Junagadhતા.18
જુનાગઢ યુનિ.ની બાજુમાં ડુંગરપુરના યુવકની સળીયા વડે હત્યા થતા પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યારાઓને ઝડપી લીધા હતા. જુનાગઢ તાબેના ડુંગરપુર ગામે રહેતા અને મજુરી કામ કરતા રફીકશા કરીમશા રફાઈ (ઉ.40) ગત તા.16/4ની રાત્રીના ઘરે હતા ત્યારે મીલન સોલંકી અને અનીલ ગુજરાતી નામના બન્ને શખ્સો રાત્રીના ઘરે આવીને કહેલ કે ચલમનો માલ છે માલ ન હોવાનું કહેતા આ બન્નેએ ચલમનો માલ લેવા માટે ફોસલાવી રાત્રીના 10 કલાકે સાથે લઈ ગયેલ તેમ મૃતકના પત્નિ નજમાબેન રફીકશાએ ફરીયાદમાં જણાવ્યું છે.
આ ત્રણેય મીત્રો રાત્રીના ખડીયા ગામ પાસેની નરસિંહ મહેતા યુનિ. નજીકના જંગલમાં આવેલ ધના મહારાજના આશ્રમે ગયા હતા. જયા ત્રણેય વચ્ચે બોલાચાલી થતા આરોપીઓ મીલન સોલંકી અને અનીલ ગુજરાતીએ લોખંડના સળીયા વડે માથામાં શરીરે ગંભીર ઈજા કરી મોત નિપજાવી બન્ને નાસી ગયા હતા.
ઘટનાની જાણ થતા તાલુકા પોલીસ ક્રાઈમ બ્રાંચ સહિતની ટીમોએ તપાસ કરી બન્ને આરોપીઓને દબોચી લીધા હોવાનું એસસી એસટી સેલના ડીવાયએસપી રવિરાજસિંહ પરમારે પત્રકારોને જણાવ્યું હતું. માદક પદાર્થના સેવન માટે આ ત્રણેય ભેગા થયા હતા. આરોપી મીલન સોલંકી સામે અન્ય ગુન્હાઓ નોંધાયાનું બહાર આવ્યું છે. લાશનો કબ્જો લઈ ગઈકાલે પોલીસે પીએમ માટે મોકલી આપી છે.
મહિલા પીએસઆઈ એફ.બી. ગગનીયાએ મૃતક રફીકશા કરીમશા રફાઈના પત્ની નજમાબેન રફીકશાની ફરીયાદ નોંધી કલમ બીએનએસ ક. 103 (1) 56 જીપી એકટ 135 મુજબ તપાસ હાથ ધરી છે.

