ફાલ્ગુની વસાવડા
આપનાં શ્રીચરણોમાં મારાં સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. સાંપ્રત સમયમાં દરેક ક્ષેત્ર સામે કોઈ ને કોઈ પ્રશ્ન ઉભો છે, ચાહે એ રાજકીય ક્ષેત્ર હોય, સામાજિક ક્ષેત્ર હોય, વેપાર હોય, શિક્ષણ હોય, રમતગમત હોય, મેડિકલ ક્ષેત્ર, ન્યાય તંત્ર, વહીવટી તંત્ર, મનોરંજન ક્ષેત્ર, આરોગ્ય ક્ષેત્ર સ્વાસ્થ્ય ક્ષેત્ર, ખેતી અને એની ઉપજ ! બસ, ટ્રેન, પ્લેન અકસ્માતનું નિવારણ કેમ કરીશું? કુદરતી આપત્તિથી કેમ બચવું? પ્રદૂષણ કેમ ઘટાડવું?આવાં વિકાસની વાતોમાં પણ પ્રશ્નો જ છે? ઘરઘર સુધી સુખ સુવિધા પહોંચી કે નહીં! વગેરે, અને સૌથી વધુ પ્રશ્ન તો ધર્મ સામે છે! કારણકે વગર સમજે એને વિશે ચર્ચાઓ થાય છે, અને હવે તો સોશિયલ મીડિયા પણ આવાં અનેક પ્રશ્નોનુ જાણે કાયદેસરનું પ્લેટફોર્મ હોય, એમ પોતાનાં પ્રતિભાવો આપે છે, અને પ્રશ્નો પણ કરે છે! પ્રશ્ન ગમે તે ક્ષેત્રે થાય પણ એની અસર સમાજ પર પડે છે, અને આવાં એક કરતાં વધુ પ્રશ્નો એકસાથે જ્યારે ઉદભવે ત્યારે, જાણે સૂરજ આડે વાદળો આવી ગયાં હોય એમ અંધકાર છવાઈ જાય છે! અને દરેક એનો જવાબ શોધવાં અથવા તો સમાધાન માટે ચોક્કસ મથે છે! પરંતુ સાચી જગ્યાએ નહીં! પહેલા મોટેભાગે પ્રશ્નોનું નિવારણ ગુરુ દ્વારા જ થતું! અને હવે સૌની ગુરુતા ગ્રંથી કાર્યરત થઇ છે!આજે શુક્રવાર એટલે પ્રશ્ન ઉપનિષદનાં આગળનાં પ્રશ્નમાં શિષ્ય ગુરુને હવે ક્યો પ્રશ્ન કરે છે એ વિશે ચિંતન કરીશું
ભાર્ગવ વૈદર્ભિ નામનો શિષ્ય પિપ્પલાદ ઋષિને પૂછે છે:
ભગવન્! કત્યેવ દેવાઃ પ્રજાં વિધારયન્તે? કતર એતત્ પ્રકાશયન્તે? કઃ પુનરેષાં વરિષ્ઠઃ?
“હે ભગવન! કેટલી દેવશક્તિઓ આ શરીરને ધારણ કરે છે? કોણ તેને પ્રકાશિત કરે છે? અને તેમાં સર્વશ્રેષ્ઠ કોણ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પિપ્પલાદ ઋષિ સમજાવે છે કે આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી, વાણી, મન, ચક્ષુ, શ્રવણ વગેરે બધાં પોતાને મહત્વપૂર્ણ માને છે, પરંતુ અંતે પ્રાણ પોતાની શ્રેષ્ઠતા સાબિત કરે છે. જ્યારે પ્રાણ બહાર જવા લાગે છે ત્યારે બધી ઇન્દ્રિયો અને શક્તિઓ નિર્બળ થઈ જાય છે, અને પ્રાણ સ્થિર થાય ત્યારે બધું સ્થિર થાય છે.આથી બીજા પ્રશ્નનો મુખ્ય વિષય છે: પ્રાણની મહત્તા અને શરીરમાં તેની સર્વોચ્ચ ભૂમિકા.
પ્રશ્નોપનિષદનાં બીજા પ્રશ્નમાં મુખ્યત્વે પ્રાણ એટલે કે જીવનશક્તિનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું છે.
**પ્રાણો હિ એવૈતાન્ સર્વાન્ સંધત્તે।
પ્રાણ જ આ બધી શક્તિઓને એકસાથે જોડી રાખે છે અને ધારણ કરે છે.
