ફાલ્ગુની વસાવડા (ભાવનગર)
આપનાં શ્રીચરણોમાં મારાં સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ.આજે શુક્રવાર એટલે કે ઉપનિષદીય જ્ઞાનનો સહજ સરળ અર્થ કરી વ્યવહાર જગતમાં સ્થાપી જીવનને શાંતિ પ્રદાન કરવાનો દિવસ.આજનાં સમયને શિક્ષણ અને સંશોધનનો સમય કહેવામાં આવે છે. હાં શિક્ષણમાં સ્પર્ધા પ્રવેશી ગઈ છે, અને શિક્ષણે એક વ્યવસાયનું સ્થાન લઈ લીધું છે, એ એક વાત જુદી છે. શિક્ષણની કેટકેટલી શાખાઓમાં આજે વિદ્યાર્થીઓ સ્નાતક થઈ પોતાની કેરિયર બનાવી રહ્યાં છે અને, માનવ જીવનને કેમ વધુ ને વધુ સુખ સુવિધા પૂરી પાડવી! એ ઉપરાંત દરેકની જરૂરિયાતને પૂરી કંઈ રીતે કરી શકાય! તેમજ બદલાતાં પ્રાકૃતિક સમીકરણોમાં મનુષ્ય પોતાની જાતને કંઈ રીતે ગોઠવી શકે! એટલે કે એને અંતરિક્ષ જેમ ઓછાં ઓક્સિજન, પાણી,કે ખોરાક સાથે જીવન જીવવું પડે તો શું કરવું! કે પછી સતત સામાજિક અશાંતિનાં વાતાવરણમાં શાંતિ કંઈ રીતે મેળવી શકાય, એ માટે આપણાં વૈદિક શાસ્ત્રો પર સંશોધન થાય છે! આજે વિદ્યાર્થીઓ માત્ર અક્ષરજ્ઞાન પ્રાપ્ત કરે છે, પરંતુ વૈદિક શાસ્ત્રોનાં મંથનથી સાચું જ્ઞાન પ્રાપ્ત થાય છે. આપણે ચોથા ઉપનિષદ મૂંડકનાં ત્રીજા ભાગમાં શું કહેવામાં આવ્યું છે, અને ઋષિ દ્વારા સાધકને બ્રહ્મ જ્ઞાનની સહજ સમજ કંઈ રીતે આપવામાં આવી છે, એનાં મહત્વનાં શ્લોક વિશે વાત કરીશું.
દ્વા સુપર્ણા સયુજા સખાયા
સમાનં વૃક્ષં પરિષસ્વજાતે ।
તૈયોરન્યઃ પિપ્પલં સ્વાદ્વત્તિ
અનશ્નન્નન્યો અભિચાકશીતિ ॥
એટલે કે એક જ વૃક્ષ પર બે પક્ષીઓ બેઠાં છે, એક ફળ ખાય છે એ જીવાત્મા છે, અને બીજો માત્ર સાક્ષી બની જુએ છે પરમાત્મા છે.
અર્થ તો સાવ સીધોસાદો અને સિમિત છે, પરંતુ જીવાત્મા છે, એટલે અજ્ઞાનને કારણે કર્મ અને ભોગને જ ફળ સમજી ખાય છે! જ્યારે બીજું પક્ષી એટલે કે પરમાત્મા શાંત અને નિર્લેપભાવે સાક્ષી બની જીવાત્માને ભવભવની ભ્રમણામાં ફસાતો જુવે છે.
સત્યમેવ જયતે નાનૃતં
સત્યેન પન્થા વિતતો દેવયાનઃ ॥
એટલે કે સત્યનો જ વિજય થાય છે, અસત્યનો નહીં.
આ સૂત્રને ભારતના રાષ્ટ્રીય સૂત્ર તરીકે સ્વીકારવામાં આવ્યું છે, પરંતુ અહીં માનવ જીવનનું મૂળ સત્ય શું છે? એ સત્યની વાત છે. એણે આમ કહ્યું! ને મેં આમ કહ્યું! એવાં આપણાં નિવેદનોની સચ્ચાઈ માત્રમાં સત્યની પરિભાષા પૂરી થઈ જતી નથી! સત્યને સમજવું અઘરું છે! આપણે સત્ય અને અસત્ય ને એક સિક્કાની બે બાજુ તરીકે જોઈએ છીએ! હકીકતમાં જીવ અને બ્રહ્મ એક સત્યની બે બાજુ છે.
