વિનોદભાઇ માછી નિરંકારી
ભગવાન ત્રીજા અધ્યાયના નવમા શ્ર્લોકમાં વ્યતિરેક રીતિથી કહ્યું હતું કે યજ્ઞ સિવાયના કર્મો મનુષ્યને બાંધે છે હવે આગળના શ્ર્લોક(૪/૨૩)માં તે જ વાતને અન્વય રીતિથી કહેતાં કહે છે કે..
ગતસઙ્ગસ્ય મુક્તસ્ય જ્ઞાનાવસ્થિતચેતસઃ
યજ્ઞાયાચરતઃ કર્મ સમગ્રં પ્રવિલીયતે
(ગતસઙ્ગસ્ય-જેની આસક્તિ સર્વથા નાશ પામી ચુકી છે, મુક્તસ્ય-જે મુક્ત થઇ ગયો છે, જ્ઞાનાવસ્થિત –જેની બુદ્ધિ સ્વરૂપના, ચેતસઃ-જ્ઞાનમાં સ્થિત છે તેવા કેવળ, યજ્ઞાય-યજ્ઞને અર્થે, આચરતઃ-કર્મ કરનાર મનુષ્યનાં, સમગ્રમ્-સમસ્ત, કર્મ-કર્મો, પ્રવિલીયતે-નષ્ટ થઇ જાય છે.)
જેની આસક્તિ સર્વથા નાશ પામી ચુકી છે, જે મુક્ત થઇ ગયો છે,જેની બુદ્ધિ સ્વરૂપના જ્ઞાનમાં સ્થિત છે એવા કેવળ યજ્ઞને અર્થે કર્મ કરનાર મનુષ્યનાં સમસ્ત કર્મો નષ્ટ થઇ જાય છે.
કર્મયોગીનાં સઘળાં કર્મો વિલીન થવાની વાત ગીતામાં ફક્ત આ શ્ર્લોકમાં આવી છે એટલા માટે આ કર્મયોગનો મુખ્ય શ્ર્લોક છે,એવી જ રીતે ૪/૩૬ જ્ઞાનયોગનો અને ૧૮/૬૬ ભક્તિયોગનો મુખ્ય શ્ર્લોક છે.
‘ગતસઙ્ગસ્ય’ સંગ એટલે મોહ-આસક્તિ. જ્યાં મોહ ત્યાં આસક્તિ હોય જ. જો મોહ જ ના હોય તો સંગ પણ ના હોય. સંગ એટલે ચોટી જવું. બધા સદગુણો અને દુર્ગુણોનું મૂળ મોહ છે. મોહમાંથી પ્રથમ બે તત્વો જન્મે છે-રાગ અને દ્વેષ. રાગ જ્યારે શુદ્ધ થાય છે ત્યારે તે પ્રેમ બને છે.
ક્રિયાઓનો, પદાર્થોનો, ઘટનાઓનો, પરિસ્થિતિઓનો, વ્યક્તિઓનો જે સંગ કરે છે એમની સાથે જે હ્રદયની ગાંઠ છે તે જ વાસ્તવમાં બાંધનારી કે જન્મ-મરણ આપનારી છે.સ્વાર્થભાવને છોડીને ફક્ત લોકોના હિતના માટે, લોકસંગ્રહાર્થે કર્મો કરતો રહેવાથી કર્મયોગી ક્રિયાઓ, પદાર્થો વગેરેથી અસંગ થઇ જાય છે એટલે કે તેની આસક્તિ સંપૂર્ણપણે દૂર થઇ જાય છે. વાસ્તવમાં મનુષ્ય સ્વરૂપથી અસંગ જ છે પરંતુ અસંગ હોવા છતાં પણ આ શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, પદાર્થ, પરિસ્થિતિ, વ્યક્તિ વગેરે સાથે સબંધ માનીને સુખની ઇચ્છાથી તેઓમાં તે બદ્ધ થઇ જાય છે. મારૂં મનગમતું થાય એટલે કે જે હું ઇચ્છું છું તે જ થાય અને જે હું નથી ઇચ્છતો તે ના થાય-એવો ભાવ જ્યાં સુધી રહે છે ત્યાં સુધી આ સંગ વધતો જ રહે છે. વાસ્તવમાં જે થાય છે તે થવાવાળું જ છે, જે થવાવાળું છે તેને ઇચ્છો કે ના ઇચ્છો તે થશે જ અને જે નથી થવાવાળું તેને ઇચ્છો કે ના ઇચ્છો તે નહી થાય. આથી પોતાનું મનગમતું કરીને મનુષ્ય વ્યર્થમાં-વિના કારણ ફસાય છે અને દુઃખ પામે છે.
