Madhya Pradesh,તા.15
કોઈ એક ખોટી અફવા કેટલો મોટો વિનાશ નોતરી શકે છે, તેનો એક અત્યંત પીડાદાયક કિસ્સો મધ્યપ્રદેશના મુરૈના જિલ્લામાંથી સામે આવ્યો છે. રવિવારની સાંજે અહીં એક હૃદયદ્રાવક રેલ દુર્ઘટના સર્જાઈ છે. ઉદયપુર ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેનમાં આગ લાગવાની માત્ર એક અફવા ફેલાઈ અને ગભરાટના માર્યા મુસાફરો ચાલુ ટ્રેને નીચે કૂદી પડ્યા. રેલવે ટ્રેક પર ઉતરેલા આ નાગરિકોને બીજી દિશામાંથી પૂરપાટ ઝડપે આવી રહેલી પાતાળકોટ એક્સપ્રેસ ટ્રેને અડફેટે લીધા હતા. આ ટક્કરમાં 4 લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે. આખી ઘટના રવિવારની સાંજે ત્યારે બની જ્યારે ઉદયપુર ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેન મુરૈના જિલ્લાના હેતમપુર સ્ટેશન નજીકથી પસાર થઈ રહી હતી. ટ્રેન પોતાની ગતિમાં હતી, ત્યારે અચાનક ડબ્બાઓની અંદર એવી અફવા વાયુવેગે ફેલાઈ ગઈ કે ટ્રેનમાં ભયાનક આગ લાગી છે.જેવા આ સમાચાર મુસાફરોના કાને પડ્યા કે તરત જ આખી ટ્રેનમાં અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો. લોકોના મગજ કામ કરતા બંધ થઈ ગયા અને પોતાની જિંદગી બચાવવા માટે તેઓ કઈ પણ વિચાર્યા વગર ટ્રેનના દરવાજેથી નીચે કૂદવા લાગ્યા.
ટ્રેનમાંથી કૂદીને પાટા પર ઉભેલા મુસાફરોને અંદાજો પણ નહોતો કે તેઓ મોતની જાળમાં ફસાઈ ચૂક્યા છે. બરાબર એ જ સમયે બાજુના રેલવે ટ્રેક પરથી પાતાળકોટ એક્સપ્રેસ ટ્રેન ખૂબ જ તેજ ગતિએ આવી રહી હતી. પાટા પર ઉભેલા લોકોને કંઈ સમજાય કે ભાગવાની તક મળે તે પહેલાં જ પાતાળકોટ ટ્રેન આ મુસાફરો પર કાળ બનીને ફરી વળી.
આ અકસ્માત એટલો જોરદાર અને અચાનક હતો કે ટ્રેનની અડફેટે આવેલા લોકોના સ્થળ પર જ મોત નીપજ્યા હતા. પ્રાથમિક માહિતી અનુસાર આ ઘટનામાં અત્યાર સુધીમાં કુલ 4 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. આ અકસ્માતને પગલે સમગ્ર વિસ્તારમાં હોબાળો મચી ગયો હતો. સ્થાનિક લોકો અને રેલવેના ઉચ્ચ અધિકારીઓ સહિત જિલ્લા પ્રશાસનની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને રાહત તેમજ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે.

