સૌરાષ્ટ્ર મેલના મુસાફરોની ભીડમાં ધક્કામુક્કી કરી બૂમો પાડી ત્રાસ અને અડચણ ઊભી કર્યાનો આક્ષેપ; ત્રણેય સામે જી.પી. એક્ટ હેઠળ કાર્યવાહી
(નયના દવે દ્વારા)
Jamnagar તા.૨૬
જામનગરના રેલવે સ્ટેશન પર રેલવે હદમાં પાસ કે ટિકિટ વગર પ્રવેશ કરી મુસાફરોની ભીડમાં ધક્કામુક્કી કરી બૂમો પાડીને સમોસા અને પાણીનું વેચાણ કરતા ત્રણ ફેરીયાઓને એલ.સી.બી. પોલીસની ટીમે ઝડપી લીધા હતા. ત્રણેય સામે ગુજરાત પોલીસ અધિનિયમની કલમ ૧૨૦, ૮૧, ૧૦૨, ૧૧૧ અને ૧૧૭ મુજબ અલગ-અલગ ફરિયાદો નોંધાવી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મળતી વિગતો મુજબ, એલ.સી.બી. પોલીસ સ્ટાફ દ્વારા જામનગર રેલવે સ્ટેશન પર પેટ્રોલિંગ દરમિયાન આવતી-જતી ટ્રેનોના મુસાફરો ઉપર નજર રાખવામાં આવી રહી હતી. દરમિયાન પ્લેટફોર્મ નં.૧ ઉપર સૌરાષ્ટ્ર મેલ ટ્રેન આવી ઊભી રહેતાં મુસાફરોની ભીડ વચ્ચે ત્રણ અલગ-અલગ ફેરીયાઓ પાસ કે ટિકિટ વિના રેલવે હદમાં પ્રવેશ કરી સમોસા તથા પાણીનું વેચાણ કરતા નજરે પડ્યા હતા. તેઓ મુસાફરોની ભીડમાં ધક્કામુક્કી કરી બૂમો પાડતા હોવાથી મુસાફરોને ત્રાસ તથા અડચણ ઊભી થતી હોવાનો પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
પોલીસે ત્રણેયને રોકી રેલવે હદમાં પ્રવેશ અંગે પાસ-ટિકિટ અંગે પૂછપરછ કરતાં તેમની પાસે પાસ કે ટિકિટ ન હોવાનું બહાર આવ્યું હતું. રેલવે હદ છોડી દેવા જણાવ્યા છતાં તેઓ પોતાની વેચાણ પ્રવૃત્તિ ચાલુ રાખતા પોલીસે પંચોની હાજરીમાં ત્રણેયને ઝડપી લીધા હતા.
પકડાયેલા ફેરીયાઓમાં દિલસાસ સ/ઓ સાબીરઅલી (ઉંમર ૨૩), રહે. માજોઠીનગર શેરી નં.૧, રેલવે સ્ટેશન સામે, જામનગર, મૂળ ઉત્તર પ્રદેશ, નીસાદ સ/ઓ ભસુભાઈ પઠાણ (ઉંમર ૨૪), રહે. માજોઠીનગર શેરી નં.૧, રેલવે સ્ટેશન સામે, જામનગર, મૂળ ઉત્તર પ્રદેશ અને નાસીરખાન સ/ઓ ભસ્સુભાઈ પઠાણ (ઉંમર ૨૮), રહે. જામનગર, મૂળ ઉત્તર પ્રદેશનો સમાવેશ થાય છે.
પોલીસ કાર્યવાહી દરમિયાન દિલસાસ પાસેથી મળી આવેલા રૂ.૩૦૦ તેને પરત સોંપવામાં આવ્યા હતા, જ્યારે અન્ય બે ફેરીયાઓ પાસેથી મળી આવેલ પાણી વેચવાનું બોક્સ તથા ચાનો થર્મોસ પણ તેમને પરત સોંપવામાં આવ્યા હતા. રેલવે હદમાં પાસ વગર પ્રવેશ કરી મુસાફરોને ત્રાસ અને અડચણ થાય તે રીતે વેચાણ કરવા બદલ ત્રણેય સામે જી.પી. એક્ટની કલમ ૧૨૦, ૮૧, ૧૦૨, ૧૧૧ અને ૧૧૭ મુજબ અલગ-અલગ ગુના નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

