Surendaranagar, તા.1
ગુજરાત સરકાર દ્વારા રાજ્યના સર્વાંગી અને ટકાઉ વિકાસ માટે પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપ – PPP મોડલને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સરકાર અને સામાજિક સંગઠનોના સમન્વયથી સંસાધનો અને કુશળતાનો યોગ્ય ઉપયોગ કરીને જનહિતના આ કાર્યોને વધુ ગતિશીલ બનાવવામાં આવી રહ્યા છે. ખાસ કરીને પ્રાકૃતિક ખેતીના વ્યાપને વધારવા માટે આ મોડલ આશીર્વાદરૂપ સાબિત થયું છે, જ્યાં સરકારના માર્ગદર્શન હેઠળ વિવિધ સ્વયંસેવી સંસ્થાઓ અને ખેડૂત જૂથો ખભેખભો મિલાવીને રાસાયણિક મુક્ત ખેતીના મિશનને આગળ ધપાવી રહ્યા છે.
રાજ્યમાં પ્રાકૃતિક કૃષિના આ અભિયાનના પ્રણેતા એવા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શન હેઠળ ગુજરાત આજે પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે દેશનું નેતૃત્વ કરી રહ્યું છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક ખેતીને એક જન-આંદોલન બનાવ્યું છે. તેઓ પોતે આ ખેતીના પ્રખર હિમાયતી તરીકે રાજ્યના ખૂણે-ખૂણે જઈ ખેડૂતોને ગાય આધારિત ખેતીના ફાયદા સમજાવી રહ્યા છે. બીજી તરફ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની સરકાર આ અભિયાનને વહીવટી અને આર્થિક પીઠબળ પૂરું પાડી રહી છે.
રાજ્યપાલના સતત પ્રયાસો અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના મક્કમ નિર્ધારને પરિણામે રાજ્યના લાખો ખેડૂતો ઝેરમુક્ત ખેતી તરફ વળ્યા છે. પ્રાકૃતિક કૃષિમાં જીવાત નિયંત્રણ માટે અત્યંત અસરકારક ગણાતા ‘દશપર્ણી અર્ક’ના વિતરણ માટે તાજેતરમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અને ગ્રીન કમાન્ડો ખેડૂત ગ્રુપ વચ્ચે થયેલું જોડાણ આ દિશામાં એક ક્રાંતિકારી ડગલું છે. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખશ્રી આર.પી. પટેલ અને ખેડૂત જૂથો વચ્ચેની બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ, હવે આ અર્ક રાજ્યના પ્રત્યેક ખેડૂત સુધી પહોંચાડવા અવિરત પ્રયાસો કરવામાં આવશે.
દશપર્ણી અર્કના વિતરણમાં સુરેન્દ્રનગર જિલ્લાએ મોખરે રહી રાજ્યભરમાં નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. રાજ્યમાં થયેલા કુલ 53,395 લિટર અર્કના વિતરણમાં એકલા સુરેન્દ્રનગર જિલ્લાનો ફાળો 15,420 લિટર જેટલો માતબર નોંધાયો છે, જે આ જિલ્લાના ખેડૂતોની પ્રાકૃતિક ખેતી પ્રત્યેની જાગૃતિ તેમજ આત્મા વિભાગના સચોટ અને અવિરત પ્રયાસો દર્શાવે છે.

