૫ વર્ષ વિતી ગયા હોવા છતાં કોઈએ આ અનાજ પર ધ્યાન આપ્યું નહતું અનાજમાંથી ભયંકર દુર્ગંધ આવી
Vadodara,તા.૩૧
વડોદરાના કાસમપુરા ગામે તંત્ર દ્વારા અનાજને સીલ કરી મુકેલ જથ્થો સડી ગયો હોવાનું સામે આવ્યું છે. ૫ વર્ષ વિતી ગયા હોવા છતાં કોઈએ આ અનાજ પર ધ્યાન આપ્યું નહતું. અનાજમાંથી ભયંકર દુર્ગંધ આવતા પુરવઠા વિભાગની ગંભીર બેદરકારી ખુલ્લી પડી હતી.
મળતી માહિતી અનુસાર, વડોદરાના ગ્રામ્યમાં આવતા કાસમપુરામાંથી વર્ષ ૨૦૨૦માં ત્રિકમ નામના શખસની વાડીમાંથી હજારો કિલો અનાજનો જથ્થો મળી આવ્યો હતો. આ મામલે જે તે સમયે પુરવઠા વિભાગના નાયબ મામલતદાર દ્વારા બે સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. ત્યારબાદ આ મામલો હાઇકોર્ટ સુધી પહોંચ્યો હતો. આ મામલે સીલ કરેલા અનાજને કાસમપુરા નજીક આવેલા ગોડાઉનમાં મુકી રાખવામાં આવ્યો હતો. આ ઘટનાને ૫ વર્ષ વિતી ગયા બાદ પણ અહીં અનાજની હાલત જોવા આવ્યું નહતું.
આસપાસના વિસ્તારમાં ભારે દુર્ગંઘ ફેલાતા લોકો દોડીને સ્થળ સુધી આવ્યા હતા. અને જોયું તો અનાજને જથ્થો દુર્ગંધ મારે તે હદ સુધી સડી ગયેલો મળી આવ્યો હતો.
આ ઘટનામાં સડી ગયેલો અનાજનો અંદાજીત જથ્થો એક હજાર લોકોને ૧૦૦ દિવસ ચાલે તેટલો હોવાનું જણવા મળી રહ્યું છે. આ ગોડાઉનમાં ૨૨ હજાર કિલો ઘઉ, ૨૮ હજાર ૫૦ કિલો ચોખા, ૬૫૦ કિલો ખાંડ, ૨૫૦ કિલો મીઠું, ૫૦ કિલો ચણા સીલ કરીને મુકી રાખવામાં આવ્યા હતા.