**યથા સમ્રાડેવાધિકૃતાન્ વિનિયુંક્તે એતાન્ ગ્રામાન્ એતાન્ ગ્રામાનિતિ ।
એવમેવ એષઃ પ્રાણ ઇતરાાન્ પ્રાણાન્ પૃથક્ પૃથગેવ સન્નિધત્તે ॥
સામાન્ય રીતે જેમ રાજા પોતાનાં અધિકારીઓને જુદા જુદા ગામોનું કાર્ય સોંપે છે, તેમ મુખ્ય પ્રાણ શરીરમાં રહેલાં અપાન, વ્યાન, સમાન અને ઉદાન વગેરે પ્રાણોને અલગ અલગ કાર્યોમાં નિયુક્ત કરે છે.અર્થાત્ શરીરની તમામ ક્રિયાઓ પાછળ એક કેન્દ્રીય જીવનશક્તિ કાર્યરત છે, અને એ બ્રહ્મની.
**અરા ઇવ રથનાભૌ પ્રાણે સર્વં પ્રતિષ્ઠિતમ્ । ઋચો યજૂંષિ સામાનિ યજ્ઞઃ ક્ષત્રં બ્રહ્મ ચ ॥
સામાન્ય રીતે જેમ રથના પૈડાનાં બધાં આરા નાભિ સાથે જોડાયેલ હોય છે, તેમ સમગ્ર જગત, વેદો, યજ્ઞો, જ્ઞાન અને શક્તિ બધું પ્રાણમાં જ સ્થિત છે. પરંતુ સમગ્ર સૃષ્ટિ એક જ દિવ્ય જીવનશક્તિ પર આધારિત છે, અને એટલે પ્રાણ એ વ્યક્તિગત નહીં પરંતુ વૈશ્વિક શક્તિ છે.
**પ્રાણસ્યેદં વશે સર્વં ત્રિદિવે યત્ પ્રતિષ્ઠિતમ્| માતેવ પુત્રાન્ રક્ષસ્વ શ્રીઃ ચ પ્રજ્ઞાં ચ વિધેહિ નઃ|
સામાન્ય રીતે ત્રણે લોકમાં જે કંઈ છે તે બધું પ્રાણનાં આધીન છે. હે પ્રાણ! માતા જેમ પોતાનાં સંતાનોની રક્ષા કરે છે, તેમ અમારી રક્ષા કરો, અને સમૃદ્ધિ તથા પ્રજ્ઞા આપો. પ્રાણ એટલે જ ઈશ્વર! અને આત્મ વંદન કરે છે. સાધક પ્રાણમાં એટલે કે આત્મ શક્તિની શરણાગતિ સ્વીકારે છે.સાચી સમૃદ્ધિ માત્ર ધન નહીં,પણ પ્રજ્ઞા એટલે કે આત્મજ્ઞાન છે, તત્વતઃ એ સત્ય સમજાય છે. આ રીતે પ્રાણની ઉપાસના અંતે આત્મસાક્ષાત્કાર તરફ લઈ જાય છે.
બીજા પ્રશ્નનો સાર એટલો છે કે શરીરમાં અનેક શક્તિઓ કાર્ય કરે છે, પરંતુ પ્રાણ સર્વોચ્ચ છે. પ્રાણનાં આધારે જ મન, ઇન્દ્રિયો અને શરીર કાર્ય કરે છે. પ્રાણ વ્યક્તિગત શ્વાસ નહીં, પરંતુ બ્રહ્મની અભિવ્યક્તિ છે. પ્રાણની સાધના અને પ્રાણાયામ દ્વારા મનને સ્થિર કરીને આત્મજ્ઞાન પ્રાપ્ત થઈ શકે છે.આ શ્લોકો બીજા પ્રશ્નનાં સૌથી મહત્વપૂર્ણ મંત્રો ગણાય છે.
**જગતગુરુ શંકરાચાર્ય કહે છે કે આપણાં શરીરનો પ્રાણ એ વ્યક્તિગત નથી, બ્રહ્મની શક્તિ છે, જે એણે આપણા શરીર સાથે જોડી છે. ઉદાહરણ તરીકે વીજળી જાય તો પંખો લાઈટ કોમ્પ્યુટર વગેરે સાધનો ક્રિયા કરી શકતાં નથી, એમ પ્રાણ વગર આ શરીર નામનું સાધન નકામું છે!
** સ્વામી વિવેકાનંદ કહે છે કે પ્રાણ વિચારોની શક્તિ,શરીરની ગતિ, અને કુદરતી બળો, રીતે શરીરમાં અને વિશ્વમાં પ્રવર્તે છે, એટલે કે આ બધા પ્રાણના વિવિધ સ્વરૂપો છે. ઉદાહરણ તરીકે સમુદ્રમાં ઊઠતા જુદા જુદા મોજાં દેખાવમાં અલગ હોય છે, પણ બધાં પાણી જ છે. તેવી જ રીતે વિવિધ શક્તિઓનું મૂળ એક જ પ્રાણ છે.
