New Delhi, તા. 21
દિલ્હી હાઈકોર્ટે સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકની સારવાર અંગે મહત્વનો નિર્ણય સંભળાવતા તેમને દિલ્હીની મેદાન્તા હોસ્પિટલમાં શિફ્ટ કરવાનો આદેશ આપ્યો છે. ચીફ જસ્ટિસ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાય અને જસ્ટિસ તેજસ કારિયાની પીઠે મેદાન્તા હોસ્પિટલને નિષ્ણાત ડોક્ટરોની એક વિશેષ પેનલ બનાવવાની સૂચના આપી છે, જે વાંગચુકની સારવાર કરશે અને તેમની તમામ મેડિકલ રિપોર્ટ્સની સમીક્ષા કરશે.
સુનાવણી દરમિયાન સરકાર વતી હાજર રહેલાં સોલિસિટર જનરલે જણાવ્યું હતું કે વાંગચુકને તેમની પસંદગીની મેદાન્તા હોસ્પિટલમાં ખસેડવા સામે કેન્દ્ર સરકારને કોઈ વાંધો નથી.
જોકે, સરકારે એક શરત મુકી છે કે તેઓ ડોક્ટરોની મેડિકલ સલાહ વિરૂદ્ધ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈ શકશે નહીં. સરકારે આશંકા વ્યક્ત કરી હતી કે જો તેઓ સારવાર અધૂરી છોડીને ફરી પ્રદર્શન સ્થળે જશે તો તેમની સુરક્ષા અને સ્વાસ્થ્ય સામે મોટું જોખમ ઊભું થઈ શકે છે.
કોર્ટે તમામ મેડિકલ રિપોર્ટ્સ અને ડોક્ટરોના અભિપ્રાયની નોંધ લેતાં સ્પષ્ટ કર્યું કે, વાંગચુકના સ્વાસ્થ્ય પર સતત તબીબી દેખરેખ રાખવી જરૂરી છે. હોસ્પિટલ વાંગચુકની પોતાની પસંદગીની હોવાથી હાઈકોર્ટે તેમને ત્યાં ટ્રાન્સફર કરવાનો નિર્દેશ આપ્યો છે.

