લાજપોર જેલમાં સેંકડો બહેનો પોતાના જેલવાસી ભાઈઓને રાખડી બાંધવા થાળી-મીઠાઈ લઈને પહોંચી
Surat તા.૨૮
પવિત્ર શ્રાવણ માસના રક્ષાબંધનના પર્વે આજે ચારેય તરફ ભાઈ-બહેનના પ્રેમ અને સ્નેહનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. આ દરમિયાન સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાંથી રક્ષાબંધનના પવિત્ર પર્વે કાળજું કંપાવી દેતાં અને અત્યંત ભાવુક કરી મૂકે તેવાં હૃદયસ્પર્શી દ્રશ્યો સામે આવ્યા છે. જેલના કડક અને ગંભીર માહોલ વચ્ચે આજે લાગણીઓનું ઘોડાપૂર ઉમટ્યું હતું, જ્યારે પોતાના જેલવાસી ભાઈને રાખડી બાંધવા માટે સોંકડો બહેનો હાથમાં થાળી, મીઠાઈ અને રાખડી લઈને જેલના દરવાજે પહોંચી હતી.
પોતાના ભાઈના દીર્ઘાયુ અને સુરક્ષાની પ્રાર્થના સાથે જેલમાં પહોંચેલી બહેનોએ જ્યારે લાંબા સમય બાદ પોતાના ભાઈને રૂબરૂ જોયો, ત્યારે તેમની આંખોમાંથી ચોધાર આંસુ વહી નીકળ્યા હતા. લાજપોર જેલમાં જેવા ભાઈ-બહેન સામસામે આવ્યા કે વાતાવરણ અત્યંત ગમગીન બની ગયું હતું.
બહેને જ્યારે ધ્રૂજતા હાથે ભાઈના કાંડે રક્ષાસૂત્ર બાંધ્યું અને મોં મીઠું કરાવ્યું, ત્યારે બહેનની આ નિઃસ્વાર્થ લાગણી અને આંસુ જોઈને જેલમાં બંધ કઠણ દિલનો ભાઈ પણ પોતાના આંસુ રોકી શક્યો નહોતો અને પોક મૂકીને રડી પડ્યો હતો.
ભાઈના કાંડે રક્ષાકવચ બાંધ્યા બાદ બહેને આંસુ ભરી આંખે ભાઈ પાસે એક જ વચન માંગ્યું હતું અને કરુણ સાદે વિનંતી કરી હતી કે, “હવે ગુનાની દુનિયા છોડી દે અને જેલમાંથી બહાર આવીને સાચા માર્ગે ચાલજેપ”
બહેનની આ પવિત્ર શિખામણ અને આંતરિક લાગણીથી સમગ્ર લાજપોર જેલનું પરિસર અત્યંત ભાવુક બની ગયું હતું. જેલના સળિયા પાછળ સર્જાયેલા આ કાળજું કંપાવનારા દ્રશ્યો જોઈને ત્યાં હાજર જેલ સ્ટાફ અને અન્ય લોકોની આંખો પણ ભીની થઈ ગઈ હતી.

