આજે પોરબંદર માર્કેટ યાર્ડમાં કેસર કેરીનો ૨૦ કિલોનો ઉંચો ભાવ ૨૪૦૦ રૂપિયા સુધી બોલાયો હતો
Porbandar તા.૧૯
ઉનાળાની શરૂઆત થતાની સાથે જ સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લામાં કેરીની આવક જોવા મળી રહી છે ત્યારે પોરબંદર માર્કેટિંગ યાર્ડ ખાતે પણ હાલમાં ૧૨૦૦ જેટલા કેસર કેરીના બોક્સની આવક જોવા મળી રહી છે. પોરબંદરમાં આ વર્ષે પણ શરુઆતથી જ ગીરની કેસર કેરીને જગ્યા પોરબંદર જિલ્લાની સ્થાનિક બરડા પંથકની કેસર કેરીની બોલબાલા જોવા મળી રહી છે.
નાના મોટા સૌ કોઈ ઉનાળામાં સૌથી વધુ જે ફળ આરોગવાની રાહ જોઈને બેઠા હોય છે તે ફળ એટલે ફળોના રાજા એવી કેસર કેરીનું આગમન થઈ ચુક્યુ છે. પોરબંદર માર્કેટ યાર્ડ ખાતે પોરબંદર જિલ્લાની સ્થાનિક કાટવાણા, બિલેશ્વર, ખંભાળા અને હનુમાનગઢ સહિતના ગામોની કેસર કેરીની આવક અને માંગ લોકોમાં વધુ જોવા મળી રહી છે. પોરબંદર માર્કેટીંગ યાર્ડમાં કેરીના વેપારી નિતીન દાસાણીએ હાલની બજાર અંગે જણાવ્યું હતું કે, માર્કેટિંગ યાર્ડમાં હાલ છેલ્લા પાંચ-સાત દિવસથી યાર્ડમાં દરરોજ અંદાજે ૧૧૦૦ થી ૧૨૦૦ કેસર કરીના બોક્સની આવક થઈ રહી છે.
કેસર કેરીના હરાજીમાં થતા ભાવ અંગે તેઓએ જણાવ્યું હતું કે,૧ નંબરની કેસર કેરીનો ભાવ રુપિયા ૯૦૦ થી ૧૭૦૦ રુપિયામાં બોક્સનુ વેચાણ થાય છે જ્યારે ૨ નંબરની કેરીનો ભાવ ૭૦૦ થી લઈને ૯૦૦ રુપિયા સુધીમાં વેહચાય છે.કેરીની આવક અંગે તેઓએ ખાસ મહત્વની વાત કરતા જણાવ્યુ હતુ કે,આ વર્ષે બાગમાં જે ફ્લાવરીંગ હતુ તેને જોતા લોકોને એવુ હતુ કે આ વર્ષે કેરીની પુષ્કળ આવક થશે અને ભાવ નીચો રહેશે પરંતુ છેલ્લા થોડા દિવસોમાં જે ઝાકળ પડી તેના કારણે ઘણો માલ બળી ગયો છે એટલે અગાઉ જે માનવામાં આવતું કે માલ વધુ આવશે ભાવ ઓછા રહેશે તેવું ચિત્ર હવે દેખાતું નથી.પોરબંદરના બરડા ડુંગર આસપાસ વિસ્તારોમાંથી આવતી કેસર કેરીનો માલ ખૂબ જ ટેસ્ટી હોય છે તેથી તેની માંગ ભારત સહિત વિદેશમાં પણ જોવા મળે છે.પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં હાલમાં જે પણ કેસર કેરીની આવક થઈ રહી છે તે પોરબંદર જિલ્લાની સ્થાનિક કેરીની જ આવક છે.
છેલ્લા થોડા વર્ષોમાં જે રીતે પોરબંદર જિલ્લાના હનુમાનગઢ, કાટવાણા, બિલેશ્વર,આદિત્યાણા અને ખંભાળા સહિતના ગામોમાં જે રીતે આંબાઓનુ વાવેતર થયું છે તેના કારણે બરડા પંથકની કેસર કેરીની આજે દેશ વિદેશમાં માંગ વધી રહી છે.
શરૂઆતમાં જે રીતે આંબાના બગીચાઓમાં ફ્લાવરીંગ હતું અને વધુ ઉત્પાદનને કારણે ભાવ નીચા રહેશે તેવી ધારણા હતી તે ધારણા ઝાકળના કારણે પાકને નુકસાન થતા ભાવ વધુ નીચા રહે તેવી શક્યતા ઓછી જણાય છે.
હાલ તો આંબાના ઈજારાના રાખતા ઈજારેદારોમાં પણ હાલમાં જે ભાવ આવી રહ્યો છે તેનાથી તેઓ ખુશ જોવા મળી રહ્યા છે અને આગામી દિવસોમાં વધુ કેરી સાથે યાર્ડમાં વેચાણ માટે આવશે તેવી આશા તેઓ રાખતા જોવા મળી રહ્યા છે તો સ્થાનિક બજારોમાં વેચાણ અર્થે હરાજીમાંથી કેસર કેરીની ખરીદી કરનાર વેપારીએ જણાવ્યું હતું કે,સ્થાનિક બરડાની સારી એવી કેરી આવી છે આજ માલ અમે લઈએ છીએ અને ત્યારબાદ થડેથી વેચાણ કરીએ છીએ.
દર વર્ષે કેસર કેરીના બજારમાં આગમન થતાની સાથે જ અન્ય ફ્રૂટની સરખામણીએ જ્યાં નજર કરો ત્યાં બસ કેરી જ કેરી દેખાતી હોય છે અને લોકો મોટી સંખ્યામાં કેરીને આરોગે છે.ત્યારે પોરબંદરમાં આ વર્ષે પણ સ્થાનિક કેરીની સારી ગુણવંતા હોવાના કારણે લોકો મોટી સંખ્યામાં સ્થાનિક બરડા ડુંગર આસપાસના વિસ્તારની કેસર કેરીની ખરીદી કરતા હોવાથી આગામી દિવસોમાં કેરીની બજાર સારી રહેશે તેવો આશાવાદ ખેડૂતો ઈજારેદારો અને વેપારીઓ વ્યક્ત કરી રહ્યાં છે.