૩. નાયમાત્મા પ્રવચનેન લભ્યઃ
નાયમાત્મા પ્રવચનેન લભ્યો
ન મેધયા ન બહુના શ્રુતેન ।
યમેવૈષ વૃણુતે તેન લભ્યઃ
તસ્યૈષ આત્મા વિવૃણુતે તનું સ્વામ્ ॥
એટલે કે આત્માનો અનુભવ માત્ર વક્તૃત્વ, બુદ્ધિ પ્રેરક પ્રવચનો સાંભળવાથી થતો નથી, સાચા સાધકમાં આત્મા પોતે પ્રગટ થાય છે.
આ શ્લોક સમજવો બહુ જરૂરી છે! કારણકે માહિતી કે જાણકારીને નામે આપણે ખૂબ બધું જાણીએ છીએ, પરંતુ એનાથી નથી આત્મ શુદ્ધિ થતી, કે નથી શાંતિ અનુભવાતી! ઉલટું હું કંઈક જાણું છું! એવો અહમ વધે છે.
૪. બ્રહ્મવિદ્ બ્રહ્મૈવ ભવતિ
બ્રહ્મવિદ્ બ્રહ્મૈવ ભવતિ ॥
એટલે કે જે બ્રહ્મને જાણે છે, તે પોતે બ્રહ્મરૂપ બની જાય છે. આત્મજ્ઞાન પછી હું અને પરમાત્મા અલગ છીએ, એવો ભેદ રહેતો નથી
ઋષિએ સહજતાથી કહી દીધું કે, આ રીતે બ્રહ્મ સ્વરૂપ બની શકાય છે, પણ બ્રહ્મને જાણવાની કોશિશ તો કરવી પડે! થોડું કંઈક તપ ત્યાગ કે દાન કરવું પડે! આત્મ શુદ્ધિ માટે કંઈક સુધારાની ક્યાં જરૂર છે? એવું ચિંતન કરવું પડે! જ્યારે જીવ તો અભિમન્યુ જેમ હું ના ચક્રવ્યૂહમાં ફસાઈ ગયો છે.
ભિદ્યતે હૃદયગ્રંથિઃ
ભિદ્યતે હૃદયગ્રંથિઃ
છિદ્યન્તે સર્વસંશયાઃ ।
ક્ષીયન્તે ચાસ્ય કર્માણિ
તસ્મિન્ દૃષ્ટે પરાવરે ॥
એટલે કે પરમાત્માનો સાક્ષાત્કાર થતાં હૃદયની ગાંઠો, સંશયો અને કર્મબંધન નાશ પામે છે.
ઋષિ કહે છે એ રીતે જીવને પરમાત્માનો સાક્ષાત્કાર થવો સરળ નથી, પણ આપણે ઉંધા ચાલીએ તો! એટલે કે “હું પણું” છોડી હ્રદયની આગ્રહ, દૂરાગ્રહ, કે પૂર્વાગ્રહની ગાંઠો ખોલવાની કોશિશ કરીએ, સમાજ, સંબંધ, કે સંસાર પ્રત્યેનાં સંશયોનું સમાધાન શોધીએ! અને થોડી જાગૃતિ રાખી કર્મ કરતી વખતે નિમિત્ત માત્રનો ભાવ રાખીએ તો, આપોઆપ આત્મ શુદ્ધિ થશે અને પરમતત્વ અંદર જ છે, એવી અનૂભૂતિઓને સરવાળે પરમાત્માનાં સાક્ષાત્કાર સુધી પહોંચી શકાય!
ત્રીજા મુંડકનો મુખ્ય બોધ એ છે કે,
જીવ અને બ્રહ્મ એક જ સત્યના બે પાસાં છે, અને આ બ્રહ્મ રુપી સત્ય સુધી પહોંચવા
તપ, ત્યાગ, સંયમ, શ્રદ્ધા નામક પરિબળોથી જીવને આત્મચિંતન થાય છે, અને પોતાની અંદર આત્મ રુપે પરમાત્માનો અંશ છે એવું બ્રહ્મજ્ઞાન મળે છે, અને આવું જ્ઞાન મુક્તિ તરફ દોરે છે.
ભગવાન કે આત્માની અનુભૂતિ બાહ્ય ક્રિયાથી નહીં, પરંતુ આંતરિક શુદ્ધિ અને અનુભૂતિથી થાય છે.અંતે આત્મજ્ઞાન મનુષ્યને મુક્તિ તરફ લઈ જાય છે, એટલે કે પરમ બ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત કરવાથી મનુષ્ય જન્મ મરણના બંધનમાંથી મુક્ત થાય છે, અને એટલે આ ઉપનિષદનો ઋષિ આત્મજ્ઞાન, બ્રહ્મસાક્ષાત્કાર અને મુક્તિનાં માર્ગ પર ભાર મૂકે છે.
