New Delhi,તા.૨૩
ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરમાં પ્રસાદની ચોરીનો વિવાદ હવે Supreme Courtમાં પહોંચ્યો છે. સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસની માંગ કરતી Supreme Courtમાં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં રામ જન્મભૂમિ ટ્રસ્ટ સાથે સંબંધિત નાણાકીય અનિયમિતતાઓ અને કથિત ભ્રષ્ટાચારની તપાસ માટે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનના નેતૃત્વમાં એક ખાસ તપાસ ટીમની રચના કરવાની માંગ કરવામાં આવી છે.અરજદારોએ આ મામલે તાત્કાલિક એફઆઇઆર નોંધવા અને કાનૂની કાર્યવાહી શરૂ કરવાની વિનંતી કરી છે. તેમણે કોર્ટને અપીલ કરી છે કે દાન કરાયેલા ભંડોળમાં કોઈ ગેરરીતિ, ઉચાપત અથવા ભ્રષ્ટાચાર થયો છે કે કેમ તે નક્કી કરવા માટે સીબીઆઇ એસઆઇટીને સમયમર્યાદામાં સંપૂર્ણ પારદર્શિતા સાથે તપાસ હાથ ધરવા નિર્દેશ આપવામાં આવે.
આ અરજી વકીલો અજય કુમાર રાય અને દિનેશ કુમાર યાદવ દ્વારા દાખલ કરવામાં આવી છે. અરજદારોએ સુપ્રીમ કોર્ટને અપીલ કરી છે કે કેન્દ્ર સરકાર, ઉત્તર પ્રદેશ સરકાર અને ટ્રસ્ટને એક મજબૂત નિયમનકારી, દેખરેખ અને ઓડિટ સિસ્ટમ સ્થાપિત કરવા નિર્દેશ આપવામાં આવે જે જનતા અને લાખો ભક્તોનો વિશ્વાસ જાળવી રાખે.
અરજીમાં જણાવાયું છે કે ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા રચાયેલી વર્તમાન એસઆઇટીએ એફઆઇઆર અથવા નિયમિત ફોજદારી કેસ વિના તપાસ શરૂ કરી છે. વહીવટી અધિકારીઓથી બનેલી આ એસઆઇટી પાસે જટિલ નાણાકીય અને ફોજદારી કેસોને હેન્ડલ કરવા માટે વિશેષ કુશળતા હોઈ શકે નહીં.
અરજદારોનો દલીલ છે કે આ કેસની તપાસ એક સ્વતંત્ર એજન્સી દ્વારા થવી જોઈએ જેની પાસે જટિલ નાણાકીય કૌભાંડોનો સામનો કરવા માટે જરૂરી કુશળતા, સંસાધનો અને સંસ્થાકીય પદ્ધતિઓ હોય, જેથી લોકોનો વિશ્વાસ જળવાઈ રહે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, “શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ સંબંધિત ગુમ થયેલા ભંડોળ અને અન્ય કથિત અનિયમિતતાઓના અહેવાલો સાચા સાબિત થાય કે ન થાય, આવા અહેવાલોએ અયોધ્યાના ગૌરવને પુનઃસ્થાપિત કરવા માટે સંઘર્ષ કરતી પેઢીઓમાં ઊંડી ચિંતા પેદા કરી છે.”

