Rajkot,તા.૨૪
રાજકોટ મહાનગરપાલિકામાં ડામર પેચવર્કના કામને લઈને ગંભીર ભ્રષ્ટાચારના આક્ષેપો સામે આવતા શહેરના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ખાસ વાત એ છે કે આ આક્ષેપો વિરોધ પક્ષ દ્વારા નહીં પરંતુ ભાજપના જ કોર્પોરેટર દ્વારા કરવામાં આવ્યા છે, જેના કારણે મામલો વધુ ચર્ચાસ્પદ બન્યો છે.
મળતી માહિતી મુજબ શહેરના વોર્ડ નં. ૭માં હાથ ધરાયેલી ડામર પેચવર્ક કામગીરીમાં મોટા પાયે ગેરરીતિ થઈ હોવાનો આરોપ છે. કોર્પોરેટર અને સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા અનુસાર સરકારી દસ્તાવેજોમાં ૨૫૦ ટન ડામર વપરાયું હોવાનું દર્શાવવામાં આવ્યું છે, જ્યારે વાસ્તવમાં ઘણા વિસ્તારોમાં કોઈ કામગીરી જ કરવામાં આવી નથી.
વિજય પ્લોટ અને દિવાનપરા સહિતના વિસ્તારોમાં રોડ પર પેચવર્ક થયાના કોઈ પુરાવા જોવા મળતા નથી. સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે વર્ષોથી રોડની સમસ્યા યથાવત છે અને અનેક વખત લોકોને પોતાના ખર્ચે ખાડા પુરવા પડે છે. મામલો સામે આવતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને તેને ગંભીર ગણાવી જવાબદાર અધિકારીઓ પાસેથી ખુલાસો માંગવાની વાત કરી છે. તેમણે જણાવ્યું કે જો તપાસમાં ગેરરીતિ સાબિત થશે તો દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
બીજી તરફ, કટારિયા ચોકડી પાસેની ૫૭૬ આવાસોની યોજના પણ વિવાદમાં આવી છે. ભાજપના નેતાઓ વલ્લભ દૂધાત્રા અને દિલીપ લુણાગરીયાએ આવાસ માટે પસંદ કરાયેલી જમીન અંગે વાંધો ઉઠાવ્યો છે. તેમનું કહેવું છે કે અન્ય રોડ-ટચ પ્લોટ પર યોજના બનાવવામાં આવે તો મનપાને વધુ આવક મળી શકે છે.સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પીપળીયાએ જણાવ્યું કે પ્લોટના હેતુફેર અંગેનો નિર્ણય રાજ્ય સરકારના અધિકારક્ષેત્રમાં આવે છે અને આ અંગે સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવશે.
રાજકોટમાં એકસાથે બે મહત્વના વિકાસકાર્યો સામે ભાજપના જ નેતાઓ દ્વારા સવાલો ઉઠાવવામાં આવતા મનપાની કામગીરી અને પારદર્શિતા અંગે નવી ચર્ચા શરૂ થઈ છે.