મુંડક ઉપનિષદનાં ત્રીજા મુંડકને અનેક આચાર્યો અને મહાનુભાવોએ અત્યંત ઊંડાણપૂર્વક સમજાવ્યો છે. આદિ શંકરાચાર્ય કહે છે કે “બે પક્ષીઓનું રૂપક મનુષ્યનાં આંતરિક જીવનનું ચિત્ર છે, જેમાં અજ્ઞાનને કારણે જીવ પોતાને મર્યાદિત માને છે. જ્યારે જ્ઞાન થાય છે ત્યારે સમજાય છે, કે જીવ અને બ્રહ્મ અલગ નથી, અને ખુદમાં જ એ દિવ્ય પ્રકાશનો અનુભવ કરે છે. ઉદાહરણ તરીકે જેમ સ્વપ્નમાં માણસ પોતે દુઃખી થાય છે, પણ જાગ્યા પછી સમજાય છે કે આ બધું મનનું સર્જન હતું, તેમ આત્મજ્ઞાન પછી સંસારનું બંધન ઓછું થઈ જાય છે. સ્વામી વિવેકાનંદ કહે છે કે મૂંડક ઉપનિષદ શક્તિ અને નિર્ભયતાનો ગ્રંથ છે.માનવ કમજોર નથી; તે દિવ્ય છે, પરંતુ તે અજ્ઞાનને કારણે પોતાની દિવ્યતા તરફ દુર્લક્ષ સેવે છે. જીવાત્મા જ્યારે પોતાના દિવ્ય સ્વરૂપને ઓળખે છે, ત્યારે ભય, હીનતા અને આસક્તિ દૂર થાય છે, અને સ્વયંમાં દિવ્ય પ્રકાશની અનુભૂતિ કરે છે. આ વાત એમણે બહું સરસ ઉદાહરણ સાથે સમજાવી, સિંહનું બચ્ચું જો ઘેટાં વચ્ચે ઉછરે તો પોતાને ઘેટું માને. પરંતુ જ્યારે તે પોતાની છબી જોઈને સાચું સ્વરૂપ ઓળખે, ત્યારે તેનો સ્વભાવ જાગે છે.
વિવેકાનંદ કહે છે કે મનુષ્યની હાલત પણ એવી જ છે. રમણ મહર્ષિ કહે છે કે બહાર નહીં,
પોતાના અંતરમાં જ સત્ય શોધો.
જ્યારે “હું શરીર છું” એવો ભ્રમ દૂર થાય છે, ત્યારે આત્માનો પ્રકાશ અનુભવાય છે.
જેમ વાદળો સૂર્યને ઢાંકે છે, પરંતુ સૂર્ય ક્યારેય નષ્ટ થતો નથી, એ જ રીતે અજ્ઞાન આત્માનાં પ્રકાશને ઢાંકે છે; આત્મા હંમેશા પ્રકાશમાન છે.આપણી માટે આ ઉપનિષદ માંથી કંઈક તારવવા જેવું હોય તો એ છે બ્રહ્મ સ્વરૂપ આત્માં એટલે દિવ્ય પ્રકાશ. સત્ય અને અસત્યમાં સત્ય એટલે બ્રહ્મ,અને અસત્ય એટલે ક્ષણભંગુર જગતનો ભ્રમ! જેને જગત મિથ્યા પણ કહેવામાં આવે છે, અને જે ભ્રમ છે, એનો નાશ થઈને રહેશે. જ્યારે શાશ્વત સત્ય એ છે કે, જીવ ની ચેતનાનું, બ્રહ્મનાં ચૈતન્યમાં એકાકાર થવું. હકીકતમાં મનુષ્ય બહાર સુખ શોધે છે, પરંતુ શાંતિ અંદરનાં ચૈતન્યમાં છે. જેમ દરિયામાં તરંગો ઉઠે અને શાંત થાય, છતાં દરિયાનું મૂળ સ્વરૂપ બદલાતું નથી, તેમ જીવનમાં સુખદુઃખ આવે જાય, પરંતુ આત્મા અચળ રહે છે.પોતાનાં સાચા સ્વરૂપને ઓળખવું એ જ મુક્તિ છે, અને આ ઓળખ, અક્ષર જ્ઞાનથી નહીં,પરંતુ આત્મ ચિંતનથી થતાં અનુભવ, ધ્યાન, સત્ય દ્વારા થાય છે. આપણે આવા સરળ અર્થને વ્યવહારમાં સ્થાપી નમ્ર બની શાંતિને સહજ બનાવી જીવી શકીએ, એવી એક અનન્ય પ્રાર્થના ઈશ્વર ચરણે રાખી, હું મારા શબ્દોને આજે અહીં જ વિરામ આપું છું. ફરી મળીશું નવાં ચિંતન મનન સાથે, તો સૌને મારા આજનાં દિવસનાં સ્નેહ વંદન અને જય સીયારામ.
લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર)

