત્યારે તેને બાહુબલી ફિલ્મના એક પ્રખ્યાત ડાયલોગથી પ્રેરણા મળી હતી. તેણે જણાવ્યું કે, ‘રાજા જ્યાં પણ જાય છે, તે રાજા જ રહે છે.’ તો તે એક સરળ વાત છે કે, તમે જ્યાં પણ હોવ ગમે તે પરિસ્થિતિ હોય, તમારે ક્યારેય તમારા પર વિશ્વાસ કરવાનું બંધ ન કરવું જોઈએ.ઝારખંડે મુશ્તાક અલી ટ્રોફી ફાઇનલમાં પહેલા બેટિંગ કરતા ઈશાને સદી અને કુમાર કુશાગ્રએ 50 રન બનાવ્યા હતા. આમ 20 ઓવરમાં 3 વિકેટ સાથે 262 રનના વિશાળ સ્ટોર બનાવ્યો હતો. આ પછી હરિયાણાને 18.3 ઓવરમાં 193 રન બનાવ્યા હતા.