** સ્વામી ચિન્મયાનંદ કહે છે કે શરીર તથા એની ઈન્દ્રિયો અહમ કરે છે, કે અમે છીએ એટલે જ મનુષ્ય આટલો મહાન છે! પણ જેવું પ્રાણ તત્વ બહાર નીકળે છે, ત્યારે ઈન્દ્રિયો નબળી પડી જાય છે.
** સ્વામી રંગનાથન કહે છે કે ઉપનિષદ આપણને એકતાનો પાઠ ભણાવે છે! જેમ રાણી મધમાખી જ મધપૂડાની રચના કરનાર છે, ભલે એ મધ એકઠું કરવા જતી નથી! છતાં એ બહાર નીકળી જાય તો બાકીની માખી એની પાછળ પાછળ ચાલે છે, એમ પ્રાણ એ બ્રહ્મ શક્તિનું સૌથી મોટું પ્રમાણ છે.
સાંપ્રત સમયમાં વૈશ્વિક શાંતિ માટે સદગુરુ પણ ચિંતન દ્વારા આપણી દિવ્ય ચેતનાનો વિસ્તાર કરી રહ્યા છે. પ્રાણ માત્ર શ્વાસ નથી, પરંતુ ઈશ્વરની જીવંત શક્તિ છે, અને એ રીતે ઈશ્વરની હાજરીનું પ્રમાણ છે. મન, ઇન્દ્રિયો અને આખું શરીર પ્રાણનાં આધારે જ કાર્ય કરે છે.જ્યારે સાધક પ્રાણનું ધ્યાન કરે છે, ત્યારે તે પોતાના અંદરના ચૈતન્યને અનુભવી શકે છે, કુંડલિની જાગરણનાં યોગમાં પ્રાણાયામનું મહત્વ એ જ કારણે છે કે, પ્રાણને સ્થિર કરવાથી મન સ્થિર બને છે, અને નાભિથી ઉપર આવન જાવન કરતી શક્તિની દિવ્ય અનુભૂતિથી આત્મજ્ઞાનનો માર્ગ ખુલ્લો થાય છે. પ્રાણ તત્વ સમજાવતા કહે છે કે, શરીરનો અંત એટલે મૃત્યુ પછી આ શક્તિ છૂટી પડી દિવ્ય ચેતનામાં ભળી જાય છે. સાધક જ્યારે પ્રાણને સર્વનો સમજે છે, ત્યારે તેને સમગ્ર સૃષ્ટિની એકતા અનુભવાય છે, અને એ રીતે એ સામેની વ્યક્તિનાં મનની વાત સમજી શકે છે! દૂર રહીને પણ એનું શુભ કરી શકે છે! પ્રાણ તત્વ જતું દેખાય ત્યારે ઈન્દ્રિયોને જ્ઞાન થાય છે કે આપણે તો કઠપૂતળી માત્ર છીએ. ટૂંકમા નટ નટરાજ ની યુતિથી સમગ્ર બ્રહ્માંડ પ્રભાવિત અને પ્રકાશિત છે.
બીજા પ્રશ્નનો તત્ત્વજ્ઞાનિક સાર પ્રાણ શરીરની મુખ્ય જીવનશક્તિ છે.ઇન્દ્રિયો અને મન પ્રાણ પર આધારિત છે.પ્રાણનું મૂળ બ્રહ્મમાં છે. પ્રાણની પ્રાણાયામ, ધ્યાન દ્વારા સાધના કરીને મનને શુદ્ધ અને સ્થિર બનાવે છે.પ્રાણની પાછળ રહેલા ચૈતન્યને ઓળખવું એ ઉપનિષદનો અંતિમ સંદેશ કે નિષ્કર્ષ છે, પ્રાણનું જ્ઞાન આત્મજ્ઞાન તરફ લઈ જાય છે.આધુનિક ભાષામાં કહીએ તો પ્રાણ એક “સેન્ટ્રલ એનર્જી સિસ્ટમ” છે, જે સ્વમાં કાર્યરત થાય તો પરકાયા પ્રવેશ સુધીનું કાર્ય કરી શકે છે. તત્વતઃ પ્રાણ એ ઈશ્વરીય શક્તિ છે એવું જ્ઞાન આપણે સૌ કરી શકીએ, અને એ રીતે સ્વયં પર સંયમ કરીને જીવી શકીએ, એવી એક અનન્ય પ્રાર્થના ઈશ્વર ચરણે રાખી, હું મારા શબ્દોને આજે અહીં જ વિરામ આપું છું. ફરી મળીશું નવાં ચિંતન મનન સાથે, તો સૌને મારા આજનાં દિવસનાં સ્નેહ વંદન અને જય સીયારામ.
લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર)

