ઓછી લાયકાત ધરાવતા ઉમેદવારો માટેની નોકરી ઊંચી લાયકાતના ઉમેદવારોને આપી શકાય નહીં
New Delhi,તા.૫
સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદામાં જણાવ્યું છે કે સરકારી નોકરી નિર્ધારિત લાયકાતો મુજબ લાયક ઉમેદવારો માટે જ ઉપલબ્ધ કરાવવી જોઇએ. જો ઓછી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો માટે નિર્ધારિત પદ પર વધુ લાયકાત ધરાવતી વ્યક્તિને નોકરી આપવામાં આવે, તો તે ખરેખર હકદાર અને લાયક ઉમેદવારની તક છીનવી લે છે.મદ્રાસ હાઇકોર્ટના એક આદેશને રદ કરતા ન્યાયમૂર્તિ અહસાનુદ્દીન અમાનુલ્લાહ અને આર મહાદેવની બનેલી ખંડપીઠે આ અવલોકન કર્યાં હતાં. હાઇકોર્ટે એક અસ્થાયી બેંક એટેન્ડન્ટને ફરીથી નોકરી પર રાખવાનો હુકમ કર્યો હતો. બેન્કે આ ઉમેદવારને બરખાસ્ત કર્યો હતો. સુપ્રીમ કોર્ટે નોંધ્યું હતું કે આ કર્મચારીએ પોતાની ગ્રેજ્યુએશનની લાયકાત છુપાવીને તે નોકરી મેળવી હતી, જ્યારે આ નોકરી માત્ર ધોરણ-૧૦ સુધીની લાયકાત ધરાવતા ઉમેદવારો માટે અનામત હતી. સરકારી રોજગારી તમામ પાત્ર ઉમેદવારોને નિર્ધારિત લાયકાતો અનુસાર ઉપલબ્ધ કરાવવી જોઈએ.ખંડપીઠે જણાવ્યું હતું કે કોઈ નોકરી ખાસ કરીને ઓછી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો માટે નિર્ધારિત કરાયેલી હોય ત્યારે વધુ લાયકાત ધરાવતી વ્યક્તિને તે નોકરી આપવાથી ખરેખર પાત્ર અને લાયક ઉમેદવાર તકથી વંચિત રહી જાય છે. કેટલીક નોકરીઓ માટે મહત્તમ શૈક્ષણિક લાયકાત નક્કી કરવાનો હેતુ સંપૂર્ણપણે વાજબી અને ન્યાયસંગત છે. તેનો ઉદ્દેશ એવા લોકોને રોજગારીની તક આપવાનો છે, જેઓ જીવનની પરિસ્થિતિઓને કારણે ઉચ્ચ શિક્ષણ મેળવી શક્યા નથી. એક આદર્શ નોકરીદાતા તરીકે સરકાર આવા લોકો માટે કેટલીક નોકરીઓ અનામત રાખી શકે છે, જેથી તેઓ વધુ લાયકાત ધરાવતા ઉમેદવારો સામે સ્પર્ધા કરવા માટે મજબૂર ન બને. આવી નીતિને અદાલતો દ્વારા સતત સમર્થન મળતું આવ્યું છે.