કર્મયોગીનો ‘અહમ્’ પણ સેવામાં લાગી જાય છે, તેમના હૈયામાં ‘હું સેવક છું’ એ ભાવ પણ રહેતો નથી, એ ભાવ પણ મનુષ્યને સેવકપણાના અભિમાન વડે બાંધી દે છે. સેવકપણાનું અભિમાન ત્યારે જ થાય છે જ્યારે સેવાસામગ્રીની સાથે પોતાપણું હોય છે. સેવાની વસ્તુ તેની જ હતી, તેમને જ આપી દીધી તો સેવા શું થઇ? આપણે તો તેનાથી ઋણમુક્ત થયા એટલા માટે સેવક ન રહ્યા, ફક્ત સેવા રહી ગઇ. એ ભાવ રહે કે સેવાના બદલામાં ધન, માન-મોટાઇ, પદ, અધિકાર વગેરે કંઇપણ લેવું નથી કેમકે તેમના ઉપર આપણો હક્ક જ લાગતો નથી, તેનો સ્વીકાર કરવો એ તો અનધિકાર ચેષ્ટા છે. લોકો મને સેવક કહે-એવો ભાવ પણ ન રહે અને જો તેઓ કહે તો તેમાં રાજી પણ ના થવું. આ રીતે સંસારની વસ્તુઓને સંસારની સેવામાં સર્વ રીતે યોજી દેવાથી અંતઃકરણમાં એક પ્રસન્નતા થાય છે, એ પ્રસન્નતાનો પણ ભોગ કરવામાં ના આવે તો સ્વતઃસિદ્ધ અસંગતાનો અનુભવ થઇ જાય છે.
‘મુક્તસ્ય’ જે પોતાના સ્વરૂપથી સર્વથા અલગ છે તે ક્રિયાઓ અને શરીર વગેરે પદાર્થો સાથે પોતાનો સબંધ ન હોવા છતાં પણ કામના-મમતા અને આસક્તિપૂર્વક તેમની સાથે પોતાનો સબંધ માની લેવાથી મનુષ્ય બંધાઇ જાય છે એટલે કે પરાધીન થઇ જાય છે. કર્મયોગનું અનુષ્ઠાન કરવાથી જ્યારે માની લીધેલો અવાસ્તવિક સબંધ દૂર થઇ જાય છે ત્યારે કર્મયોગી સર્વથા અસંગ બની જાય છે. અસંગ થતાં જ તે સર્વથા મુક્ત થઇ જાય છે એટલે કે સ્વાધિન બની જાય છે.
‘જ્ઞાનાવસ્થિતચેતસઃ’ જેનું ચિત્ત જ્ઞાનમાં સ્થિર થયેલું છે, જેની બુદ્ધિમાં સ્વરૂપનું જ્ઞાન નિત્યનિરંતર જાગૃત રહે છે. સ્વરૂપજ્ઞાન થતાં જ તેની સ્વરૂપમાં સ્થિતિ થઇ જાય છે જે વાસ્તવમાં પહેલાંથી જ હતી. વાસ્તવમાં સ્વરૂપનું જ્ઞાન થતું નથી પણ જ્ઞાન સંસારનું થાય છે કેમકે સ્વરૂપ આપમેળે જ્ઞાનસ્વરૂપ છે. ક્રિયા અને પદાર્થનો વિભાગ અલગ છે તથા સ્વરૂપનો વિભાગ અલગ છે એટલે કે ક્રિયા અને પદાર્થનો સ્વરૂપ સાથે સહેજપણ સબંધ નથી. ક્રિયા અને પદાર્થ જડ છે તથા સ્વરૂપ ચેતન છે. ક્રિયા અને પદાર્થ પ્રકાશ્ય છે અને સ્વરૂપ પ્રકાશક છે. આ રીતે ક્રિયા અને પદાર્થની સ્વરૂપ સાથેની ભિન્નતાનું સારૂં એવું જ્ઞાન થતાં જ ક્રિયા અને પદાર્થરૂપી સંસાર સાથે સબંધ વિચ્છેદ થઇને સ્વતઃસિદ્ધ અસંગ સ્વરૂપમાં સ્થિતિનો અનુભવ થઇ જાય છે.
