(નયના દવે દ્વારા) Jamnagar તા.૨૪
રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક (આઈજી) નિર્લિપ્ત રાય આજે જામનગરની મુલાકાતે આવી પહોંચ્યા હતા. તેમના પ્રવાસ દરમિયાન શહેર અને જિલ્લામાં કાયદો તથા વ્યવસ્થાની સ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું તેમજ વિવિધ મુદ્દાઓ અંગે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે વિસ્તૃત સમીક્ષા બેઠક યોજાઈ હતી.આગામી મહોરમ અને તાજીયા પર્વને અનુલક્ષીને શહેર તથા જિલ્લામાં શાંતિ, સલામતી અને ભાઈચારાનું વાતાવરણ જળવાઈ રહે તે માટે ખાસ સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. આઈજીએ તહેવારો દરમિયાન પોલીસ બંદોબસ્ત, સુરક્ષા આયોજન, પેટ્રોલિંગ અને સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત દેખરેખ અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
મુલાકાત દરમિયાન જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ, ગુનાખોરી નિયંત્રણ માટે હાથ ધરાયેલા પગલાં તેમજ અસામાજિક તત્વો અને ગુનાહિત પ્રવૃત્તિઓ સામે કરવામાં આવેલી કામગીરી અંગે વિસ્તૃત માહિતી મેળવી હતી. ગુનાખોરી પર અસરકારક નિયંત્રણ રહે તે માટે જરૂરી સૂચનો પણ આપવામાં આવ્યા હતા.આ ઉપરાંત શહેર અને જિલ્લાના હિન્દુ તથા મુસ્લિમ સમાજના આગેવાનો સાથે બેઠક યોજવામાં આવી હતી. બેઠક દરમિયાન વિવિધ આગેવાનો અને નાગરિકોના મંતવ્યો મેળવી તહેવારો શાંતિપૂર્ણ રીતે ઉજવાય, સામાજિક સૌહાર્દ જળવાઈ રહે અને પરસ્પર ભાઈચારાની ભાવના વધુ મજબૂત બને તે માટે ચર્ચા કરવામાં આવી હતી. આઈજીએ બંને સમાજના આગેવાનોને સહકાર આપવા અપીલ કરી હતી.
પ્રવાસ દરમિયાન જિલ્લા પોલીસના અધિકારીઓ સાથે ક્રાઈમ કોન્ફરન્સ પણ યોજાઈ હતી. જેમાં મહત્વના ગુનાઓની તપાસ, પેન્ડિંગ કેસોની પ્રગતિ, કાયદો અને વ્યવસ્થા સંબંધિત પડકારો તેમજ પોલીસની કામગીરીને વધુ અસરકારક બનાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. આઈજી નિર્લિપ્ત રાયે અધિકારીઓને વ્યાવસાયિકતા, સતર્કતા અને જનકેન્દ્રિત અભિગમ સાથે કામગીરી કરવા સૂચના આપી હતી.આ પ્રસંગે જામનગરના પોલીસ અધિક્ષક ડૉ. રવિ મોહન સૈનિક, લાલપુરના આઈપીએસ અધિકારી પ્રતિભા રાવ, શહેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક જે.એન. ઝાલા, ગ્રામ્ય વિભાગના નાયબ પોલીસ અધિક્ષક પીયૂષ વાંદા સહિત એલસીબી, એસઓજી તથા વિવિધ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરો, પીએસઆઈ અને પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