‘યજ્ઞાયાચરતઃ કર્મ સમગ્રં પ્રવિલીયતે’ કર્મમાં અકર્મ જોવાનો જ એક પ્રકાર છે-યજ્ઞાર્થ કર્મ એટલે કે યજ્ઞના માટે કર્મ કરવું. નિસ્વાર્થભાવથી ફક્ત બીજાઓના માટે કર્મો કરવાં એ ‘યજ્ઞ’ છે. જે યજ્ઞના માટે જ તમામ કર્મો કરે છે તે કર્મબંધનથી મુક્ત થઇ જાય છે અને જે યજ્ઞને માટે કર્મો નથી કરતો એટલે કે પોતાને માટે કર્મો કરે છે તે કર્મો વડે બંધાય જાય છે.
પ્રકૃતિનું કાર્ય છે-ક્રિયા અને પદાર્થ. આ બંન્નેમાં ક્રિયાનો પણ આદિ અને અંત થાય છે તથા પદાર્થનો પણ આદિ અને અંત થાય છે. ક્રિયા આરંભ થતાં પહેલાં પણ ન હતી અને સમાપ્ત થયા બાદ પણ નહી રહે એટલા માટે વચમાં પણ નથી-એવું સિદ્ધ થયું. આ જ રીતે પદાર્થ ઉત્પન્ન થતાં પહેલાં પણ ન હતો અને નષ્ટ થયા બાદ પણ નહી રહે એટલા માટે વચમાં પણ તે નથી-એ સિદ્ધ થયું કેમકે એ સિદ્ધાંત છે કે જે વસ્તુ આદિ અને અંતમાં હોતી નથી તે વર્તમાનમાં પણ હોતી નથી પરંતુ ચેતન કે સ્વરૂપનો આદિ કે અંત નથી હોતો તે સદા અક્રિયરૂપે જેમ છે તેમ રહે છે. તે ચેતનતત્વ ક્રિયા અને પદાર્થ-બંન્નેનું પ્રકાશક છે. આ રીતે ક્રિયા અને પદાર્થોની સાથે સહેજપણ સબંધ ન હોવા છતાં પણ જ્યારે તે તેમની સાથે પોતાનો સબંધ માની લે છે ત્યારે તે બંધાઇ જાય છે. આ બંધનથી છુટવાનો ઉપાય છે-ફળેચ્છાનો ત્યાગ કરીને ફક્ત બીજાઓના માટે કર્મો કરવાં. મળેલા પદાર્થોને બીજાઓના જ માનીને તેમની સેવામાં યોજે છે ત્યારે કર્મયોગીનાં તમામ ક્રિયામાન-સંચિત અને પ્રારબ્ધ કર્મો વિલિન થઇ જાય છે એટલે કે તેને કર્મોની સાથે પોતાની સ્વતઃસિદ્ધ અસંગતાનો અનુભવ થઇ જાય છે.
કર્તા-કરણ અને કર્મ-આ ત્રણેના મળવાથી કર્મોનો સંચય થાય છે. જો કર્તાપણું ન રહે તો કર્મોનો સંગ્રહ થતો નથી કેમકે કરણ અને કર્મ-બંન્ને કર્તાને જ આધિન છે. આથી કર્મસંચયનું મુખ્ય કારણ કર્તાપણું જ છે. વિચારપૂર્વક જોવામાં આવે તો કંઇને કંઇ મેળવવાની ઇચ્છાથી જ કરવાની ઇચ્છા ઉત્પન્ન થાય છે જેથી કર્તાપણું ઉત્પન્ન થાય છે.કર્તાપણાથી બંધન થાય છે.જ્યારે મનુષ્ય મેળવવાની ઇચ્છાથી પોતાના માટે કર્મો કરે છે ત્યારે તેનું કર્તાપણું દ્રઢ થઇ જાય છે.જ્યારે કર્મયોગી મેળવવાની ઇચ્છાનો ત્યાગ કરીને બીજાઓના હિતના માટે કર્મ કરે છે ત્યારે તેનું કર્તાપણું બીજાઓના માટે હોય છે એનાથી તેને પોતાની અસંગતાનો અનુભવ થાય છે.
વિનોદભાઇ માછી નિરંકારી
૯૭૨૬૧૬૬૦૭૫(મો)

